Saturday, 27 July, 2024

પાંડવોની ઓળખાણ

193 Views
Share :
પાંડવોની ઓળખાણ

પાંડવોની ઓળખાણ

193 Views

{slide=Pandavas identity revealed}

When King Virata learned that his young son Uttar left for war with Brihannala as his charioteer, he lost his sleep. Messenger came at an appropriate time and announced Uttar’s victory and his return to the palace. When Uttar arrived at the palace, King Virata praised his son for his victory in front of Arjuna. Arjuna remained silent. Uttar was bound by Arjun’s request so he could not reveal the truth. However, Uttar attributed his success to a divine figure and told his father that it was only because of him that he could win the war. King wanted to know about that person but Uttar told him that he disappeared in the battlefield after the war was over.

Two days later, Pandavas changed their costumes and adorned themselves with royal outfits. When King Virata entered his assembly he was taken aback. His advisor, Kanka, was seated on his royal seat. Arjuna introduced Yudhisthir, and added that Kanka (Yudhisthir) was worthy of a place even on Indra’s seat. Arjun, then introduced his other brothers. Uttar, who was under oath of secrecy from Arjuna until now, also described Arjun’s heroism in the battlefield. He told his father that the divine figure was none other than Arjuna himself. It was King Virata’s turn to surprise.
 

પોતાનો રણઉત્સાહી પુત્ર બૃહન્નલાને સારથિ કરીને એક રથમાં જ ગયો છે એ સાંભળીને વિરાટરાજ અત્યંત સંતાપમાં પડ્યા.

એટલામાં ઉત્તરે મોકલેલા શીઘ્રગામી દૂતોએ વિરાટનગરમાં આવીને ઉત્તરના થયેલા વિજયના સમાચાર આપ્યા. મંત્રીઓએ રાજાને તે ઉત્તમ વિજય વિશે, કુરુઓના પરાજય વિશે, તેમજ ઉત્તર પાસે આવે છે એ વિશે, સર્વ વૃતાંત સંભળાવ્યો, અને કહ્યું કે સર્વ ગાયો પાછી જીતી લેવાઇ છે, કુરુઓ હારી ગયા છે, અને ઉત્તર બૃહન્નલા સારથિ સાથે કુશળ છે.

એવામાં સુંદર સુગંધોથી તથા જાત જાતનાં ફૂલોથી સત્કાર પામેલો પ્રસન્ન રાજકુમાર ઉત્તર આનંદપૂર્વક નગરમાં આવ્યો. નગરજનોએ, દેશવાસીઓએ, તેમજ સ્ત્રીઓએ તેનું સુંદર સ્વાગત કર્યું. પછી રાજભવનના દ્વારે પહોંચતા તેણે પિતાને પોતાના શુભાગમનના સમાચાર મોકલાવ્યા, એટલે દ્વારપાળે ભવનમાં પ્રવેશીને વિરાટને જણાવ્યું કે રાજપુત્ર બૃહન્નલાની સાથે દરવાજા આગળ આવીને ઊભા રહ્યા છે.

મત્સ્યરાજે સવ્યસાચી અર્જુનના સાંભળતાં જ રણમાંથી આવેલા ઉત્તરની પ્રશંસા કરવા માંડી.

એને અભિનંદીને જણાવ્યું કે સાચે જ આજે તેં સર્વ શૂરવીર યોદ્ધાઓને ભયભીત કરીને યુદ્ધમાંથી નસાડયા છે. વાઘ જેમ માંસને પડાવી લે તેમ આપણું સર્વ ગોધન પાછું આણ્યું છે.

ઉત્તર બોલ્યો કે ગાયોને મેં જીતી નથી, અને શત્રુઓને મેં હરાવ્યા નથી. એ બધું તો વજ્ર જેવા દૃઢ શરીરવાળો તે યુવાન પોતે જ રથીના સ્થાન પર આવીને બેઠો હતો. તેણે જ ગાયોને જીતી છે, અને તેણે જ કુરુઓને પરાજિત કર્યો છે. એ સર્વકામ તે વીરે જ કર્યું છે. મેં નથી કર્યું.

ઉત્તરે એ મહાવીરના પ્રખર પરાક્રમને વર્ણવ્યું એટલે વિરાટે પૂછયું કે જેણે કુરુઓએ કબજે કરેલા મોટા ગોધનને પાછું આણ્યું છે તે મહાબાહુ અને મહાયશસ્વી વીર દેવપુત્ર ક્યાં છે ? હું એ મહાબલવાનને જોવા અને તેનો સત્કાર કરવા ઇચ્છું છું. કેમ કે એ દેવપુત્રે તારી અને મારી ગાયોનું રક્ષણ કર્યું છે.

ઉત્તર બોલ્યો કે એ મહાબળવાન દેવપુત્ર તો ત્યાં જ અદૃશ્ય થઇ ગયેલો. પણ હું માનું છું કે તે આવતી કાલે અથવા પરમદિવસે  પ્રગટ થશે.

ઉત્તરે ત્યાં ગુપ્તવેશે રહેલા અર્જુનના સંબંધમાં આ પ્રમાણે કહ્યું તોપણ વિરાટરાજ તેને જાણી શક્યો નહીં.

પછી વિરાટરાજની આજ્ઞાથી અર્જુને પોતે યુદ્ધમાંથી આણેલાં વસ્ત્રો વિરાટપુત્રી ઉત્તરાને આપ્યાં. તે ભામિની પણ એ નવાં વિવિધ, મહામૂલાં વસ્ત્રોથી પ્રસન્નતા પામી.

ત્રીજે દિવસે પાંચ પાંડવોએ સ્નાન કર્યું, ઉજ્જવલ વસ્ત્રોને ધારણ કર્યા, સર્વ આભૂષણો સજ્યાં, અને યોગ્યકાળે અજ્ઞાતવાસના વ્રતની પૂર્ણાહુતિ કરી. પછી દ્વારે ઊભેલા મદોન્મત્ત માતંગની જેમ શોભી રહેલા તે મહારથીઓ યુધિષ્ઠિરને આગળ કરીને વિરાટરાજની સભામાં ગયાં. ત્યાં જઇને તે સર્વ પાંડવો રાજાઓ માટેનાં આસનો ઉપર બિરાજ્યા; અને વેદીઓમાં રહેલા અગ્નિની જેમ શોભવા લાગ્યા.

તે આસન ઉપર બેઠા ત્યારે વિરાટરાજ રાજકાર્યોને કરવા માટે તે સભામાં આવ્યા. ત્યાં અગ્નિની જેમ ઝળહળી રહેલા પાંડવોને જોઇને તે થોડી વાર વિચારમાં પડી ગયા. પછી કોપાયમાન થયેલા તે રાજાએ કંક તરફ જોઇને કહ્યું કે ‘અરે ! તું તો દ્યુત રમનારો છે એટલા માટે મેં તને આ સભાનો સભાસદ નીમ્યો છે. તું ક્યાંથી આમ સારી પેઠે અલંકાર ધારણ કરીને રાજાના આસન ઉપર બેઠો છે ?’

વિરાટરાજનાં એ વ્યંગભરેલાં વચનોને સાંભળીને અર્જુને સ્મિત કર્યું ને કહ્યું કે આ પુરુષ તો ઇન્દ્રના અર્ધ આસન પર બિરાજવાને યોગ્ય છે, બ્રાહ્મણભક્ત છે, શાસ્ત્રજ્ઞ છે, ત્યાગી છે. યજ્ઞપ્રિય તથા દૃઢ વ્રતવાળા છે. એ મૂર્તિમંત ધર્મ છે ને શૂરવીરોમાં શ્રેષ્ઠ છે. બુદ્ધિમાં એ સૌથી અધિક છે અને તપનું આશ્રયસ્થાન છે. ત્રણે લોકના વિવિધ અસ્ત્રોને એ જાણે છે. દીર્ઘદર્શી, મહાતેજસ્વી અને નગરના તથા દેશના સર્વ લોકોને પ્રિય છે. વળી પાંડવોમાંના એ એક અતિરથી છે. એ મહર્ષિ સમાન છે. સર્વલોકોમાં વિખ્યાત છે, બલવાન, દ્યુતિમાન, દક્ષ, સત્યવાદી, જિતેન્દ્રિય અને ધનના સંચયથી ઇન્દ્ર તથા કુબેર જેવા છે. મહાતેજસ્વી મનુ લોકોનું રક્ષણ કરે છે તેમ આ મહાતેજસ્વી સર્વ પ્રજા ઉપર અનુગ્રહ કરનારા છે. કુરુઓમાં સિંહસમા આ ધર્મરાજ યુધિષ્ઠિર છે. ઊગતા સૂર્યની પ્રભાની જેમ એમની કીર્તિ લોકમાં નિત્ય વધતી રહે છે. આ ધર્મરાજા કુરુદેશમાં રહેતા હતા ત્યારે દશ હજાર વેગવાળા હાથીઓ અને સુવર્ણની માળાઓવાળા, ઉત્તમ ઘોડાઓ જોડેલા ત્રીસ હજાર રથો એમની પાછળ ચાલતા હતા. ઋષિઓ ઇન્દ્રની સ્તુતિ કરે તેમ ઉજ્જવળ મણિમય કુંડલો ધારણ કરનારા આઠસો સૂતો માગધોની સાથે એમની સ્તુતિ કરતા હતા. દેવો જેમ ધનપતિ કુબેરની સેવા કરે તેમ સર્વ રાજાઓ અને કુરુઓ કિંકરની પેઠે એમની સેવા કરતા હતા. ત્યારે આ સદાચારી રાજાના આશ્રયમાં એંશી હજાર સ્નાતક બ્રાહ્મણો આજીવિકા ચલાવતા હતા. આ સમર્થ રાજા વૃદ્ધ, અનાથ, અપંગ અને અંધ માણસોને પુત્રની જેમ પાળતા તેમ જ ધર્મપૂર્વક પાલન કરતા. એ મહાકૃપાળુ છે. બ્રાહ્મણભક્ત છે. એમના તીવ્ર તેજથી સમર્થ, દુર્યોધન, કર્ણ, સુબલપુત્ર શકુનિ અને તેના પક્ષવાળા સંતાપ પામ્યા કરે છે. એમના ગુણોની ગણના કરવી અશક્ય છે. એમને માટે રાજાનું આસન કેમ યોગ્ય ના ગણાય ?

વિરાટરાજે આશ્ચર્યચકિત અને આનંદમગ્ન બનીને બીજા પાંડવો વિશે પૂછયું. એટલે અર્જુને ભીમનો, સહદેવનો, નકુલનો, દ્રોપદીનો અને પોતાનો પરિચય પ્રદાન કર્યો.

એ પ્રમાણે અર્જુને પાંચે વીર પાંડવોની ઓળખાણ આપી. ત્યારે વિરાટપુત્ર ઉત્તરે અર્જુનના પરાક્રમનું વર્ણન કરવા માંડ્યું. અને પાંડવોની વિરાટરાજાને ઓળખાણ કરાવી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *