Sunday, 8 September, 2024

Adhyay 3, Pada 1, Verse 06-07

103 Views
Share :
Adhyay 3,  							Pada 1, Verse 06-07

Adhyay 3, Pada 1, Verse 06-07

103 Views

६. अश्रुतत्वादिति चेन्नेष्टार्दिकारिणां प्रतीतेः ।

અર્થ
ચેત્ = જો એવું કહેવામાં આવે કે.
અશ્રુતત્વાત્ = શ્રુતિમાં જીવાત્માનું તત્વોની સાથે ગમનનું વર્ણન નથી મળતું એટલા માટે (જીવાત્મા એમની સાથે જાય છે એવું કહેવાનું તર્ક સંગત નથી.)
ઈતિ ન = તો એ વાત બરાબર નથી.
ઈષ્ટાદિકારિણામ્ = (કારણ કે) એ જ પ્રસંગમાં શુભાશુભ કર્મ કરવાવાળાનું વર્ણન છે.
પ્રતીતેઃ = એટલે આ શ્રુતિમાં એ શુભાશુભકારી જીવાત્માઓના વર્ણનની પ્રતીતિ સ્પષ્ટ રીતે થઈ શકે છે, તેથી. (એવો વિરોધ અહીં નથી દેખાતો.)

ભાવાર્થ
જો કોઈ એવું કહેતું હોય કે એ પ્રકરણમાં શરીરને છોડીને જનારો જીવાત્મા એ તત્વોને લઈને જાય છે એવું વર્ણન નથી કરવામાં આવ્યું. પરંતુ પાણીના નામથી તત્વોનું જ પુરૂષરૂપમાં પલટાવાનું કહેવામાં આવ્યું છે, તેથી જીવાત્મા તત્વોની સાથે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે એવું ના કહેવું જોઈએ, તો એ કથન બરાબર નથી. કારણ કે છાંદોગ્ય ઉપનિષદના એ જ પ્રકરણમાં આગળ પર જણાવવામાં આવ્યું છે કે શુભ કર્મ કરનારાને ઉત્તમ યોનિની અને અશુભ કર્મ કરનારાને અધમ યોનિની પ્રાપ્તિ થાય છે. એ વર્ણન પરથી પુરવાર થાય છે કે શુભાશુભ કર્મ કરનારો જીવાત્મા એ તત્વોની સાથે એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રયાણ કરે છે. એવી રીતે એ પ્રકરણની વિચારધારામાં કશો દોષ નથી દેખાતો.

७. भाक्तं वानात्मवित्त्वात्तथा हि दर्शयति ।

અર્થ
અનાત્મવિત્વાત્ = એ લોકે આત્મજ્ઞાની નહિ હોવાથી (આત્મજ્ઞાની કરતાં એમની હીનતા બતાવવા માટે.
વા = જ.
ભાક્તમ્ = એમને દેવોનું અન્ન કહેનારી શ્રુતિ ગૌણ છે.
હિ = કારણ કે
તથા = એવી રીતે (એમની હીનતાના અને સ્વર્ગલોકમાં વિવિધ ભોગોના ઉપભોગને) પણ.
દર્શયતિ = શ્રુતિ કહી બતાવે છે.

ભાવાર્થ
ઉપનિષદમાં સકામ ભાવથી શુભ કર્મ કરનારાને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે એવું જણાવવામાં આવ્યું છે તેની સાથે એવું પણ કહ્યું છે, કે સ્વર્ગમાં જનારો એ પુરૂષ દેવોનું અન્ન છે અને દેવો એનું ભક્ષણ કરે છે. એનો અર્થ તો એવો થયો કે દેવોના ભક્ષ્યને બરાબર હોવાને લીધે એ પુરૂષથી સ્વર્ગમાં રહી શકાશે જ નહિ. એવી વિચારસરણીના અનુસંધાનમાં એનું સ્પષ્ટીકરણ કરતાં કહેવામાં આવે છે કે શુભ કર્મ કરીને સ્વર્ગપ્રાપ્તિ કરનારા આત્મજ્ઞાન વગરના પુરૂષની આત્મજ્ઞાની પુરૂષની સરખામણીમાં હીનતા બતાવવા માટે જ બૃહદારણ્યક ઉપનિષદમાં એમને દેવોના અન્ન કહેવામાં આવ્યા છે.

દેવો તો અમૃતપાનથી જ પરિતૃપ્તિને અનુભવતા હોવાથી એમને માટે કોઈનું ભક્ષણ કરવાનો પ્રશ્ન જ નથી પેદા થતો. સ્વર્ગમાં જનારા પુરૂષો દેવોના ભોગ્ય કે સેવક હોય છે એવું દર્શાવવા માટે જ એમને દેવોના ભક્ષ્ય માનવામાં આવ્યા છે. જો સ્વર્ગમાં જનારા પુરૂષો દેવોના ભક્ષ્ય હોય ને દેવો એમનું ભક્ષણ કરી જતા હોય એવો ઉપનિષદનો સૂચિતાર્થ હોય તો એ જ ઉપનિષદ એવું ના કહે કે સત્કર્મો દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ કરીને પુરૂષ ત્યાં વાસ કરે છે. એનું એવું કથન તદ્દન મિથ્યા જ ઠરે અથવા અર્થ વગરનું સાબિત થાય. એટલા માટે એવા અકારણ અનુચિત અર્થઘટનને બદલે એ શબ્દોના ભાવાર્થને જ ગ્રહણ કરવો જોઈએ. એવા ભાવાર્થ દ્વારા ઉપનિષદના હાર્દને સારી પેઠે સમજી શકાય છે.

ગીતામાં પણ જણાવ્યું છે કે ‘વિશાળ સ્વર્ગલોકના ભોગોને ભોગવીને પુણ્યનો ક્ષય થતાં એ પુરૂષો મૃત્યુ લોકમાં પ્રવેશ કરે છે. એવી રીતે વેદોક્ત ધર્મનું આચરણ કરનારા એ પુરૂષો ભોગરત બનીને આવાગમનને પ્રાપ્ત કરે છે.’

ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ।
एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ॥  (અધ્યાય ૯, શ્લોક ૨૧)

એ કથન પણ ઉપનિષદની સ્વર્ગવિષયક વિચારસરણીનું સમર્થન કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *