Monday, 16 September, 2024

Adhyay 4, Pada 1, Verse 10-12

110 Views
Share :
Adhyay 4,  							Pada 1, Verse 10-12

Adhyay 4, Pada 1, Verse 10-12

110 Views

१०. स्मरन्ति च ।

અર્થ
ચ = તથા.
સ્મરન્તિ = એવું જ સ્મરણ કરાયું છે.

ભાવાર્થ
શ્રુતિના એ સંદેશનું સ્મૃતિ દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગનું વિસ્તારથી વર્ણન કરતી વખતે એ જ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે કાયા મસ્તક તથા ગરદનને સમાંતર રાખી, અચળ અને સ્થિર બની, નાસિકાના અગ્રભાગ પર દૃષ્ટિ રાખી, દિશાઓ તરફ જોયા વગર, પ્રશાંત બની, ભયનો ત્યાગ કરી, બ્રહ્મચર્ય સ્થિત થઈ, મનને એકાગ્ર કરી, ચિત્તને મારામાં જોડીને, મારે પરાયણ બનીને ધ્યાનની સાધના માટે બેસવું.

११. यत्रैकाग्रता तत्राविशेषात् ।

અર્થ
અવિશેષાત્ = કોઈ વિશિષ્ટ સ્થાનના વિધાનનો અભાવ હોવાથી. 
યત્ર = જ્યાં.
એકાગ્રતા = ચિત્તની એકાગ્રતા સરળતાથી સાધી શકાય.
તત્ર = ત્યાં (બેસીને ધ્યાનનો અભ્યાસ કરવો.)

ભાવાર્થ
ધ્યાનની સાધના અથવા ઉપાસના કરવા માટેનું સ્થાન કેવું હોવું જોઈએ તેનું સ્પષ્ટીકરણ કરતાં અહીં જણાવવામાં આવે છે કે જ્યાં બેસવાથી મનને પ્રેરણા મળે, મન સહજ રીતે જ પ્રસન્ન બને અને એકાગ્રતા ધારણ કરે છે એવા અનુકૂળ આહ્ લાદક, પવિત્ર સ્થળની પસંદગી ઉપાસના અથવા ધ્યાનના અભ્યાસને માટે કરવી જોઈએ.

१२. आ प्रायणात्तत्रापि हि द्दष्टम् ।

અર્થ
આ પ્રાયણાત્ = મરણપર્યંત (ઉપાસના કે સાધના કરવી જોઈએ.)
હિ = કારણ કે.
તત્રાપિ = મરણકાળમાં પણ. 
દ્દષ્ટમ્ = ઉપાસના કરવાનું વિધાન જોઈ શકાય છે.

ભાવાર્થ
ઉપાસના, ધ્યાન અથવા સાધના ક્યાં સુધી કરવી જોઈએ એ વિશે પથદર્શન કરતાં સૂત્રકાર જણાવે છે કે સમસ્ત જીવનપર્યંત ઉપાસના કે સાધના કરવી જોઈએ. જીવનની પ્રત્યેક પળે અને જીવનના અંતકાળ સુધી એનો પરિત્યાગ ના કરવો જોઈએ. શ્વાસ જેમ જીવનભર ચાલે છે તેમ સાધના પણ ચાલવી જોઈએ. એમાં સહેજ પણ પ્રમાદ કરવો ના જોઈએ. સાધના કે ઉપાસના દ્વારા જેને સિદ્ધિની પ્રાપ્તિ થઈ હોય તેની સાધના પણ પૂર્વાભ્યાસને લીધે સિદ્ધિ પછી પણ ચાલુ રહે છે ને રહેવી જોઈએ. અને જેને સિદ્ધિ નથી મળી તેણે તો સાધનાનું અનુષ્ઠાન છેવટ સુધી કરવું જ જોઈએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *