Monday, 16 September, 2024

ગાંધારીનો નિર્ણય

234 Views
Share :
ગાંધારીનો નિર્ણય

ગાંધારીનો નિર્ણય

234 Views

When Dhritarastra, Pandu and Vidur grew up, Bhishma started looking for suitable brides for them. Bhishma considered Gandhari – Daugther of King of Gandhar, Subal’s daughter a good match for Dhritarastra. Bhishma asked for Gandhari’s hand for Dhritarastra and the King accepted Bhishma’s proposal. When Gandhari came to know about it, she respected her father’s decision. Ghandhari thus got married to Dhritarastra.

Later, Gandhari came to know that Dhritarastra was blind. Instead of lamenting on her misfortune, she bravely accepted it. Not only that but she decided to fold her eyes forever ! Her decision reflected her readiness to share her husband’s pain and immense love for Dhritarastra. It was indeed a tough call.

ગંગાનંદન ભીષ્મે વિદુરની સલાહ લઇને કુરુઓના વંશવિસ્તારની યોજના ઘડી કાઢી.

ધૃતરાષ્ટ્ર, પાંડુ તથા વિદુર લૌકિક રીતે ઉંમરલાયક થયા હોવાથી એમના લગ્નના આયોજનનો સંકલ્પ કર્યો.

ધર્મવેત્તા વિદુરને એમણે જણાવ્યું કે આપણું કુળ પરમ ગુણવાન અને પ્રસિદ્ધ છે. બીજા પૃથ્વીપાલોનાં રાજ્યો કરતાં આપણું રાજ્ય વિશિષ્ટતા ધરાવે છે ને જુદું તરી આવે છે. આપણા કુળને ધર્મજ્ઞ ધર્મપરાયણ રાજાઓએ સંભાળપૂર્વક રાખેલું છે. તેનો કદી નાશ નથી થયો. એ કુળ સાગરની પેઠે વૃદ્ધિ પામે એવું કરવાની આવશ્યકતા છે. આપણા કુળને માટે યદુવંશી કન્યા, સુબલની સુપુત્રી અને મદ્રરાજની કન્યા એ ત્રણે કન્યાઓ સુયોગ્ય છે એવું મેં સાંભળ્યું છે. એ કન્યાઓ કુળવતી, રૂપવતી, ક્ષત્રિયોમાં સર્વોત્તમ તથા આપણા સંબંધને માટે સર્વપ્રકારે યોગ્ય છે. આપણા કુળના વંશવિસ્તાર માટે એમની માગણી કરવાની મારી ઇચ્છા છે.

સુબલની સુપુત્રી, સર્વ પ્રકારનાં શુભ લક્ષણોથી સંપન્ન ગાંધારીએ ભગવાન શંકરની સમ્યક એકનિષ્ઠ અનુરાગપૂર્ણ આરાધના દ્વારા સો પુત્રોની પ્રાપ્તિનું વરદાન મેળવેલું.

ભીષ્મે પંડિતો પાસેથી એવી વાત સાંભળીને ગાંધારરાજ સુબલ પાસે દૂત મોકલ્યા.

દૂતની વાતને સાંભળીને રાજા સુબલ કોઇપણ પ્રકારના નિર્ણય પર પહોંચવાને બદલે ઊંડા વિચારમાં પડી ગયો. ખાસ તો એટલા માટે કે એને માહિતી અને સંપૂર્ણ વિશ્વસનીય માહિતી મળી કે ધૃતરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ છે.

છેવટે કુળ, ખ્યાતિ તથા ચરિત્ર વિશે બુદ્ધિપૂર્વક શાંતચિત્તે વિચાર કરીને પોતાની ધર્મચારિણી પ્રિય પુત્રી ગાંધારીને ધૃતરાષ્ટ્રને અર્પણ કરવાનો એણે નિર્ણય કર્યો.

ગાંધારીને પિતાના નિર્ણયની ખબર પડી. એણે જાણ્યું કે જેની સાથે પોતાનું લગ્ન થવાનો નિર્ણય લેવાયો છે તે ધૃતરાષ્ટ્ર તો જન્માંધ છે તોપણ કોઇ પ્રકારનો વિરોધ ના કર્યો. એનું કારણ એની પિતા પ્રત્યેની પ્રીતિ કે ભક્તિ હોય કે બીજું ગમે તે હોય પરંતુ એ શાંત રહી.

લલાટના લેખને કોણ મટાડી શકે ? પરંતુ ગાંધારીએ એક ઉપાય આદર્યો. પોતાના જન્માંધ પતિ ધૃતરાષ્ટ્રને દેખીને દુઃખ ના થાય એટલે અથવા એક આદર્શ પતિવ્રતા સ્ત્રી તરીકે પતિના સંકટમાં સહભાગિની બનવા માટે માટે એણે પણ આંખ હોવા છતાં એને આચ્છાદિત કરવાનું નક્કી કર્યું.

એણે એક વિમલ વસ્ત્રની અનેક ગડીઓ વાળીને એનાથી પોતાની બંને આંખ પર પાટો બાંધ્યો. એવી અવસ્થામાં એનો ભાઇ શકુનિ એને કૌરવો પાસે લાવ્યો. સર્વશ્રેષ્ઠ સત્કાર પામેલી ગાંધારીને એણે ધૃતરાષ્ટ્રને અર્પી. ભીષ્મની અનુમતિથી ધૃતરાષ્ટ્રનો ગાંધારી સાથે વિવાહ થયો.

શકુનિ સત્કાર પામીને પોતાના નગરમાં ગયો ને ગાંધારી સદગુણ, સદવિચાર, સદાચારથી સૌને સંતોષવા લાગી.

એક પત્ની પતિ પ્રત્યેના પવિત્ર પ્રેમ અને પૂજ્ય ભાવથી પ્રેરાઇને કેવો ભોગ આપી શકે તે વાત ગાંધારીના જીવનવ્યવહાર પરથી સમજી શકાય છે. પતિ પ્રજ્ઞાચક્ષુ છે તો પોતે પણ નથી નિહાળવું, આંખને બંધ ઢાંકેલી જ રાખવી છે, એવો ગાંધારીનો નિર્ણય આદર્શ અથવા અનુકરણીય ના લાગે તોપણ પવિત્ર પ્રેમનો પરિચાયક અને સમર્પણભાવનો સૂચક કે સંદેશાવાહક તો લાગશે જ એમાં સંદેહ નથી. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *