Saturday, 27 July, 2024

પરિશ્રમ એ જ પારસમણિ 

355 Views
Share :
પરિશ્રમ એ જ પારસમણી

પરિશ્રમ એ જ પારસમણિ 

355 Views

શ્રમ એ સફળતાની ચાવી છે. જીવનમાં ડગલે ને પગલે શ્રમના ગૌરવનાં દર્શન થાય છે. જગતના તમામ ધર્મોએ શ્રમનો ઉપદેશ આપ્યો છે. બાઇબલ કહે છે :  ” તું તારો પસીનો રેડીને તારી રોટી ખાજે. ” કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના રોજી મેળવી સમાજ માટે બોજારૂપ બનનાર માનવીને ગીતામાં ‘ ચોર ‘ કહ્યો છે.

પરિશ્રમનો અર્થ મજૂરી કે વૈતરું નહીં, પરંતુ જાતમહેનત છે. માણસે જીવનમાં એશઆરામને મર્યાદિત સ્થાન આપી પોતાનાં શક્ય એટલાં કાર્યો જાતે કરવાં જોઈએ. કોઈ પણ પ્રકારના કામ પ્રત્યે શરમ, ઉપેક્ષા કે ઘૃણાની દૃષ્ટિએ ન જોવામાં શ્રમની ખુમારી રહેલી છે. કમનસીબે આપણો શિક્ષિત સમાજ શ્રમથી દૂર ભાગતો જાય છે. લોકો કડિયા, સુથાર, દરજી કે ખેડૂત જેવા શ્રમજીવીઓ પ્રત્યે ઘૃણાની નજરે જોવા લાગ્યા છે. ઑફિસોમાં કારકુનો અને અન્ય અધિકારીઓ ખુરશીમાં બેઠા બેઠા મોટા ભાગનાં કાર્યો બીજા પાસે કરાવવામાં પોતાની મહત્તા માને છે. શ્રીમંતો તો બધું કામ નોકરો મારફત કરાવવામાં ગૌરવ અને આનંદ અનુભવે છે. શારીરિક શ્રમ પ્રત્યેની આ સૂગ આપણા દેશનું એક વ્યાપક દૂષણ છે. 

ધર્મોમાં શ્રમને તપ ગણવામાં આવ્યું છે. જગતના મહાપુરુષોની મહત્તાનાં મૂળ શ્રમમાં રહેલાં છે. આપણા રાષ્ટ્રપિતાનું જીવન શ્રમના મહાકાવ્ય જેવું હતું . તેમના આશ્રમમાં સૌને જાતે કામ કરવું પડતું. ” આરામ હરામ હૈ ” નું સૂત્ર આપનાર નેહરુજી શ્રમના અનન્ય ઉપાસક હતા. પશ્ચિમના દેશોમાં ભણેલાઓ કે શ્રીમંતો પોતાનાં કામ જાતે કરતાં શરમાતા નથી. જાપાન અને જર્મની જેવા દેશોની પ્રજાએ શ્રમ અને સ્વાશ્રયથી થોડાં જ વર્ષોમાં અદ્ભુત પ્રગતિ સાધી છે. 

શ્રમથી મનુષ્યનું શરીર ઘડાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. શ્રમથી વ્યવસ્થાશક્તિ ખીલે છે અને મનોબળ દૃઢ બને છે. શ્રમ કરનાર માણસ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક અને સમયસર કરી શકે છે. એને કદી ” પારકી આશ સદા નિરાશ ” નો કડવો અનુભવ થતો નથી. વળી, શ્રમથી પ્રાપ્ત કરેલી વસ્તુ વધુ પ્રિય લાગે છે. જાતે શ્રમ કરવાથી માણસ કરકસર કરી શકે છે અને બહોળો અનુભવ મેળવે છે. શ્રમ કરનાર માણસનું ઘરમાં, કુટુંબમાં અને સમાજમાં ઊંચું મૂલ્ય અંકાય છે. ” જેણે કામ કર્યું , તેણે કામણ કર્યું. ” એ કહેવત કેટલી સાચી છે. સખત પરિશ્રમ કરનાર માનવી જ ઉજ્વળ અને નિશ્ચિત ભાવિનું ઘડતર કરી શકે છે . જે દેશના લોકો પરિશ્રમનું ગૌરવ કરે છે, તે દેશ જ ઝડપી પ્રગતિ સાધી શકે છે. પરિશ્રમરૂપી પારસમણિ દુ:ખને સુખમાં, નિરાશાને આશામાં અને નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખે છે. પ્રચંડ પરિશ્રમ અને પ્રબળ પુરુષાર્થના બળે જ મનુષ્ય વિકાસની પરિસીમાએ પહોંચી શક્યો છે. 

ધીમે ધીમે ભારતના લોકોને શ્રમનું મહત્વ સમજાવા લાગ્યું છે . આપણા નેતાઓ અને મહાપુરુષો શ્રમ ઉપર ભાર મૂકે છે. આપણી હાલની શિક્ષણપદ્ધતિમાં પણ શ્રમ પર ભાર મૂકવાના પ્રયાસો થઈ રહ્યા છે. એક કવિએ ખરું જ ગાયું છે, ” સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. ” ખરેખર, નૂતન ભારતનું નિર્માણ શ્રમના સાધકો દ્વારા જ થઈ શકશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *