Saturday, 27 July, 2024

ઋષિના શાપનું સ્મરણ

211 Views
Share :
ઋષિના શાપનું સ્મરણ

ઋષિના શાપનું સ્મરણ

211 Views

{slide=Karna remember Rishi’s curse}

Karna remembered Parshuram’s curse but he remained full with confidence. He told his charioteer Shalya that he would give a tough fight to invincible Arjuna and prove his might in the decisive battle of Mahabharata. He challenged Arjuna that barring any unforeseen circumstances, he would win over Arjuna with his superior weapons. However, on the flip side, he remembered another curse.

When Karna was practicing his archery in the forest, his arrow hit calf, which belonged to a sage living nearby. When sage learned about this mishap, he lost his mind and cursed Karna that the wheel of his chariot would get stuck when he would be fighting his decisive battle and it would prove ominous. Karna realized his mistake and tried to pacify sage by showing his willingness to donate many such cows and other wealth but sage maintained his stand. Sage also added that his curse would be infallible. The day when Karna was preparing for a decisive battle, he remembered that curse.

પરશુરામના શાપનું સ્મરણ થવા છતાં પણ કર્ણનો આત્મવિશ્વાસ અને યુદ્ધોત્સાહ એવો જ અનુપમ, અવર્ણનીય, અસાધારણ અને અખંડ હતો.

એનું મન જુદી જ ધાતુનું, જાણે કે અમાનવીય માટીમાંથી, બનેલું.

માટે તો એણે પોતાના સારથિ શલ્યને સંબોધીને જણાવ્યું કે, “ભરતવંશીઓમાં સર્વનો સંહાર કરનારો, મહાભયંકર અને ક્ષત્રિયોના વીરપુરુષોને તપાવી નાખનારો જે મહાબળવાન સંગ્રામ ઉત્પન્ન થયો છે તેમાં હું ખાતરીપૂર્વક માનું છું કે ઉગ્ર ધનુષ્યને ધારણ કરનારા, મહાબળવાન, ભયંકર, અસહ્ય પરાક્રમી અને સત્યપ્રતિજ્ઞાવાળા એ અર્જુનને હું મૃત્યુના મુખમાં મોકલી દઇશ. મારી પાસે એક અહિબાણ નામનું અસ્ત્ર છે તે અસ્ત્ર પરશુરામે આપેલા બ્રહ્માસ્ત્રથી ભિન્ન છે, અને તેમની પાસેથી જ મળેલું છે. એ અસ્ત્રના પ્રભાવથી હું મારા અસંખ્ય શત્રુઓનો રણમાં સંહાર કરી નાખીશ. પ્રતાપી, બળવાન, અસ્ત્રકુશળ, ઉગ્રધનુર્ધર, તેજસ્વી, ક્રુર, શૂરવીર, રૌદ્ર, તથા શત્રુઓને સહન કરનારા અર્જુનને રણમાં રોળી નાખીશ. મર્મને છેદી નાખનારાં તથા વીરપુરુષોનો સંહાર કરનારાં અનેક બાણોને ફેંકી રહેલા મહાધનુર્ધર અર્જુનને હું આગળ વધતો અટકાવીશ અને તેની સામે આજે યુદ્ધ કરીશ.

જો કે અર્જુન અતિબળવાન છે, મોટાંમોટાં અસ્ત્રોને જાણનારો છે, સમુદ્રની પેઠે દુષ્પ્રાપ્ય અને ઉગ્ર છે, તથા બાણોનો ધોધ છોડીને રાજાઓને તેમાં ડૂબાડી દેનારો છે. તોપણ કિનારો જેમ સમુદ્રને સહન કરી શકે છે તેમ હું બાણોને છોડીને તેને સહન કરી શકીશ. હું પોતે પણ માનું છું કે અર્જુનના જેવો ઉત્તમ ધનુર્ધર જગતમાં બીજો એક પણ નથી. તેણે દેવો તથા અસુરોને પણ યુદ્ધમાં જીત્યા છે. એ જ અર્જુન સાથે મારું અતિઘોર યુદ્ધ થશે. અતિશય અભિમાની અર્જુન મોટાંમોટાં દૈવી અસ્ત્રોને ફેંકતા મારી સામે યુદ્ધ કરવાની ઇચ્છાથી ચઢી આવશે. પરન્તુ હું એનાં અસ્ત્રોનો અસ્ત્રો વડે જ નાશ કરી નાખીશ અને બીજાં ઉત્તમ બાણો મારીને તેને રણમાં રોળી નાખીશ. અર્જુન સાક્ષાત્ સૂર્યની પેઠે દેદીપ્યમાન છે, તેમજ સર્વ દિશાઓને તપાવી મૂકનારા સૂર્યસરખો ઉગ્ર છે. છતાં મેઘમંડળ જેમ સૂર્યને ઢાંકી દે છે તેમ હું પણ તેને મારા બાણો વડે ઢાંકી દઇશ. બાણોનો વરસાદ વરસાવીને એને યુદ્ધક્ષેત્રમાં શાંત કરી દઇશ. હિમાલય પર્વત જેમ પવન સામે ટક્કર ઝીલે છે તેમ હું પણ યુદ્ધમાં તેની સામે ટક્કર ઝીલીશ.”

“મારા રથનું પૈડું બરાબર સંકટ સમયે પૃથ્વીમાં નહિ પેસી જાય તો મારા અલૌકિક અસ્ત્રની અસરમાંથી અર્જુન પણ અલિપ્ત નહિ રહી શકે. હું દંડધારી કાળથી, પાશધારી વરુણથી, ગદાધારી કુબેરથી, વજ્રધારી ઇન્દ્રથી, અથવા એમના સિવાયના બીજા કોઇ પણ શસ્ત્રાસ્ત્રધારી શત્રુથી ડરતો નથી.”

કર્ણને એ વખતે એક બીજા શાપપ્રસંગનું સ્મરણ થઇ આવ્યું.

એકવાર એ પોતાના વિજયધનુષ્યને લઇને ધનુર્વિદ્યાના પ્રયોગો કરતો વનમાં વિહાર કરતો હતો.

એ સ્વૈરવિહાર દરમિયાન એના બાણથી, પ્રમાદ અને અજ્ઞાનને લીધે, કોઇક ઋષિની હોમધેનુના વાછરડાનો નાશ થયો.

એને લીધે ઋષિએ એને શાપ આપતાં જણાવ્યું કે તેં તારા બાણના પ્રયોગથી ભયંકર પ્રમાદના પરિણામે મારા પ્રિય નિર્દોષ વાછરડાનું મૃત્યુ નિપજાવ્યું છે તેથી સંગ્રામમાં લડતી વખતે ખરેખરા સંકટ સમયે તારા રથનું પૈડું રણભૂમિ પર ખાડામાં ખૂંપી જશે અને એ પ્રસંગ તારે માટે અતિશય અમંગલ ઠરશે.

બ્રહ્મર્ષિના એ શાપથી કર્ણને ભય લાગ્યો.

એમને પ્રસન્ન કરવા માટે એણે એક હજાર ગાયો તથા છસો બળદોને આપવાની તૈયારી બતાવી તોપણ એમની પ્રસન્નતા ના પામી શકાઇ ત્યારે ઇસ-સરખા દાંતવાળા સાતસો હાથીઓને અને સેંકડો દાસદાસીઓને આપવાની ઉત્સુકતા દર્શાવી, પરન્તુ એનો પ્રભાવ પણ ઋષિ પર ના પડયો.

કર્ણે પોતાના પ્રયાસને ચાલુ રાખીને શ્વેત રંગના વાછરડાઓ સાથે કાળા રંગની ચૌદ હજાર ગાયોને સ્વીકારવાની પ્રાર્થના કરી, પરન્તુ એની અસર પણ કશી ના થઇ ત્યારે સઘળી કામનાઓની પૂર્તિ કરનારા પદાર્થોથી ભરપૂર સુંદર સુસમૃદ્ધ ઘર તથા પોતાની પાસેના સમગ્ર ઘનભંડારની ભેટ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. પરન્તુ તે પ્રસ્તાવ પણ નિરર્થક ઠર્યો.

ઋષિએ દૃઢતાપૂર્વક જણાવ્યું કે મારું કથન કદાપિ મિથ્યા નહિ થાય. ઋષિઓના યોગક્ષેમનો નિર્વાહ કરનારાં સાધનોનો હવે તું કદી પણ નાશ ના કરતો. તેં કરેલા ગોહત્યાના પ્રાયશ્ચિતરૂપે તને જે શાપની પ્રાપ્તિ થઇ છે તે શાપને તારે ભોગવવો જ પડશે. તે સિવાય તને તેમાંથી મુક્તિ નહિ મળી શકે. મારા શાપને કોઇપણ પુરુષ મિથ્યા કે નિરર્થક નહિ કરી શકે.

કર્ણ નિરુત્તર રહ્યો.

શાપના સ્મરણથી એ સ્વભાવિક રીતે જ સંવેદનશીલ બની ગયો.

શાપ મિથ્યા થઇ શકશે ? એના મનમાં પ્રશ્ન પેદા થયો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *