Monday, 16 September, 2024

Adhyay 2, Pada 3, Verse 16-17

101 Views
Share :
Adhyay 2,  							Pada 3, Verse 16-17

Adhyay 2, Pada 3, Verse 16-17

101 Views

१६. चराचरव्यपाश्रयस्तु  स्यात्तद् व्यपदेशो भाक्रस्तद् भाव- भावित्वात् ।

અર્થ
તુ = પરંતુ.
ચરાચર વ્યપાશ્રયઃ = ચરાચર શરીરોને લીધે કરાયલું.
તદ્દવ્યપદેશઃ = એ જન્મ મરણાદિનું કથન.
ભાક્તઃ સ્યાત્ = જીવાત્માને માટે ગૌણ હોઈ શકે.
તદ્દભાવ ભાવિત્વાત્ = એ તે તે શરીરોના ભાવથી ભાવિત રહેતો હોવાથી.

ભાવાર્થ
હવે પ્રશ્ન એ થાય છે કે પંચ મહાભૂતાદિની પેઠે પરમાત્મામાંથી જીવોની ઉત્પત્તિ પણ થાય છે કે કેમ ? એના ઉત્તરમાં જણાવવાનું કે જીવ પરમાત્માનો અંશ, અવિનાશી અને જન્મ મરણથી રહિત છે એ તો સર્વવિદિત છે. તો પણ અવિદ્યા, મોહ અથવા કર્મ સંસ્કારોને લીધે સ્થાવર તથા જંગમ શરીરોને ધારીને એમની અંદર આસક્તિ કરીને પોતાના અસલ સ્વરૂપને ભૂલી જાય છે. એટલા માટે જુદાં જુદાં શરીરોના જન્મ અને મરણને એના જન્મ તથા મરણ બરાબર માનવામાં આવે છે.

વાસ્તવિક રીતે તો એ જન્મ તથા મરણથી મુક્ત જ છે. એના જન્મની જે વાત કહેવામાં આવી છે તે તો ગૌણ રીતે, કહેવાને ખાતર જ કહેવામાં આવી છે. જીવાત્મા પરમાત્મામાંથી પ્રકટ થાય છે અને કલ્પાંતે એમની અંદર વિલય પામે છે. એ શાશ્વત અથવા અવિનાશી હોવાથી એની ઉત્પત્તિનો પ્રશ્ન જ નથી પેદા થતો.

१७. नात्माश्रुतेर्नित्यत्वाश्च  ताभ्यः  ।

અર્થ
આત્મા = જીવાત્મા. 
ન= ઉત્પન્ન નથી થતો.
અશ્રુતેઃ = શ્રુતિમાં ક્યાંય એની ઉત્પત્તિ નથી બતાવી માટે. 
ચ = એ ઉપરાંત. 
તાભ્યઃ = એ શ્રુતિયોથી જ.
નિત્યવાત્ = એની નિત્યતા સાબિત કરવામાં આવી છે એટલા માટે પણ.

ભાવાર્થ
ઉપનિષદના સ્વાનુભવસંપન્ન સુવિશાળ સાહિત્યનું તટસ્થતાપૂર્વક અધ્યયન કરવાથી એ વાતની સ્પષ્ટતા થાય છે કે એમાં કોઈ ઠેકાણે એવું નથી કહ્યું કે જીવાત્માની ઉત્પત્તિ થાય છે. જીવાત્મા અજન્મા, અવિનાશી, શાશ્વત અને નિત્ય છે એવો ઉલ્લેખ ઠેકઠેકાણે, જ્યાં પણ જીવાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે, ત્યાં જોવા મળે છે. એટલે એ પેદા થાય છે એવું માનવાનું કશું કારણ નથી રહેતું.

છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘આ જીવથી રહિત શરીર જ મરે છે, જીવાત્મા નથી મરતો એ તો અમૃતમય છે.’
जीवाषेतं वाव किलेदं म्रियते न जीवो म्रियते ।

કઠ ઉપનિષદમાં પણ એવું જ જણાવ્યું છે કે જીવાત્મા જન્મતો કે મરતો નથી. એ અજન્મા, નિત્ય સનાતન તથા પૂરાતન છે. શરીરનો નાશ થાય છે તો પણ એનો નાશ નથી થતો. એ કદી ક્યાંયથી પેદા નથી થયો ને પેદા નથી થવાનો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *