Saturday, 27 July, 2024

દુર્ગા સ્તોત્ર

226 Views
Share :
દુર્ગા સ્તોત્ર

દુર્ગા સ્તોત્ર

226 Views

{slide=Durga Stotra}

It was an established custom to worship Goddess Durga before any battle. Krishna, therefore directed Arjun to offer his worship to Goddess Durga. Sage Vyas has narrated Arjun’s reverence in thirteen terse verses. Goddess Durga was pleased with Arjun’s worship so she blessed Arjun for victory in the ensuing battle with Kauravas.

સંગ્રામમાં સંપૂર્ણ સફળતા મેળવવા અથવા વિજય પ્રાપ્ત કરવા પ્રાચીનકાળમાં દૈવી શક્તિની કૃપાને પામવાનું આવશ્યક મનાતું. દૈવી શક્તિની શરણાગતિભાવ સાથેની પૂજા, ઉપાસના કે સ્તુતિ કેટલેક અંશે અનિવાર્ય લેખાતી.

મહાભારતના મહાભયંકર સંગ્રામને માટે કૌરવોના સુવિશાળ શક્તિશાળી સૈન્યને સુસજ્જ થયેલું નિહાળીને, ભગવાન કૃષ્ણે અર્જુનને પ્રતિસ્પર્ધીઓના પરાજય તથા પાંડવસૈન્યના વિજય માટે દુર્ગાસ્તોત્રનું પારાયણ કે જયગાન કરવાનો આદેશ આપ્યો.

એ આદેશને અનુસરીને અર્જુને દુર્ગાસ્તોત્રનો પાઠ કર્યો.

અર્જુને એના રથમાંથી નીચે ઉતરીને, બે હાથ જોડીને જે દુર્ગાસ્તોત્રનો પાઠ કર્યો તે સ્તોત્રપાઠ એના ભાવાર્થ સહિત આ પ્રમાણે છે–

नमस्ते सिद्धसेनानि आर्ये मंदरवासिनी ।
कुमारि कालि कापालि कपिले कृष्णपिंगले ॥

भद्रकालि नमस्तुभ्यं महाकालि नमोस्तु ते ।
चंडि चंडे नमस्तुभ्यं तारिणि वरवर्णिनि ॥

कात्यायनि महाभागे करालि विजये ज्ये ।
शिखिपिच्छध्वजधरे नानाभरणभूषते ॥

अट्टशूलप्रहरणे खड्गखेटकधारिणि ।
गोपेन्द्रस्यानुजे ज्येष्ठे नंदगोपकुलोदभवे ॥

महिषासूकप्रिये नित्यं कौशिक पीतवासिनी ।
अट्टहासे कोकमुखे नमोस्तेङस्तु रणप्रिये ॥

उमे शाकंभरि श्वेते कृष्णे कैटभनाशिनि ।
हिरण्याक्षि विरूपाक्षि सुधूम्राक्षि नमोस्तु ते ॥

वेदश्रुतिमहापुण्ये ब्रह्मण्ये जातवेदसि ।
जंबूकटकचैत्येषु नित्यं सन्निहितालये ॥

त्वं ब्रह्मविद्या विद्यानां महानिद्रा च देहिनाम् ।
स्कंदमातर्भगवति दुर्गे कांतारवासिनि ॥

स्वाहाकारः स्वधा चैव कला काष्ठा सरस्वती ।
सावित्री वेदमाता च तथा वेदांत उच्चते ॥

स्तुताङसि त्वं महादेवि विसुद्धनान्तरात्मना ।
ज्यो भवतु मे नित्यं त्वत्प्रसादद्रणाजिरे ॥
 
कांतारभयदुर्गेषु भक्तानां चालयेषु च ।
नित्यं वससि पाताले युद्धे जयसि दानवान् ॥

त्वं जंभनी मोहिनी च माया ह्रीः श्रीस्तथैव च ।
संध्या प्रभावती चैव सावित्री जननी तथा ॥

तुष्टिः पुष्टिर्धुतिदीप्तिश्चंद्रादित्यविवर्धिनी ।
भूतिर्भूतिमतां संख्ये वीक्ष्यसे सिद्धचारणै ॥

દુર્ગાસ્તોત્રના એ તેર શ્લોકોનો ભાવાર્થઃ-

હે સિદ્ધસેનાની ! હે આર્યા ! હે મન્દરવાસિની ! હે કુમારી !  હે કાલી ! હે કપિલા ! હે કૃષ્ણપિંગલા ! તમને મારા નમસ્કાર હો.

તમને નમસ્કાર હે ભદ્રકાલી ! તમને નમસ્કાર હે મહાકાલી ! હે ચંડી ! હે ચંડા ! હે તારિણી ! હે વરવર્ણિની ! તમને મારા નમસ્કાર હો.

હે કાત્યાયની ! હે મહાભાગા ! હે કરાલી ! હે વિજ્યા ! હે જ્યા ! હે મોરપીંછની ધજાને ધારણ કરનારાં ! હે વિવિધ આભૂષણથી વિભૂષિત થયેલાં ! હે અતિતીવ્ર શૂલરૂપી આયુધને ધારણ કરનારાં ! હે ખડગ તથા ખેટકને ધારણ કરનારાં ! હે ગોપેન્દ્ર શ્રીકૃષ્ણના નાના બહેન ! હે જયેષ્ઠા ! હે નંદગોપના કુલમાં જન્મેલાં ! હે મહિષાસુરના રક્તની નિત્ય પ્રીતિવાળાં ! હે કુશિક કુલમાં ઉત્પન્ન થયેલાં ! હે પિતાંબરધારિણી ! હે અટ્ટહાસવાળાં ! હે ચક્રના જેવા ગોળ મુખવાળાં ! હે રણપ્રિયા, તમને નમન હો.

હે ઉમા ! હે શાકંભરી ! હે શ્વેતા ! હે કૃષ્ણા ! હે કૈટભનાશિની ! હે હિરણ્યાક્ષી ! હે વિરૂપાક્ષી ! હે સુધૂમ્રાક્ષી ! તમને નમસ્કાર હો.

વેદશ્રુતિમાં મહાપુણ્યરૂપિણી ! બ્રહ્મસ્વરૂપિણી ! ભૂતકાળના જ્ઞાનવાળાં, જંબુદ્વીપની રાજધાનીઓમાં તથા દેવાલયોમાં નિવાસ કરનારા ! તમને મારા નમસ્કાર હો.

વિદ્યાઓમાં તમે બ્રહ્મવિદ્યા છો, દેહધારીઓમાં તમે મહાનિદ્રા (મુક્તિ) છો, હે સ્કંદજનની ! હે ભગવતી ! હે દુર્ગા ! હે કાન્તારવાસિની ! તમને મારાં નમસ્કાર હો.

તમે જ સ્વાહાકાર છો, સ્વધા છો, કલા છો, કાષ્ઠા છો, અને સરસ્વતી છો. તમે જ વેદમાતા સાવિત્રી છો, અને વેદાન્ત તરીકે વખણાવ છો.

હે મહાદેવી ! વિશુદ્ધ અંતઃકરણથી મેં તમારી સ્તુતિ કરી છે તો તમારી કૃપાથી રણસંગ્રામમાં મારો નિત્ય જય થાવ.

તમે વનોમાં, ભયસ્થાનોમાં, દુર્ગમ સ્થળોમાં અને ભક્તોના ધામમાં નિત્ય નિવાસ કરો છો. તમે પાતાલમાં રહીને નિત્ય દાનવોને યુદ્ધમાં જીતો છો.

તમે જ આળસ, મોહિની, માયા, હ્રી અને શ્રી છો. તમે જ સંધ્યા, પ્રભાવતી, સાવિત્રી અને જનની છો.

તુષ્ટિ, પુષ્ટિ, દ્યૃતિ, તેમ જ ચંદ્ર અને સૂર્યને વધારનારી દીપ્તિ તમે જ છો. તમે જ ઐશ્વર્યવાનોનું ઐશ્વર્ય છો. સિદ્ધો તથા ચારણો સંગ્રામમાં તમારાં જ દર્શન કરે છે.

પૃથાનંદન અર્જુનની ભક્તિને લક્ષમાં લઇને માનવો ઉપર વાત્સલ્ય રાખનારાં દેવી અંતરીક્ષમાં રહીને ગોવિંદની આગળ આવીને ઊભાં રહ્યાં અને કહેવા લાગ્યાં કે, હે પાંડવ ! તું થોડાં જ સમયમાં શત્રુઓને જીતી લેશે. તું નારાયણના સાથવાળો નર છે. રણમાં રિપુઓથી, અરે ! સ્વયં વજ્રધારી ઇન્દ્રથી પણ અજેય છે.

આમ કહી તે વરદાયિની દેવી એક ક્ષણમાં જ અંતર્ધાન થઇ ગયાં.

એ પ્રમાણે વરદાન પામીને કુન્તીપુત્ર અર્જુને પોતાનો વિજય નિશ્ચિત છે એમ માન્યું.

પછી એક રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્યશંખોને વગાડયા.

આ સ્તોત્રના પાઠના ફળ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહ્યું કે જે મનુષ્ય પ્રભાતે ઊઠીને આ સ્તોત્રનો પાઠ કરે છે તેને યક્ષો, રાક્ષસો અને પિશાચોનો કદી ભય નથી રહેતો. તેને શત્રુઓ રહેતા નથી, અને સર્પાદિ પ્રાણીઓનો ભય રહેતો નથી. તેને વિવાદમાં વિજય મળે છે, અને તે બંધનમાં પડયા હોય તો તે બંધનમાંથી મુક્તિ મેળવે છે. તે સંકટને અવશ્ય તરી જાય છે. ચોરોથી મુક્ત થાય છે. સંગ્રામમાં નિત્ય વિજય પામે છે, અને નિર્ભેળ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. તે આરોગ્ય અને બળથી સંપન્ન થાય છે, તથા સો વરસનું આયુષ્ય મેળવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *