Friday, 26 July, 2024

ગુજરાતી નિબંધ

195 Views
Share :
ગુજરાતી નિબંધ

ગુજરાતી નિબંધ

195 Views

‘નિબંધ’ શબ્દ સંસ્કૃત ભાષામાં પણ વપરાયેલો છે. અંગ્રેજીમાં નિબંધ માટે ‘Essay’ શબ્દનો પ્રયોગ થાય છે. ‘નિઃ+બંધ’ એમ જોડાણ થઈને નિબંધ શબ્દ બન્યો છે. ‘નિઃ’ એટલે પ્રેપૂરું અને ‘બંધ’ એટલે બંધાયેલું, ગંઠાયેલું અને રચાયેલું. કોઈ એક વિષય પર મુદાસર અને ક્રમબદ્ધ સૂચવેલી માહિતી આપવી એનું નામ નિબંધ.

નિબંધ વિશે મહત્ત્વની થોડી બાબતો વિશે આપણે ચિંતન કરીએ

  1. નિબંધના ‘શીર્ષક’ વિશે સૌપ્રથમ વિચાર થવો જોઈએ. શીર્ષકના આધારે નિબંધલેખનમાં કહ્યા મુદાઓ સમાવવા તેનો ખ્યાલ આવે છે. 
  2. નિબંધના બધા મુદ્દાઓનું અનુસંધાન તેનું શીર્ષક બની રહેવું જોઈએ. વિષયની બહાર જઈ મુદાઓની ચર્ચા કરવી-એમાં વિષયનું તાદૃશ્ય જળવાઈ શકતું નથી.
  3. શીર્ષકના આધારે તેના મુદાઓની નોંધ કર્યા પછી કયા મુદ્દાને કેટલો અને કેવી રીતે વિસ્તારવો છે તેનું મનન કરવું જોઈએ.
  4. મુદ્દાને અનુરૂપ અને વિષયને સંગત હોય તેવા અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, ગુજરાતી કે અન્ય જાણીતી ભાષાની પંક્તિઓ, સુભાષિતો, વગેરેનો ઉપયોગ નિબંધમાં કરવા જોઈએ, નિબંધના મુદાઓમાં અલગ-અલગ સ્થાને તે મુકાય; એકસાથે બધી જ પંક્તિઓ એક જ મુદામાં ન લખાય તેની સાવધાની રાખવી જોઈએ.
  5. વાક્યો અતિશય લાંબો ન થાય તેનો લખતી વખતે ખાસ ખ્યાલ રાખવો.
  6. પરિચ્છેદની સપ્રમાણતા જળવાઈ રહે તેવી કાળજી કરવી, અને
  7. વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થાય, અનુસ્વાર, જોડણી વગેરે પણ યોગ્ય રીતે લખાય તેની ખાસ કાળજી રાખવી.
  8. નિબંધનો પ્રથમ મુદ્દો પ્રસ્તાવના અને છેલ્લે મુદ્દો ઉપસંહાર યોગ્ય રીતે લખાય તે ખાસ જોવું. નિબંધના થોડા નમુનાઓ જોઈ જવાથી આ કુશળતા આવી જશે.
  9. કાગળમાં યોગ્ય હાંસિયો રખાય, મુદાઓ લખવામાં થોડા મોટા અક્ષર લખાય, ફકરા-પરિચ્છેદની શરૂઆતમાં યોગ્ય જગ્યા છોડાય અને પ્રત્યેક પેટા મુદાને અંતે ગુરુવિરામ મુકાય તે પણ ખાસ જોવું.
  10. પરીક્ષામાં પુછાતા નિબંધો વિદ્યાર્થીની વય-કક્ષા અને અનુભવ જગતને ધ્યાને રાખીને જ પુછાય છે, એટલે ‘શીર્ષક’ ઉપર થોડું મનન કરવાથી તે વિષય-નિરૂપણ માટેના મુદ્દાઓ અને રજૂઆતના શબ્દો અવશ્ય મળી આવે છે, પણ હા, એ માટે અગાઉ થોડા નિબંધો જોઈ જવા જરૂરી ગણાય.
  11. નિબંધ પૂરેપૂરો લખાઈ જાય પછી તેને ઓછામાં ઓછા એક વખત અવશ્ય વાંચી જવો જોઈએ, જેથી તેમાં રહેલી નાની પણ જરૂરી ક્ષતિઓ સુધારી શકાય છે
  12. સારું લખાણ લખવા માટે રોજબરોજની વૈશ્વિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આજુબાજુની મહત્ત્વની ઘટનાઓ વિશે જાણકારી પ્રાપ્ત થતી રહેવી જોઈએ. એ માટે વર્તમાનપત્રો, સામયિકો, સમાચારો સાથે નાતો જોડવો-જોડી રાખવો જોઈએ.

આટલી મહત્ત્વરૂપ બાબતોની કાળજી રાખવાથી આપણે અવશ્ય સારું લેખન કરી શકીએ છીએ. લેખન એ મહાવરાનો વિષય છે એટલે ક્રમશઃ આ વિષયમાં ચોક્કસ કુશળ બની શકાય છે.

આપણે ‘પુરુષાર્થ‘ વિષય પર લેખન કરવું હોય તો કેવી રીતે મુદાઓનો વિચાર કરવો તેનો નમૂનો જોઈએ:

સૌપ્રથમ આપણે વિચારીશું – 

  • પુરુષાર્થ એટલે શું ? 
  • પુરુષાર્થ વિશે બીજાના – અનુભવીઓના કેવા ખ્યાલો છે ? 
  • નસીબથી બધું સારું ગોઠવી શકાય કે પુરુષાર્થનો ખપ પડે ? 
  • પ્રારબ્ધીઓ અને પુરુષાર્થીઓ બંનેમાંથી કોણ ચડિયાતું ગણાય ? 
  • આપણે કેવા બનવું જોઈએ ? 
  • પુરુષાર્થ દ્વારા કંઈક પામ્યાં હોય એવાં કોણ કોણ ? 

આટલો વિચાર કર્યા પછી આપણા મનમાં લેખનના મુદાઓની એક રૂપરેખા આવી ગઈ હશે. હવે આપણે તેને આ મુજબ ક્રમમાં ગોઠવીશું.

  1. પ્રસ્તાવના 
  2. પુરુષાર્થ અને પ્રારબ્ધની તુલના 
  3. પુરુષાર્થનું મહત્ત્વ અને જરૂરિયાત
  4. પુરુષાર્થીઓની સિદ્ધિઓ 
  5. ઉપસંહાર

તમે જોયું ને…? વિચારનાં બિંદુઓ સાંકળીને મુદ્દાઓ તૈયાર કરી શકાય. હવે આ વિષષ નિરૂપણ માટેના મહાન પુરુષાર્થીઓ અને નોંધપાત્ર અવતરણો વિશે વિચારીએ :

‘ગાંધીજી’, ‘સરદાર વલ્લભભાઈ’, ‘રવિશંકર મહારાજ’, ‘એડિસન’, ‘અબ્રાહમ લિંકન’ અને આપણા પ્રદેશના આગળ પડતા પુરુષાર્થીઓને મુદાઓ મુજબ અલગ અલગ સ્થાને ગોઠવતા જવું.

  • ‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય,’
  • “उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः “
  • ‘પુરુષાર્થ ભાગ્યનો ઘડવૈયો છે.’
  • ‘Self Help is the best Help.’

આ પંક્તિઓને લખાણમાં અલગ અલગ સ્થાન ગોઠવવી,

આ પ્રમાણે આપેલા વિષય ઉપર મનન કરવાથી અઘરો જણાતો વિષય પણ લેખવામાં સરળ બનતો જશે. તમે પ્રયત્ન કરશો ચોક્કસ સફળતા મળશે જ!

મિત્રો, તમે વર્ષોથી નિબંધ લખો જ છો. અહીં આપણે થોડી નોંધપાત્ર બાબતો જોઈશું જે તમારા નિબંધને વધુ અભિવ્યક્તિક્ષમ અને વધુ ચુસ્ત બનાવી શકે.

  1. તમે પહેલાં નક્કી કરો કે તમે કયા પ્રકારનો નિબંધ વધુ સારી રીતે લખી શકો. તમને ખ્યાલ તો હશે જ કે નિબંધ વિવિધ પ્રકારના હોય છે. પ્રકૃતિવિષયક, માહિતીપ્રધાન, ઘટનાપ્રધાન, ચિંતનપ્રધાન, આત્મકથા – જેવા નિબંધો લખવાના થતા હોય છે.
  2. તમે જે નિબંધ લખવા માંગો છો તેમાં કઈ વીગતો આવી શકે, તે વિચારો અને નોંધો. તેના મુદ્દા તારવો. આ મુદ્દાની કાચી યાદી બનાવો. ત્યાર બાદ મુદ્દાની ક્રમિકતા નક્કી કરો. કયો મુદો પહેલા લેવાથી તમારો નિબંધ વધુ ચુસ્ત બનશે અને લખાણ વધુ પ્રવાહી લાગશે.
  3. તમે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થ શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવત, દુહાઓ વગેરેનો અભ્યાસ કર્યો છે. તેનો ઉપયોગ કરો અને તમારા લખાણને વધુ સચોટ અને અસરકારક બનાવો.
  4. પસંદ કરેલા નિબંધ અનુસાર તમારી ભાષા હોવી જોઈએ.
  5. જો તમે પ્રકૃતિવર્ણનનો વિષય પસંદ કર્યો હોય તો તેમાં પ્રકૃતિનું દૃશ્ય નજર સામે ઊભું થઈ જાય તેવું, સૂક્ષ્મ વીગતો સાથે વર્ણન કરવું જોઈએ. પ્રકૃતિના રમ્ય – રૌદ્ર રૂપની વાત કરતી વખતે તેને માનવસ્વભાવની સંકુલતા સાથે પણ સાંકળી શકાય. પ્રકૃતિ મન – હૃદયને સ્પર્શતી હોય છે. તેથી તેમાં પ્રયોજાયેલાં ભાવવાચક, ઉદ્ગારવાચક વાક્યો પણ નિબંધને વધુ હૃદયસ્પર્શી બનાવી શકે.
  6. જો તમે માહિતીપ્રધાન નિબંધ લખવા માગતા હોવ તો તમારી પાસે મુદાઓને અનુરૂપ માહિતી હોવી જોઈએ. જરૂરી પરિભાષા, તેના લાભ-ગેરલાભ અંગે અથવા પક્ષ-વિપક્ષ અંગેની માહિતી, તેનાં કારણો, ઉપાયો વગેરે જેવી વીગતો સમાવી લેવી જોઈએ.
  7. ઘટનાપ્રધાન નિબંધ લખવા માગતા હોવ તો એ ઘટનાનું તમારે મન શું મહત્ત્વ છે, વ્યક્તિગત અથવા સામાજિક સંદર્ભોમાં એ ઘટના વિશેષ છે ? તમારા મનમાં રોપાયેલી ઘટના વાચનારના મનમાં રોપાય તેવું વર્ણન ઘટનાપ્રધાન નિબંધને આસ્વાદ્ય બનાવી શકે.
  8. જો તમારે આત્મનાત્મક નિબંધ લખવો હોય તો તમે વિચારી જુઓ કે તમને કેવી વાત સાંભળવામાં રસ પડી શકે? કોઈ પોતાની આત્મકથા કહે તો કોણ સાંભળ. ક્યારે સાંભળે? તેથી આ પ્રકારના નિબંધમાં બોલચાલની લઢણ નિબંધને આકર્ષક બનાવી શકે. વળી, જે પોતાના જીવનના અંતિમ તબક્કામાં હોય, તે પોતાના જીવનના સારરૂપ કોઈ સંદેશ આપે, તેથી કોઈ પણ આત્મકથા જે જીવનસંદેશ આપતી હોય તો તેનું મહત્ત્વ હોય.

આમ, નિબંધને યોગ્ય ભાષારૂઢિપ્રયોગ, કહેવતઅલંકાર આદિના ઉપયોગથી ઉપસતી આકર્ષક શૈલી, તાર્કિકતા, પ્રવાહિતા વગેરે તમારા નિબંધને વધુ આસ્વાદ્ય બનાવી શકે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *