Saturday, 27 July, 2024

ગુરુ પૂર્ણિમા નિબંધ

128 Views
Share :
ગુરુ પૂર્ણિમા નિબંધ

ગુરુ પૂર્ણિમા નિબંધ

128 Views

“ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય,
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય”

અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા-ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત રીતે, હિંદુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે.ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધો ગાઢ બનાવતું પર્વ. સદગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે.

આ પર્વ નિમિતે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઉંચું અને પૂજનીય છે ગુરુએ દિવ્ય જયોતી છે. જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે. જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે.

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

“ગુરુ”એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવનનૈયાને તારનાર. બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરીયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણીમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કૃષ્ણ તેઓને પણ જીવન નો ઉપદેશ આપનારા ગુરુઓ જ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથદર્શક. ગુરુપૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક જેમના જીવનમાં ગુરુ નથી, તેમના માટે ગુરુનાં ચરણ સ્વીકારવા માટે અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સર્મિપત કરવા માટે. ગુરુ, પિતા, માતા, લેખ, શિક્ષક. કોઈપણ હોઈ શકે.

‘ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને ‘રુ’ શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરુ છે. અજ્ઞાનનો આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા-અજાણ્યા ગુરુ હોય છે, જેમાં આપણા માતા-પિતાનુ સ્થાન સર્વોપરિ છે, પછી શિક્ષક અને બીજા. પરંતુ અસલમાં ગુરુનો સંબંધ શિષ્ય સાથે હોય છે ન કે વિદ્યાર્થી સાથે. આશ્રમોમાં ગુરુ-શિષ્ય પરંપરાનુ પાલન થતુ રહ્યુ છે. ગુરુ શુ છે, કેવા છે અને કોણ છે એ જાણવા માટે તેમના શિષ્યોને જાણવા જરૂરી હોય છે અને એ પણ કે ગુરુને જાણવાથી શિષ્યોને જાણી શકાય છે, પરંતુ આવુ ફક્ત એ જ કરી શકે છે જે પોતે ગુરુ કે શિષ્ય છે. ગુરુએ છે જે સમજી-પારખીને શિષ્યને દીક્ષા આપે છે અને શિષ્ય પણ એ છે જે સમજી ઓળખીને ગુરુ બનાવે છે.

સ્વામી રામકૃષ્ણ પરમહંસે ઘણા પ્રયત્નો કર્યા કે નરેન્દ્ર(વિવેકાનંદ) મારો શિષ્ય થઈ જાય કારણ કે રામકૃષ્ણ પરમહંસ જાણતા હતા કે આ એ વ્યક્તિ છે જે ફક્ત થોડો ધક્કો આવ્યો કે ધ્યાન અને મોક્ષના માર્ગ પર દોડવા માંડશે. પરંતુ સ્વામી વિવેકાનંદ બુદ્ધિવાદી વ્યક્તિ હતા અને પોતાના વિચારોના પાક્કા હતા. તેમણે રામકૃષ્ણ પરમહંસ એક એવા વ્યક્તિ જોવા મળ્યા હતા જે કોરી કલ્પનામાં જીવનારા એક મૂર્તિપૂજકથી વધુ કંઈ નહી. તેઓ રામકૃષ્ણ પરમહંસની સિધ્ધિઓને એક મદારીના ચમત્કારથી વધુ કશુ જ નહોતા સમજતા. છતા તેઓ પરમહંસના ચરણોમાં નમી પડ્યા કારણ કે છેવટે તેઓ જાણી ગયા હતા કે આ વ્યક્તિમાં કોઈ એવી વાત છે જે બહારથી જોવામાં નજર નથી આવતી. ટૂંકમાં એ જાણવુ જરૂરી છે કે આપણે કોણે ગુરુ બનાવી રહ્યા છે, કોઈના વિચારોથી, ચમત્કારોથી કે તેની આસપાસ ભક્તોની ભીડથી પ્રભાવિત થઈને તેને ગુરુ તો નથી બનાવી રહ્યા ને, જો આવુ હોય તો આપ યોગ્ય માર્ગ પર નથી. ગુરુ અને શિષ્યની પરંપરાના આવા અનેક ઉદાહરણ છે, જેના વિશે જાણીને કહી શકીએ કે ગુરુને શિષ્ય અને શિષ્યને ગુરુ બનાવવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

ગુરુ શિષ્યના સંબંધને નાત, જાત, ધર્મ, દેશના વાડા નથી નડતા ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણિમા. આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ અદ્વિતિય છે. શિષ્યને સજાગ કરી સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ. ગુરુ એટલે જરૂરી નથી કે, શિક્ષણ આપે તે જ ગુરુ. વાસ્તવમાં કોઇ પણ કળા, કારીગરી, સંગીત, ખેલ, જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઇ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ. કચ્છમાં પણ વિવિધ કળામાં નિપૂણ લોકો વસે છે. ગામડા ગામમાં એવા કલાકારો છે કે, જે ટોચના સ્થાને પહોંચ્યા છે. અથવા તેમના શિષ્યોએ વિશ્વમાં ઓળખ ઉભી કરી છે. આજે ગુરુપૂર્ણિમા દિને આવા જ થોડા વ્યક્તિઓને યાદ કરીએ કે જેઓ તેમના ગુરુને યાદ કરી શિષ્યોને શિક્ષણ આપે છે.

ભારતીય સંસ્કૃતિ અને આઘ્યાત્મિક પરંપરામાં ગુરુ, ગુરુતત્ત્વ, ગુરુદેવનું મહત્વ-મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર છે. તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. આથી જ ‘ગુરુપૂર્ણિમા’નું મહાપર્વ ભાવ વિભાર વાતાવરણમાં રસબસ બની ઉજવવામાં આવે છે. ગુરુની પૂજા, ચરણસ્પર્શ અને યશાશક્તિ ભેટ એ ગુરુપૂર્ણિમાનો મહાભાવ છે. આ પ્રસંગ એવો છે કે તે ઉજવીને ગુરુ પ્રત્યેનું આપણું ઋણ અદા કરવાનું છે. આ તો પવિત્ર પર્વ છે કારણ કે ગુરુ સદાએ શિષ્યના કલ્યાણ માટે વિચારતા હોય છે. અને શિષ્ય એમની કૃપા થકી જીવનને ધન્ય ધન્ય બનાવી શકે છે.

પ્રભુ તો પ્રત્યક્ષ દેખાતા નથી. એટલે મનુષ્યના આત્મકલ્યાણ માટે કોઈ માઘ્યમતો જોઈએને ! એટલે ગુરુ પ્રત્યક્ષ દેવ છે. ભગવાને જ ગુરુરૂપી એક મા છે શિષ્યનું અંતિમ ધ્યેય પ્રભુપ્રાપ્તિ છે, જે ગુરુકૃપાથી સાપેક્ષ થાય છે. શિષ્ય જો 3/5 કરે શ્રધ્ધા રાખે અને અટલ-અચળ વિશ્વાસથી ગુરુ શરણમાં જાય તો શિષ્યના ઉત્કર્ષ માટેની સર્વશક્તિ પરમાત્મા ગુરુને પ્રદાન કરે છે. અને ગુરુ શિષ્યનું કાર્ય કરવા શક્તિમગ્ન બને છે. ગુરુ શરણાગત જીવને સાધન બતાવે છે ? જીવનના લક્ષ્યની યાદ આપે છે, જ્ઞાન આપે છે ? તેમની કૃપાથી સુખસંપત્તિ તો મળે જ છે પરંતુ ભક્તિ અને પ્રભુકૃપા પણ મળે છે. માટે સાધક માટે સર્વપ્રથમ ગુરુ શરણાગતિ આવશ્યક છે. આમ ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય માનેલ છે. અષાઢ માસની પૂર્ણિમાને “ગુરુપૂર્ણિમા” કહે છે અને તે દિવસે મુનિશ્વર વેદવ્યાસની જન્મજંયતિ પણ છે. સદ્ગુરુમાં અનન્ય નિષ્ઠા સિવાય ઉપાસના પૂજા અધુરાં રહે છે. તેમણે આપેલા ગુરુમંત્રમાં મનની અસ્થિરતા દૂર કરવાની શક્તિ હોય છે. પ્રભુને પ્રભુદેવ કહેવામાં નથી આવતું, જ્યારે ગુરુને ગુરુદેવનું સ્થાન-સન્માન-મોભો આપવામાં આવેલ છે.

બાળક જ્યારે પોતાની અબોધ અવસ્થામાં હોય છે ત્યારે માતા-પિતા વગેરે પરિવારજન પ્રેમાવિષ્ટ થઈને એની સંભાળ રાખે છે. એમના સહવાસમાં બાળકને સંસ્કાર મળે છે. બાળક જેમ જેમ મોટું થતું જાય છે, અને પોતાની જાતે રમવા લાગે છે, હાવભાવ કરે છે. આગળ જતાં ઠીક ઠીક બોલવા લાગે છે. આ અવસ્થામાં માતા-પિતા વગેરે પરિવારજન એના માટે ગુરુનું કાર્ય કરે છે ? તેથી ય આગળ જતાં બાળક વિશેષ જ્ઞાન સંપાદન માટે વિદ્યાલયમાં જાય છે. અહીં એના વિદ્યાગુરુ અક્ષર જ્ઞાન કરાવે છે. ધીરે ધીરે તે શિક્ષિત બનીને અનેક વિષયોમાં પારંગત થઈ જાય છે. તંદતર એ પોતાની બુધ્ધિ વૈભવથી અર્થોપાર્જન વગેરે કાર્યોમાં સફળ થતાં થતાં પોતાના લૌકિક જીવનને સુખમય બનાવવાના કાર્યોમાં લાગી જાય છે. હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવવાળા સાક્ષાત ભગવાન ગુરુદેવ જ છે. પરંતુ પ્રત્યક્ષ ગુરુને પોતાના માઘ્યમ બનાવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ગાલોકેમાં પાછા ફરવાના હતા. ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે “હવે અમારું કોણ ? અમે એકલા પડી ગયા.” ત્યારે ભગવાને કહ્યું કે તેઓ શ્રીમદ્ ભાગવતમાં સાક્ષાત સ્વરૂપે રહેશે અને ભગવાનના સહારે મનુષ્યો તેમની કૃપા મેળવી શકશે. આમ ભાગવતમાં તેમની સ્પષ્ટ આજ્ઞા છે કે – “આચાર્ય ગુરુને મારું જ સ્વરૂપ સમજવું અને કદાપિ પણ એમનો તિરસ્કાર ન કરવો. એમને સામાન્ય મનુષ્ય સમજીને દોષ-દ્રષ્ટિથી ન જોવા, કારણ કે ગુરુદેવ સર્વદેવમય હોય છે.” તાત્પર્ય એ છે કે ભગવદ્ કૃપાની પ્રાપ્તિ માટે સાધકે ગુરુ શરણાગત થવું જોઈએ. સાથે સાથે ગુરુદેવમાં ભગવદભાવ પણ રાખવો જોઈએ ત્યારેજ ગુરુ-શિષ્ય સંબંધ પ્રાણવાન બની શકે છે. ભાગવતમાં તો ગુરુનું પ્રમાણ છે પરંતુ વેદ, પુરાણ, શાસ્ત્રોમાં પણ પ્રમાણ છે.

ભગવદ્ગીતા કહે છે કે “કૃષ્ણ વંદે જગદ્ગુરુ.” કૃષ્ણ તો આખા જગતના છે જેઓ ગુરુરૂપી માઘ્યમો દ્વારા શિષ્યોનું કલ્યાણ કરે છે. ગુરુ ભગવાન કૃષ્ણને સાંદીપનિ, શ્રીરામને વસિષ્ઠ ગુરુસ્થાન અને મોટા મોટા મહાત્માઓ, સંતો અને ભક્તોને પણ ગુરુ હોય છે. શિષ્યને જો પોતાના સ્વરૂપ અને કર્તવ્યનો બોધ મળી જાય તો ગુરુનુ દિવ્ય સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. “સદ્ગુરુ દેવકી જય” બોલાય છે. સદ્ એટલે સાચું અને સાચું એટલે સત્ય. વળી સત્ય એટલે પ્રભુ પોતે આમ ગુરુ – ગોવિંદ સમાન ગણવામાં આવેલ છે. કેટલાકના મતે તો ગુરુને ગોવંદથી ઉપર ગણેલ છે. રામ કરતાં રામના નામનાં વધારે શક્તિ છે તેમ ગોવિંદ કરતાં તેમના સ્વરૂપે બિરાજતા ગુરુમાં ગોવિંદે વઘુ શક્તિ પ્રદાન કરેલ છે. જેમ ભક્ત અને ભગવાનનો સંબંધ નિષ્ઠા અને અનન્યતા પર નિર્ભર છે તેમ ગુરુ અને શિષ્યના સંબંધનું પણ છે. નિષ્ઠા અને અનન્યતા શુ કરી શકે છે તેનો સુંદર દાખલો છે કે શ્રી કૃષ્ણની બંસરીના અવતાર શ્રી હિતહરિવંશ મહાપ્રભુજીની પ્રશંસા સાંભળીને શ્રીદામોદારદાસ સેવકજી મહારાજે તેમને જોયા નહોતા- મળ્યા નહોતા- દર્શન કર્યો નહોતાં છતા અનન્ય નિષ્ઠાથી મનોમન મહાપ્રભુજીને સેવકજીએ ગુરુ તરીકે સ્વીકારી લીધા. થોડા સમય પછી જ્યારે શ્રીસેવકજી મહાપ્રભુજીને વૃન્દાવનમાં તેમને મળવા ગયા ત્યારે મહાપ્રભુજી શ્રીરાધારાણીની સેવામાં નિકુંજમાં પધારી ગયા હતા. પરંતુ સેવકજી તો પૂર્ણ નિષ્ઠાથી ગુરુભક્તિમાં બેસી ગયા. પરિણામ સ્વરૂપ શ્રીહરિવંશ નિકુંજમાંથી આવીને, શ્રીસેવકજીને સ્વપ્નમાં દર્શન આપી, ગુરુમંત્ર આપ્યો, અને વાણી રચનાની શક્તિ પણ આપી. જેના આધારે સેવકજીએ “સેવકવાણી” નામક સિધ્ધાંત ગ્રંથની રચના કરી દીધી. આવી રીતે એકલવ્યજીનો દાખલો પણ જગજાહેર છે. ગુરુ શબ્દમાં ‘ગુ’ કાર એ અંધકાર છે. ‘રુ’ કાર એ રાધેનાર છે. અંધકાર (અજ્ઞાત)નો નાશ કરે છે માટે જ તેઓ ગુરુ કહેવાય છે.

જો કે આ જગતમાં જનની, જનક અને ગુરુનું ઋણ કદી ચુકવી શકાતું નથી. સંસ્કૃતિના ઈતિહાસમાં ગુરુપૂજનનો મહીમા છે. પૌરાણિક ઈતિહાસ મુજબ સૌપ્રથમ ભગવાન વેદવ્યાસનુ પૂજન નૈમિષ્યારણ્યમાં વસતા સૌનક ઋષિએ કહ્યું હતું. વર્ષોની સાધના- ઉપાસના કરવા છતાં સૌનક ૠષિને પ્રભુની અનુભૂતિ નહોતી થતી. વેદવ્યાસે દિવ્યદ્રષ્ટિ આપી. તેથી તેમને આત્મજ્ઞાન થયું. એટલે ઋષિએ તેમને ગુરુમાની પૂજન કર્યું. ત્યારથી ગુરુની મહત્તા વધી ગઈ. ગુરુ આદિ-અનાદિ છે. ગુરુની કૃપાએ મોક્ષનું કારણ છે ગુરુએ શિવનું જીવંત રૂપ છે તથા તેમનાં ચરણ તીથોનો આશ્રય છે. ગુરુના ત્રણ સ્વરૂપ છે. શિષ્યનું અંકુરણ કરે તે પહેલું સ્વરૂપ. પ્યારવાળું જોડવાનું કામ કરે તે વરૂણ બીજુ સ્વરૂપ. ત્રીજુ સ્વરૂપ સોમ સ્વરૂપ છે. ‘સોમસ્તુચન્દઃ,’ સોમ એટલે ચંદ્ર. ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક છે સદ્ગુરુ. દત્તાત્રેયે જેમનામાં જે સારું લાગ્યું તે લીધું અને ચોવીસ ગુરુ કર્યા હતા. ગુરુ સાકાર ઈશ્વરીય પ્રતિમા છે. “ગુરુ કીજે જાનકાર ઔર પાની પીજે છાન” પ્રમાણે ગુરુ સમજીને કરવા જોઈએ. પરંતુ એક વખત ગુરુ કર્યા પછી તેમનામાં અનન્ય નિષ્ઠા રાખવી જોઈએ. આજના જમાનામાં તો પહેલી દ્રષ્ટિએ ઘણા લોકો ગુરુ-શિષ્યની પરંપરાને માનતા નથી. પરંતુ આઘ્યાત્મિક પરંપરામાં સુદ્દઢ માન્યતા છે કે સમય પાકે ત્યારે સાધકને તેમના ગુરુ મળે જ છે. ગુરુ-શિષ્યનો સંબંધ માત્ર એક જન્મ પૂરતો જ મર્યાદિત નથી હોતો. આ સંબંધ જન્મોજન્મનો હોય છે. ગુરુનું દિલ મોટું હોય છે.

ગુરુપૂર્ણિમાએ આશીર્વાદ સહગુરુ તેમની તપસ્યાનો એક અંશ આપે છે જે શિષ્યને માટે અમૂલ્ય બની રહે છે. તેમ ગમે તેટલું કરો પણ ગુરુ વિના પૂર્ણજ્ઞાન ન મળી શકે. સંતોના વચન પ્રમાણે જો હૃદયમાં પૂર્ણ શ્રધ્ધા અને નિષ્ઠા, વિશ્વાસ હોય તો ગુરુદ્વારા ગોવિંદની સો ટકા અનુભૂતિ થાય છે. ગુરુના મહત્વની વાત ન્યારી છે. શ્રીકૃષ્ણ ભગવાને પણ ગુરુદક્ષિણમાં ગુરુમાતાને તેમનો પુત્ર (સંસારના નિયમો તોડીને) પાછો લાવી આપ્યો હતો. કોઈ એમ કહેકે હું ગુરુમાં માનતો નથી. પરંતુ તમે જ્યારે આપત્તિકાળમાં તમને વિશ્વાસ હોય તેમની પાસે સલાહ લેવા જાવ, અને એ જે સલાહ આપે તે ગુરુકર્મનો એક ભાગ થયો કહેવાય. પરંતુ આઘ્યાત્મિક ગુરુની તો અનિવાર્યતા છે. તો આવો “ગુરુપૂર્ણિમા”નું મહાપર્વ પૂર્ણ નિષ્ઠા-શ્રધ્ધા- અનન્યતા- વિશ્વાસથી ભક્તિમાં રસબસ થઈ ઉજવીએ અને ધન્ય ધન્ય બનીએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *