Saturday, 27 July, 2024

દમયંતીનો ત્યાગ

211 Views
Share :
દમયંતીનો ત્યાગ

દમયંતીનો ત્યાગ

211 Views

{slide=Nal leave Damayanti}

Nal and Damayanti felt as if they were in cloud nine but their happiness did not last long. Nal’s brother, Pushkar invited Nal for the game of dice. In spite of warning by his friends, Nal played with his brother and lost everything. When Damayanti knew that Nal lost everything in game of dice, she sent her two kids to her father’s place and set out in exile with Nal.
During the exile nobody supported Nal-Damayanti as Pushkar made an announcement in their kingdom that whoever would show compassion towards them would be punished. Without food and water, Nal and Damayanti became tired. They had only one cloth to hide their body. Unfortunately, birds took away Nal’s only cloth. Damayanti shared her cloth and they moved ahead. Nal repeatedly advised Damayanti to go to her father’s place as Nal could not see Damayanti suffering in the forest. Finally, Nal decided that the only way to see her happy was to abandon Damayanti. That way, she would be forced to go to her father’s place. With great pain, Nal implemented his plan and left Damayanti while she was sleeping.  

જીવનના આટાપાટા એટલા બધા અટપટા અથવા અસાધારણ રહસ્યમય હોય છે કે સામાન્ય તો શું પરંતુ અસામાન્ય માનવને પણ એમની ખબર નથી પડતી. એમના મર્મને જાણવાનું કઠિન હોય છે. એ આટાપાટાની રમત ક્યારે કેવો રંગ બદલશે તે વિશે કશું જ ચોક્કસપણે નથી કલ્પી શકાતું કે નથી કહી શકાતું. ઘડી પછી શું થશે તેની માહિતી મોટે ભાગે કોઇને નથી મળતી. એ આટાપાટાની રસમય રમતમાં ક્ષણમાં જીતવાનો સંભવ રહે છે તો ક્ષણમાં હારનો. ક્ષણમાં હસવાનું હોય છે તો ક્ષણમાં રડવાનું. કોઇવાર લાભ થાય છે તો કોઇવાર હાનિ. કોઇવાર સંપત્તિ મળે છે તો કોઇકવાર વિપત્તિ. કોઇકવાર અભ્યુત્થાનનો અનુભવ થાય છે તો કોઇકવાર અધઃપતનનો. બુદ્ધિ સુધરે છે અને બગડે છે પણ ખરી.

મહારાજા નળને એવો અનુભવ થયો.

એને એના કોઇક પૂર્વકર્મના સુપરિણામરૂપે દમયંતી મળી ત્યારથી એના જીવનમાં સ્વર્ગીય સુખશાંતિનું સામ્રાજ્ય છવાઇ ગયું. એને એવું લાગ્યું કે જીવન પરિપૂર્ણ બની ગયું, ધન્ય બની ગયું. હવે એમાં કશું જ કરવાનું, કશું જ મેળવવાનું, શેષ ના રહ્યું. પરંતુ એ પરિસ્થિતિ સુદીર્ઘ સમય સુધી ના ટકી. માનવના જીવનની સુખાકારી, શાંતિ, સુદૃઢતા, સંગીનતા, સમુન્નતિ, સુરક્ષાનો આધાર એની સદબુદ્ધિ પર રહેતો હોય છે. નળની બુદ્ધિ એટલી બધી સત્યવતી ના રહી શકી. એટલે તો એને દ્યુતક્રીડામાં ભાગ લેવાનું મન થયું. દ્યુત વિનાશકારક છે, વ્યસન છે, એ વાતનું એને સ્મરણ ના રહ્યું. એવું શુભ સ્મરણ રહ્યું હોય તોપણ એ સ્મૃતિને એ અનુસરી ના શક્યો. જીવનમાં મદદરૂપ ના બનાવી શક્યો. પરિણામે એના જીવનમાં જ નહિ પરંતુ દમયંતીના જીવનમાં પણ આપત્તિના ઓળા ઊતરી પડયા. એનું જીવન અશાંત બની ગયું.

મહાભારતના આલેખનને અનુસરીને એ ઘટનાચક્રનો ઊડતો ઉલ્લેખ કરી લઇએ.

નળના ભાઇ પુષ્કરે કલિના કુટિલ પ્રભાવ નીચે આવીને નળને દ્યુત માટે આમંત્રણ આપ્યું. એની ઇચ્છા નળરાજાને દ્યુતમાં હરાવીને રાજા બનવાની ને સ્વતંત્ર રીતે રાજ્યસુખનો ઉપભોગ કરવાની હતી.

નળે દ્યુતના આમંત્રણનો સ્વીકાર કર્યો. દ્યુતના મદમાં મત્ત બનેલા તેને મિત્રો પણ સમજાવીને દ્યુતકર્મમાંથી પાછો વાળી શક્યા નહીં.

નળ દ્યુતમાં ધન, સુવર્ણ, વસ્ત્રો, વાહનો અને અન્ય સંપત્તિને હારી ગયો.

નળે દમયંતીની તથા સચિવોની શિખામણને નગણ્ય સમજીને મહિનાઓ સુધી દ્યુતકર્મમાં ભાગ લીધો.

એને હારેલો જાણીને દમયંતીએ સમયસૂચકતાને વાપરીને સારથિ વાર્ષ્ણેયને બોલાવીને સચિવોની સંમતિથી પોતાનાં બે બાળકોને પોતાના પિતા પાસે કુંડિનપુર મોકલી દીધાં.

સારથિ એ બાળકોને કુંડનિપુરમાં પહોંચાડીને અયોધ્યા પાછો ફર્યો.

નળ પોતાના રાજ્યને પણ હારી ગયો ત્યારે પુષ્કરે દમયંતીને હોડમાં મૂકવા માટે જણાવ્યું પરંતુ નળે એવું ખોટું સાહસ ના કર્યું.

સર્વ પ્રકારે પરાજય પામેલા નળે અંગ પરથી અલંકારોને ઉતારી નાખ્યા. એક જ વસ્ત્રને પહેરીને પુરની બહાર પ્રયાણ કર્યું.

દમયંતીએ પણ એક વસ્ત્ર સાથે એનું અનુસરણ કર્યું.

પુષ્કરે વિજયના મદમાં સમસ્ત નગરમાં ઢંઢેરો પિટાવેલો કે નળની સાથે જે કોઇ પણ સારો વ્યવહાર કરશે તેનો વધ કરવામાં આવશે, એટલે નગરજનો એના પ્રત્યે ઉદાસીન રહ્યા.

નળ-દમંયતીને નગરને છોડયા પછી ત્રણ દિવસ સુધી કેવળ પાણી પર રહેવું પડ્યું.

એ પછી નળ ફળ તથા કંદમૂળને મેળવવાની ઇચ્છાથી પ્રેરાઇને આગળ વધ્યો. એની પાછળ પાછળ દમયંતી ચાલી.

ક્ષુધાતુર નળે સુવર્ણસદૃશ પાંખવાળાં કેટલાંક પંખીઓને જોયાં.

એણે એ પંખીઓને પકડવા માટે એમની ઉપર પોતાના એકના એક વસ્ત્રને ઢાંકી દીધું તો એ વસ્ત્રને લઇને પંખીઓ એકાએક ઊડી ગયાં. ભાગ્યની ગતિ ન્યારી છે. નળે દમયંતીને આગળ વધવાના જુદાજુદા માર્ગો બતાવવા માંડયા, પરંતુ દમયંતી અચળ રહી અને વિપરીતતા તથા વિપત્તિના વખતમાં એનો ત્યાગ કરવા તૈયાર ના થઇ.

એણે નળને પોતાના પિતાની પાસે કુંડિનપુર પહોંચવાની ભલામણ કરી, પણ સ્વમાની નળને એ અવસ્થામાં ત્યાં પહોંચવાનું ઉચિત ના લાગવાથી, એ ભલામણોનો અસ્વીકાર કરવો પડ્યો.

અડધા અડધા વસ્ત્રને પહેરીને બંને આગળ ચાલ્યાં.

ક્ષુધા તથા તૃષાથી પીડાતાં તે બંને એક ધર્મશાળા પાસે પહોંચ્યાં ને પૃથ્વી પર સૂઇ ગયાં.

દમયંતી નિદ્રાધીન બની ગઇ પરંતુ નળને નિદ્રા ના આવી. એનું ચિત્ત ચગડોળે ચઢયું. એને થયું કે દમયંતીનો ત્યાગ કરવાથી એ કદાચ એના પિતા પાસે પહોંચીને સુખી થાય; મારી સાથે રહેવાથી તો દુઃખી જ થશે; એથી એનો ત્યાગ જ કલ્યાણકારક છે. એ પરમ યશસ્વિની, પરમ ભાગ્યશાળી, પતિવ્રતા હોવાથી એકલી પડશે તોપણ એનું અમંગલ નહિ થઇ શકે.

પાસે પડેલી તલવારની મદદથી દમયંતીના વસ્ત્રના બે ટુકડા કરીને, એક ટુકડાને શરીરે લપેટીને, એ એનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો.

એ તે સ્થાનમાં પુનઃ પાછો આવ્યો, ને દમયંતીને જોઇને રોવા લાગ્યો. અરે ! મારી પ્રિયાને પૂર્વે વાયુ અને સૂર્ય પણ દેખી શકતા નહોતા. તે આજે આ સ્થાનમાં ભૂમિ ઉપર  અનાથની જેમ સૂઇ રહી છે. મારાથી વિરહ પામેલી એ શુભ સતી મૃગો અને સાપોથી સેવાયેલા ઘોર વનમાં કેવી રીતે એકલી ફરશે ?

હે મહાભાગ્યવતી ! તું ધર્મથી અભિરક્ષિત છે. આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિનો અને મરુદગણો તારું રક્ષણ કરો. સંસારમાં અનુરૂપ રૂપવાળી પોતાની પ્રિય પત્નીને એ આ પ્રમાણે કહીને ઊઠીને ચાલવા માંડયો. નળ વારંવાર તે સ્થાને પાછો આવતો. એક બાજુ કલિ તેને ખેંચી રહ્યો હતો તો બીજી બાજુ પ્રેમ પાછો આકર્ષતો.

આખરે કલિથી પરવશ થયેલા, મોહમાં પડેલા, નળે પોતાની સૂતેલી સ્ત્રીને છોડી દીધી. મહાભારત સૂચવે છે કે મુસીબતમાં માનવની મતિ મલિન બને છે. સારાસારને ખોઇ બેસે છે. ના કરવાનું કરી નાખે છે. નળે પોતાના દમયંતીની સુરક્ષાના કર્તવ્યને તિલાંજલિ આપી એ એની નિર્બળતા કહેવાય. માનવે મનોબળથી મંડિત બનીને, ધૈર્યને સેવીને, કર્તવ્યરત બનવાની આવશ્યકતા છે. એનું ઘડતર જ એવું થવું જોઇએ કે એ દુઃખમાં પણ ડગે નહીં અને કર્મને, ધર્મને તજે નહીં.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *