Thursday, 19 September, 2024

ઈન્દ્રનું વરદાન

237 Views
Share :
ઈન્દ્રનું વરદાન

ઈન્દ્રનું વરદાન

237 Views

An interesting story marks the end of Adi Parva of Mahabharata. When Khandav van was set on fire, Maydānav, who was residing in that forest ran for cover. Krishna saw him and at once decided to kill him with his Sudarshan chakra. Maydānav was principal architect of demons and was worthy of death. On the other hand, Agnidev (deity of fire) also chased Maydānav. When death looked certain, Maydānav surrendered to Arjuna and asked for help. Arjuna gave him protection so Krishna took back his Sudarshan chakra.

Lord Indra was very happy at Arjuna’s act so he asked Arjuna to express his wish. Arjuna asked for extraordinary weapons which Lord Indra promised in future. Krishna asked for Arjuna’s friendship. The moral of the story: protection to the one who surrender and second, do not give anything out of time.  Indra did not offer weapons instantly and promised to give in future. When the recepient is not ready or capable, giving anything is useless. There is always a right time to give and that too, to a right person.

મહાભારતના આરંભના આદિપર્વના અંતભાગમાં ખાંડવવનના દહનની વાત આવે છે.

ઇન્દ્રથી રક્ષાયેલા ખાંડવવનને અગ્નિએ શ્રીકૃષ્ણ અને અર્જુનના સંયુક્ત સહકારથી પંદર દિવસ સુધી ચારે તરફથી બાળી નાખ્યું.

એ વિશાળ વન ખૂબ જ ભયંકર રીતે બળી રહેલું ત્યારે કૃષ્ણે મય દાનવને પોતાની જાતને બચાવવા માટે તક્ષકના ભવનમાંથી નાસી જતો જોયો.

વાયુરૂપી સારથિવાળા અગ્નિએ સશરીર થઇ, જટાધારી બની, વાદળની પેઠે ગર્જના કરીને એને પકડવાનો વિચાર કર્યો.

પરંતુ એ દાનવોના સર્વશ્રેષ્ઠ શિલ્પી તરીકે સુપ્રસિદ્ધ હોવાથી કૃષ્ણે પોતે જ એના નાશના નિર્ણયથી પ્રેરાઇને સુદર્શન ચક્રને ઉગામ્યું.

મયદાનવે એથી નાહિંમત બની તથા ડરીને અર્જુનની પાસે દોડી જઇને એની મદદ માગી. અર્જુન, દયા કરીને દોડો અને મને બચાવી લો.

એના દયાજનક શબ્દોને સાંભળીને અર્જુનને દયા આવી.

અર્જુને એને જીવતદાન આપીને જણાવ્યું કે તારે લેશ પણ ડરવાની આવશ્યકતા નથી. તને આ અસાધારણ અસહ્ય અગ્નિજ્વાળામાંથી ઉગારી લેવામાં આવશે.

અર્જુને એને અભયદાન આપ્યું છે એવું જાણીને કૃષ્ણે એના નાશના સંકલ્પને છોડી દીધો.

અગ્નિએ પણ એને બાળ્યો નહીં. અગ્નિએ પરમ સંતોષ પામીને અર્જુનને પોતાનું પ્રત્યક્ષ અલૌકિક દર્શન આપ્યું.

મરુદગણોથી ઘેરાયલા ઇન્દ્રે પણ અંતરીક્ષમાંથી નીચે ઊતરીને કૃષ્ણને અને અર્જુનને જણાવ્યું કે તમે જે કર્મ કર્યું છે તે દેવોથી પણ નથી કરી શકાય તેમ. તમે મારી પાસેથી ઇચ્છાનુસાર વરદાન માગો.

અર્જુને ઇન્દ્ર પાસેથી સઘળાં અમોઘ અસ્ત્રોની માગણી કરી. ઇન્દ્રે એને કહ્યું કે તારા તીવ્ર તપથી તારા પર મહાદેવ પ્રસન્ન થશે ત્યારે સુયોગ્ય સમય સમજીને હું તને એ સર્વ અમોઘ અસ્ત્રોને અર્પણ કરીશ.

કૃષ્ણે અર્જુન સાથેના અવિચળ સ્નેહસંબંધની માગણી કરી. ઇન્દ્રે એ માગણીને સ્વીકારીને દેવે સાથે સ્વર્ગપ્રતિ પ્રયાણ કર્યું.

અગ્નિએ પરમતૃપ્તિ પામીને કૃષ્ણને અર્જુન સાથે પ્રસન્નતાપૂર્વક વિદાય આપીને સ્વેચ્છાપૂર્વક અન્યત્ર જવાની સૂચના કરી એટલે કૃષ્ણે અર્જુન અને મયદાનવ સાથે સમીપવર્તી સરિતાના પ્રશાંત પવિત્ર તટપ્રદેશ પર પહોંચીને વિશ્રામ કર્યો. એમણે માગેલા વરદાન પરથી એમનો અર્જુનને માટેનો પ્રેમ દેખાઇ આવે છે.

અર્જુને મયદાનવને અભયદાન આપ્યું એ ઘટનાપ્રસંગ એના શરણાગતને રક્ષાભાવની સાક્ષી પૂરે છે. એને તપશ્ચર્યા પછી સુયોગ્ય સમયે અમોઘ અસ્ત્રોને અર્પવાની ઇન્દ્રે બતાવેલી તૈયારી ઉત્તમ વસ્તુ અધિકારીને જ અર્પવાની વિવેકશક્તિ, તૈયારી તથા ચીવટ દર્શાવે છે. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *