Sunday, 8 September, 2024

Adhyay 1, Pada 1, Verse 22-23

112 Views
Share :
Adhyay 1,  							Pada 1, Verse 22-23

Adhyay 1, Pada 1, Verse 22-23

112 Views

२२. आकाशस्तल्लिंगात् ।

અર્થ
આકાશઃ = આકાશ શબ્દ પરમાત્માનો જ વાચક છે.
તલ્લિંગાત્ = કારણ કે ત્યાં પરમાત્માનાં જ લક્ષણો બતાવવામાં આવ્યાં છે.

ભાવાર્થ
અત્યાર સુધીનાં સૂત્રો પરથી સિદ્ધ થયું કે જગતનું નિમિત્ત તથા ઉપાદાનકારણ પરબ્રહ્મ પરમાત્મા છે, જીવાત્મા કે પ્રકૃતિ નથી. એ વિષય તો પ્રકારાન્તરે પૂરો થયો, પરંતુ ઉપનિષદમાં જગતના પ્રાદુર્ભાવ, ધારણ તથા પ્રલયનું કારણ આકાશ છે એવું પણ જણાવવામાં આવ્યું છે તો પછી પરમાત્મામાં અને આકાશમાં કોઈ ભેદ છે ખરો, કે પછી પરમાત્મા નહિ પરંતુ આકાશ જ જગતનું એકમાત્ર કારણ છે ? એવી જિજ્ઞાસાના જવાબમાં આ સૂત્ર લખવામાં આવ્યું છે.

છાંદોગ્ય ઉપનિષદ આકાશનો ઉલ્લેખ કરતાં કહે છે કે ‘આ સઘળાં ભૂત આકાશમાંથી જ આવિર્ભાવ પામે છે અને આકાશમાં જ વિલીન બને છે. આકાશ આ બધાથી શ્રેષ્ઠ અને મોટું છે. એ જ આ બધાના આધારરૂપ છે. सर्वाणि ह वा इमानि भूतान्याकाशादेव समुत्पद्यन्त आकाशम्प्रत्यस्तं यन्त्याकाशो ह्येवैभ्यो ज्यायानाकाशः परायणम् । 

ઉપનિષદના એ વાક્યમાં આકાશનું વર્ણન કરવામાં આવ્યું છે એ સાચું પરંતુ એ આકાશ સ્થૂળ ભૂતાકાશ નથી. સ્થૂળ આકાશ પ્રકૃતિનું એક અગત્યનું અંગ હોઈને સંસારનું સર્જન, સંરક્ષણ કે વિસર્જન ન કરી શકે. તે પોતે ગમે તેટલું શક્તિશાળી હોવા છતાં જડ અને પરાધીન છે એ દેખીતું છે. સંસારના સર્જનાદિનો આટલો મોટો વિશાળ વ્યાપાર એનાથી થઈ જ ના શકે. એનું પોતાનું જ સર્જન બીજા પર નિર્ભર હોય. એટલે ઉપનિષદના એ વચનમાં આકાશ શબ્દનો પ્રયોગ એનાં લક્ષણોનો વિચાર કરતાં પરમાત્માને માટે જ કરવામાં આવ્યો છે એ સ્પષ્ટ થાય છે.

એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મામાં જ એ લક્ષણો ઘટાવી શકાય છે. જગતના પ્રાદુર્ભાવ, પાલન અને પ્રલયની અસાધારણ શક્તિ કેવળ એમની અંદર રહેલી છે. આકાશાદિ મહાભૂતની ને બધાની ઉત્પત્તિ એમની અંદરથી જ થાય છે. એ સમસ્ત સૃષ્ટિના મૂળાધાર છે અને એમનાથી વધારે શક્તિશાળી, સુયોગ્ય કે શ્રેષ્ઠ બીજું કોઈ જ નથી.

२३. अत एव प्राणः ।

અર્થ
અત  એવ = એટલા માટે એટલે કે ઉપનિષદમાં કહેલાં લક્ષણો પરમાત્માને જ લાગુ પડી શકે છે તે માટે. 
પ્રાણઃ= પ્રાણ. 

ભાવાર્થ
ઉપનિષદમાં આકાશની પેઠે પ્રાણના સંબંધમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે ‘આ બધાં પ્રાણમાંથી પેદા થાય છે ને પ્રાણમાં લય પામે છે.’
सर्वाणि ह वा इमानि भूतानि प्राणमेवाभिसंविशंति प्राणमभ्युज्जिहते । (છાંદોગ્ય ઉપનિષદ)

હવે જો પ્રાણ શબ્દનો અર્થ સાધારણ સ્થૂળ પ્રાણવાયુ કરીએ તો એમાંથી સમસ્ત સંસારની ઉત્પત્તિ શક્ય ના બની શકે. કારણ કે પ્રાણવાયુની સત્તા સર્વોપરી અને સ્વતંત્ર નથી. એ અન્યને આશ્રિત છે. એટલે તો કેનોપનિષદમાં જણાવ્યું છે કે પ્રાણવાન જેમને પ્રાણવાન નથી કરી શકતો પરંતુ જેમને લીધે પ્રાણવાન બને છે તે જ પરબ્રહ્મ પરમાત્મા છે; બીજા સ્થૂળ રીતે જેમની ઉપાસના કરે છે તે પરમાત્મા નથી.

કેનોપનિષદમાં એવી રીતે પરમાત્માને પ્રાણના પ્રાણ અથવા પ્રાણ કરતાં ઉત્તમ કહેવામાં આવ્યા છે. સંસારની ઉત્પત્તિ સ્થૂળ પ્રાણમાંથી નથી થતી પરંતુ પ્રાણના પ્રાણ, સૌના પ્રાણ જેવા પરમાત્મામાંથી જ થાય છે. એટલે એ સંદર્ભમાં પ્રાણ શબ્દ પરમાત્માનો જ વાચક છે એવું નિસંસ્શય રીતે સમજી લેવાનું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *