Sunday, 8 September, 2024

Adhyay 3, Pada 2, Verse 05-06

100 Views
Share :
Adhyay 3,  							Pada 2, Verse 05-06

Adhyay 3, Pada 2, Verse 05-06

100 Views

५. पराभिध्यानात्तु तिरोहितं ततो हास्य बन्धविपर्ययौ ।

અર્થ
(જીવાત્મામાં પણ પરમાત્મા જેવા જ ગુણો છે)
તુ = પરંતુ.
તિરોહિતમ્ = છૂપાયલા કે ઢંકાયલા છે.
પરાભિધ્યાનાત્ = (એટલે) પરમાત્મા સતત ધ્યાનથી (પ્રકટ થઈ જાય છે.)
હિ = કારણ કે
તતઃ = એ પરમાત્માને લીધે જ,
અસ્ય = એનાં 
બન્ધવિપર્યયૌ = બંધન અને એથી વિપરીત એટલે કે મોક્ષ છે.

ભાવાર્થ
જીવાત્મા પરમાત્માનો અંશ છે એવું સંતો તથા શાસ્ત્રો કહી બતાવે છે. એ કથન પરથી સહેજે અનુમાન કરી શકાય છે કે એની અંદર પરમાત્માનું જ્ઞાન અને ઐશ્વર્યરૂપી ગુણો પણ આંશિક રીતે રહેતા હશે. એ ગુણોનો આધાર લઈને સ્વપ્ન સૃષ્ટિની રચના એ સ્વયં કરે છે એવું માની લઈએ તો શી હરકત છે ? એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એના ઉત્તરમાં આ સૂત્ર દ્વારા જણાવવામાં આવે છે કે જીવાત્મા પરમાત્માનો અંશ હોવા છતાં સ્વપ્નસૃષ્ટિની રચના નથી કરી શકતો. કારણ કે એ સંપૂર્ણ સ્વતંત્ર નથી. એના બંધનનો ને મોક્ષનો આધાર પરમાત્મા પર રહેલો છે. એ પરમાત્માને ઓળખે તો મોક્ષ મેળવે અને પરમાત્માને ભૂલીને વિષયોમાં આસક્તિ કરે તો બદ્ધ બને.

જીવાત્મા પરમાત્માનો અંશ છે અને પરમાત્મા જેવા ગુણોથી સંપન્ન છે એ સાચું હોવા છતાં એ પણ એટલું જ સાચું છે કે એના એ ગુણો અત્યારે પ્રકટ નથી અને અવિદ્યાને લીધે ઢંકાઈ ગયેલા છે. ચંદ્રની ઉપર જેમ વાદળ છવાઈ જાય અને એનું સાચું સ્વરૂપ ઢંકાઈ જાય તેમ એનું મૂળભૂત સ્વરૂપ ઢંકાઈ ગયું છે. એના એ સ્વરૂપને, ઐશ્વર્યને અને અનંત ગુણસમૂહને પ્રકટ કરવા માટે શું કરવું જોઈએ ? પરમાત્માનું બને તેટલા વધારે ને વધારે પ્રમાણમાં અને નિરંતર ધ્યાન. ધ્યાનની શક્તિ અપાર છે. ધ્યાન કરનાર છેવટે જેનું ધ્યાન કરવામાં આવે છે તેવો બની જાય છે. એ દ્વારા જીવાત્મા પરમાત્મા સ્વરૂપ બની જાય છે. જીવાત્મા પોતાના મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિતિ કરે, સંપૂર્ણ બને, અને અનંત સુખશાંતિ અને ઐશ્વર્યનો અધીશ્વર થઈ રહે એટલા માટે પરમાત્માની આવશ્યકતા છે.

६. देहयोगाद्वा सोङपि ।

અર્થ
સઃ = એ  તિરોભાવ. 
અપિ = પણ. 
દેહયોગાત્ = શરીરના સંબંધથી.
વા = જ છે.

ભાવાર્થ
જીવાત્મા વાસ્તવિક રીતે વિચારતાં પરમાત્મા સ્વરૂપ છે અને પરમાત્મા જેવા ગુણધર્મોથી યુક્ત છે તો પણ વ્યાવહારિક રીતે એ ગુણોથી વંચિત કેમ છે અને પોતાના સહજ પરમાત્મા સ્વરૂપનો સ્વાનુભવ કેમ નથી કરતો ? એનું મુખ્ય કારણ એનો દેહાધ્યાસ છે. એ શરીરનો સંબંધ તો રાખે જ છે પરંતુ શરીરનો મોહ તથા શરીરની મમતા સેવે છે, ને પોતાને શરીરમાં મર્યાદિત માને છે ને શરીર સમજે છે. દેહ બુદ્ધિને લીધે વિષયવતી વૃત્તિ તથા બુદ્ધિને લીધે એ વિષયાંધ બનીને અનેક પ્રકારનાં કુકર્મો કરે છે, અને એના પરિણામે સુખદુઃખનો સંમિશ્રિત અનુભવ કરતાં જન્મ મરણને આધીન બનીને વિવિધ યોનિઓમાં વિહરે છે. એ વિષયાસક્તિ, મોહવૃત્તિ તથા દેહાધ્યાસની વિપરીત ભાવનાનો અંત આણવા માટે પરમાત્માની આરાધના અથવા આત્મવિચાર જેવો અકસીર, અમોઘ ઉપાય બીજો એકે નથી. એ ઉપાયને અજમાવવાથી પરમાત્માની અસાધારણ અપાર અનુકંપાથી એ પોતાના મુળભૂત શાશ્વત સત્ય સ્વરૂપનો સ્વાનુભવ કરી શકે છે, અનંત ઐશ્વર્યનો સ્વામી થાય છે, ને મુક્ત, પૂર્ણ તથા ધન્ય બને છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *