Friday, 26 July, 2024

અર્જુનની એકાગ્રતા

188 Views
Share :
અર્જુનની એકાગ્રતા

અર્જુનની એકાગ્રતા

188 Views

Drona decided to test archery skills of his students so he took them to a place where a bird was seated on a tree. He then asked everyone to hit bird’s eye with an arrow. But before hitting with an arrow, he asked everyone what they were looking at. Duryodhan, Yudhisthir and other Kauravas and Pandavas replied that they could see bird as well as other objects. While Arjuna replied that he saw nothing beside bird’s eye. Drona was very happy at his reply and blessed him that he will become the best archer in the world.

This incident gives an important message to every spiritual aspirant. It is imperative for an aspirant to concentrate all his energy on achievement of his goal. If an aspirant digresses and looks at other objects, spiritual powers or material pleasures coming in his way, he is likely not to reach to his destination. Concentration is a virtue by which one can attain whatever he or she wishes.  

 
એકલવ્યની અસાધારણ ધનુર્વિદ્યા-કારકિર્દીનો એકાએક અકલ્પનીય રીતે અંત આવ્યો અને એ વિદ્યાક્ષેત્રમાં પોતાનો કોઇ પ્રતિસ્પર્ધી ના રહ્યો એટલે અર્જુન ચિંતામુક્ત અને પ્રસન્ન બન્યો. એના જીવનના વ્યોમમાં વ્યાપેલાં ભય તેમ જ વિષાદનાં વાદળાં સહેલાઇથી ને સદાને માટે દૂર થઇ ગયાં.

દ્રોણાચાર્ય પાસેથી વિદ્યાને પ્રાપત કરીને ભીમ અને દુર્યોધન ગદાયુદ્ધમાં નિષ્ણાત નીવડયાં. અશ્વત્થામા સઘળી વિદ્યાના ગુપ્તજ્ઞાનમાં સર્વોત્તમ ઠર્યો. નકુલ તથા સહદેવ બંને ખડગવિદ્યામાં બીજા બધા શિષ્યો અથવા સહપાઠીઓ કરતાં નિપુણ થયા. યુધિષ્ઠિર રથીઓમાં શ્રેષ્ઠ બન્યાં. અર્જુન સઘળી વિદ્યાઓમાં સિદ્ધહસ્ત બની ગયો અને રથીઓના દલપતિઓના દલપતિ તરીકે સમુદ્રપર્યંતની પૃથ્વીમાં પ્રસિદ્ધિ પામ્યો.

અસ્ત્રવિદ્યાનું અદભુત અધ્યયન સૌને સમાન રીતે કરાવવામાં આવતું હોવા છતાં પણ અર્જુન એ વિદ્યાક્ષેત્રે સૌથી આગળ વધી ગયો અને દ્રોણાચાર્યનો વિશેષ કૃપાપાત્ર બન્યો.

સૌથી વધારે સામર્થ્યવાન ભીમ અને સઘળી વિદ્યાઓમાં વિશારદ અર્જુનને માટે કૌરવો કટુતા તથા સહજ વિદ્વેષનો વિપરીત ભાવ રાખવા માંડયા.

દ્રોણાચાર્ય એનાથી સુપરિચિત હતા.

એકવાર એમને એ સૌની વેધશક્તિને જાણવાની ઇચ્છા થવાથી, એમણે કુશળ શિલ્પી પાસે એક કુત્રિમ પક્ષીને તૈયાર કરાવ્યું. એને વૃક્ષની ટોચ પર રખાવીને શસ્ત્રાસ્ત્રવિદ્યામાં આગળ વધેલા સઘળા શિષ્યોને એકત્ર કરીને લક્ષ્ય તરીકે ઓળખાવ્યું.

સૌને ધનુષબાણ સાથે એકત્ર થઇ, શરસંધાન કરી, એ પક્ષીને તાકીને ઊભા રહેવા જણાવ્યું.

સૌથી પ્રથમ યુધિષ્ઠિરને પક્ષીને વીંધવા માટે તૈયાર થવાનો આદેશ આપ્યો. એ આદેશને અનુસરીને યુધિષ્ઠિર હાથમાં ધનુષબાણ લઇને ધનુષ પર બાણને ચઢાવીને, વિહંગને વીંધવા માટે તૈયાર થયા એટલે દ્રોણાચાર્યે પૂછયું કે ” વૃક્ષની ઉચ્ચોચ્ચ શાખ પર બેઠેલા પેલા પક્ષીને જુએ છે ?”

“જોઉં છું.” યુધિષ્ઠિરે ઉત્તર આપ્યો.

“વૃક્ષને, મને, તથા તારા ભાઇઓને પણ જુએ છે ?”

“હા, વૃક્ષને, તમને તથા મારા ભાઇઓને પણ જોઉં છું.”

યુધિષ્ઠિરના એ શબ્દોને સાંભળીને દ્રોણાચાર્યે એકદમ અપ્રસન્ન બનીને ઠપકો આપતા હોય એમ જણાવ્યું કે “તારાથી વિહંગને વીંધી શકાશે નહીં. માટે તું એક તરફ હઠી જા.”

દ્રોણાચાર્યની આજ્ઞા પ્રમાણે યુધિષ્ઠિરે એક તરફ હઠીને પ્રેક્ષક તરીકે ઊભા રહેવાનું પસંદ કર્યું.

એ પછી દ્રોણાચાર્યે દુર્યોધનને તથા બીજા કૌરવોને, ભીમ અને પાંડવોને, તેમજ જુદાજુદા દેશોના રાજકુમારોને વારાફરતી એવા જ પ્રશ્નો પૂછી જોયા. સૌએ યુધિષ્ઠિર જેવા જ પ્રત્યુત્તરોને પ્રદાન કરવાથી એમને હરીફાઇમાંથી હઠી જવા માટે જણાવ્યું.

સૌએ એમની સૂચનાનો અમલ કર્યો એટલે એમણે અર્જુનને આગળ આવવા માટે કહીને પૂછયું કે “તું પેલા વૃક્ષને, વિહંગને ને મને જોઇ શકે છે ?”

અર્જુને તરત જ ઉત્તર આપ્યો કે “હું તમને કે વૃક્ષને નથી જોતો, પરંતુ એકલા પંખીને જ જોઇ રહ્યો છું.”

એના પ્રત્યુત્તરથી પ્રસન્ન બનીને દ્રોણાચાર્યે ફરીવાર પૂછયું કે તું જો પંખીને જ પેખતો હોય તો એ પંખી કેવું છે તે વર્ણવી શકશે ?

અર્જુને વિશેષ સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું કે “હું પક્ષીના મસ્તકને જ જોઉં છું, ધડને નથી જોતો.”

દ્રોણાચાર્યે અતિશય આનંદમગ્ન બનીને અર્જુનને બાણ મારવાનો આદેશ આપ્યો એટલે અર્જુને બાણ મારીને પંખીના મસ્તકને ધડથી અલગ કર્યું.

એ અદભુત અદૃષ્ટપૂર્વ પરાક્રમને પેખીને પ્રસન્નતાના પારાવારમાં ડૂબેલા ભાવવિભોર દ્રોણાચાર્યે અર્જુનને આલિંગીને આશીર્વાદ આપ્યા.

એમને ખાતરી થઇ કે અર્જુન યુદ્ધમેદાનમાં દ્રુપદને હરાવી શકશે.

એ પ્રસંગ એ સમયના અન્ય ધનુર્વિદો કરતાં અર્જુનની ઉત્તમતાને પુરવાર કરે છે. પરંતુ એની સાથેસાથે એક અન્ય અગત્યની હકીકત પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે કે કોઇપણ કાર્યની કે વસ્તુની સંપૂર્ણ સિદ્ધિને માટે મનની સ્થિરતા અથવા એકાગ્રતા અનિવાર્યરૂપે આવશ્યક હોય છે. એ વસ્તુ સાથે તન્મય થવું ઘટે છે. ઉપનિષદમાં જણાવ્યું છે કે પ્રણવ ધનુષ્ય છે, આત્માનું બાણ છે, પરબ્રહ્મ પરમાત્માનું પ્રાપ્તવ્ય કે લક્ષ્ય છે. એ લક્ષ્યને, પ્રમાદને પરિત્યાગીને, પરમ પુરુષાર્થી બનીને, એકાગ્રતાપૂર્વક સાવધાન થઇને, વીંધવું જોઇએ, અને છેવટે આત્માને એની સાથે ઓતપ્રોત કરવો જોઇએ.

प्रणवो धनुः शरो हवात्मा, ब्रह्म तल्लक्षमुच्यते ।
अप्रमत्तेन वेद्धव्यं, शरवत्तन्मयो भवेत् ॥

સાધકોને સારુ એમાં સંદેશ સમાયેલો છે. સાધકની ચિત્તવૃત્તિ અન્ય સઘળા પદાર્થોમાંથી પાછી વળીને પરમાત્મામાં પ્રતિષ્ઠા પામે અને એકાગ્ર બને છે ત્યારે એને પરમાત્માનું રહસ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. પરમાત્માનો સાક્ષાત્કાર સાંપડે છે. એકાગ્રતા કેવી અદભુત હોવી જોઇએ એનો ખ્યાલ અર્જુનના એ ઉદાહરણ પરથી આવી શકે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *