Thursday, 19 September, 2024

Adhyay 2, Pada 1, Verse 02-03

107 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 02-03

Adhyay 2, Pada 1, Verse 02-03

107 Views

२. इतरेषां चानुषलब्धेः ।

અર્થ
ચ= અને.
ઈતરેષામ્ = બીજા સ્મૃતિકારોના અભિપ્રાયમાં.
અનુપલબ્ધે = પ્રધાન કારણવાદ ઉપલબ્ધ નથી થતો માટે.

ભાવાર્થ
મનુ મહારાજ જેવા બીજા સ્મૃતિકારોના વેદાનુકૂળ વિચારોની ઉપેક્ષા કેવી રીતે કરી શકાય ? એ સ્મૃતિકારોના અભિપ્રાય પ્રમાણે પ્રધાન અથવા પ્રકૃતિ નહિ પરંતુ પરમાત્મા જ જગતના એકમાત્ર કારણ છે. સૃષ્ટિની ઉત્પત્તિ પરમાત્માંથી જ થાય છે. એટલે એ અગત્યના વિષયમાં સાંખ્યશાસ્ત્રને પ્રમાણ ના માનવામાં આવે એ જ બરાબર છે.


 
३. एतेन  योगः प्रत्युक्तः ।

અર્થ
એતેન = આ વિચારધારા દ્વારા. 
યોગ = યોગશાસ્ત્ર કે યોગદર્શનનો પણ.
પ્રત્યુક્ત = પ્રત્યુત્તર અપાઈ ગયો.

ભાવાર્થ
સૂત્રકાર આ સૂત્ર દ્વારા જણાવે છે કે સાંખ્યદર્શનને જે વાત લાગુ પડે છે તે જ વાત મહર્ષિ પતંજલિના યોગદર્શનને લાગુ પડે છે. યોગદર્શન જગતના કારણ સંબંધમાં સાંખ્યદર્શનને મળતું આવે છે. કારણ કે એ પણ દૃશ્યને અથવા જડ પ્રકૃતિને જગતનું કારણ માને છે. એ વિષયમાં એનો અભિપ્રાય પણ આદર્શ નથી લાગતો. અત્યાર સુધીની ચર્ચા વિચારણા દ્વારા એ અભિપ્રાયનો ઉત્તર પણ આપોઆપ અપાઈ ગયો એવી આ સૂત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી.

આ સૂત્ર યોગસાધના, યોગદર્શન અને એમના રચયિતા મહર્ષિ પતંજલિની પ્રાચીનતા પર પ્રકાશ ફેંકે છે. એ એનો દસ્તાવેજી પુરાવો છે. બ્રહ્મસૂત્રમાં એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સૂચવે છે કે બ્રહ્મસૂત્રના રચયિતા મહર્ષિ વ્યાસના જીવનકાળ દરમિયાન અથવા એની પહેલાં એમની હયાતિ હતી. સાંખ્યદર્શનની જેમ યોગદર્શન પણ ખૂબ જ પુરાતન અને બ્રહ્મસૂત્રની પહેલાંનો ગ્રંથ છે એની પ્રતીતિ આ સૂત્ર પરથી સહેલાઈથી થઈ રહે છે. ધાર્મિક ઇતિહાસના અન્વેષકો અથવા અભ્યાસીઓને માટે આ સામગ્રી ખુબ જ ઉપયોગી અથવા કીંમતી થઈ પડે તેમ છે.

४. न विलक्षणत्वादस्व  तथात्वं  च शब्दात् ।

અર્થ
ન = ચેતન બ્રહ્મ જગતનું કારણ નથી.
અસ્ય વિલક્ષણત્વાત્ = આ કાર્યરૂપ જગત એનાથી વિલક્ષણ કે જડ છે માટે. 
ચ = અને
તથાત્વમ્ = એનું જડ હોવું.
શબ્દાત્ = શબ્દ કે વેદપ્રમાણથી પુરવાર થાય છે.

ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાં પરમાત્માને  सत्यं ज्ञानमनंतं ब्रह्म કહીને પરમ સત્ય, જ્ઞાનસ્વરૂપ અને અનંત કહ્યા છે ને જગતને જ્ઞાનરહિત તથા પરિવર્તનશીલ ને જડ કહ્યું છે. એવી રીતે જગત પરમાત્માથી વિલક્ષણ છે. કારણથી કાર્ય એવી રીતે જુદું નથી હોતું; એટલે ચેતન પરમાત્માને જડ જગતના ઉપાદાનકારણ ના માની શકાય, અને માનવા જ હોય તો પરમાત્માને જડ કહેવા પડે અથવા જગતને ચેતન સમજવું રહે.

આ સૂત્રમાં અને આની પછીના બીજા સૂત્રમાં પૂર્વપક્ષની સ્થાપના કરવામાં આવી છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *