Sunday, 8 September, 2024

Adhyay 1, Pada 2, Verse 06-07

89 Views
Share :
Adhyay 1,  							Pada 2, Verse 06-07

Adhyay 1, Pada 2, Verse 06-07

89 Views

६. स्मृतेश्च ।

અર્થ
સ્મૃતો = સ્મૃતિપ્રમાણથી
ચ = પણ.

ભાવાર્થ
વેદ અને ઉપનિષદ પછીના ભારતીય સ્મૃતિગ્રંથોનું તટસ્થ રીતે અધ્યયન કરવામાં આવે તો એના પરથી પણ પ્રતીતિ થાય છે કે જીવાત્માને માટે સર્વશક્તિમાન સર્વાધાર પરમાત્મા જ પરમ ઉપાસ્ય છે. માનવ, દેવ સૌ કોઈ પરમાત્માને ભજીને ને પામીને જ કૃતાર્થ બની શકે છે. એ હકીકતનું પુનરાવર્તન વિવિધ પ્રકારે અનેક સ્થળે કરવામાં આવ્યું છે.

ગીતામાં ભગવાને કહ્યું છે કે ‘સર્વભાવે એ ઈશ્વરને જ શરણે જા. એમના અનુગ્રહથી પરમ શાંતિને ને સનાતન અવિચળ સ્થાનને પ્રાપ્ત કરીશ.’
तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शांतिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥

‘આ અનિત્ય અને સનાતન સુખરહિત સંસારમાં આવીને મને જ  ભજ.’
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम ।

રામાયણમાં સંતશિરોમણિ તુલસી દાસે લખ્યું છે :
કલિયુગમાં યુગ આન નહીં,  જો નર કર વિશ્વાસ ।
ગાઈ રામગુનગન વિમલ, ભર તર બિનહિ પ્રયાસ ॥

લોકકવિ પોતાના સુપ્રસિદ્ધ પદમાં એ જ સનાતન સંદેશને જરા જુદી રીતે સંભળાવે છે :
મળ્યો મનુજ જનમ અવતાર માંડ કરીને
તમે ભજ્યા નહીં  ભગવાન ભાવ  કરીને
તેથી ખાશો જમના માર પેટ ભરીને … માટે રામનામ સંભાર.


    
७. अर्भकौकस्त्वात्तद्व्यपदेशाच्च नेति चेन्न निचाय्यत्वादेवं व्योमवच्च ।

અર્થ
ચેત્ = જો.
અર્ભકૌકસ્ત્વાત્ = ઉપાસ્યદેવ હૃદયરૂપી નાનકડા સ્થાનવાળા છે માટે.
ચ = તથા.
તદ્ વ્યપદેશાત્ = અત્યંત નાના બતાવ્યા છે માટે.
ન = પરમાત્મા ના હોઈ શકે.
ઈતિ ન = તો એ બરાબર નથી.
નિચ્ચાચ્યત્વાત્ = કારણ કે હૃદયપ્રદેશમાં દ્દષ્ટવ્ય છે માટે.
એવમ્ = એવું કહેવામાં આવ્યું છે. 
ચ = અને.
વ્યોમવત્ = આકાશની પેઠે સર્વત્ર છે વ્યાપક હોવાથી પણ એવું કહેવું ઉચિત છે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં અન્યત્ર અને ગીતા જેવા મહા ગ્રંથોમાં પરમાત્માને હૃદયમાં વિરાજેલા કહ્યા છે. 
हृदि होय आत्मा । ‘આ આત્મા હૃદયમાં છે.’ 

ईश्वरः सर्वभूतानां हृदेशेङर्जुन तिष्ठति । (ભગવદ્ ગીતા)
‘હે અર્જુન, ઈશ્વર સૌ પ્રાણીઓના હૃદયપ્રદેશમાં વિરાજે છે.’

એવા વર્ણનને લીધે કોઈને એવું લાગે કે પરમાત્મા તો એકાદશીય અથવા અમુક ચોક્કસ સીમિત સ્થાનમાં રહેતા હોવાથી સર્વવ્યાપક તથા સર્વ શક્તિમાન નથી ને ઉપાસ્ય દેવ ના હોઈ શકે તો તે તર્ક બરાબર નથી. કારણ કે એ ગ્રંથો એમને વિરાટથી વિરાટ અને સર્વ વ્યાપક પણ કહી બતાવે છે. એ હૃદયમાં પણ છે અને બહાર પણ છે. સ્થૂળ પણ છે અને સૂક્ષ્માતિ સૂક્ષ્મ પણ છે. એમનું દર્શન કરવા માગનાર સાધક સાધન દ્વારા એમને હૃદયમાં જોઈ શકે છે. એટલા માટે એ ત્યાં પણ વિરાજે છે એવું કહી બતાવ્યું છે. એથી એમની સર્વદેશીયતાને હરકત નથી આવતી અને એ ઉપાસ્યદેવ નથી એવું પણ નથી સાબિત થતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *