Saturday, 27 July, 2024

શ્રીકૃષ્ણના નામો

245 Views
Share :
શ્રીકૃષ્ણના નામો

શ્રીકૃષ્ણના નામો

245 Views

{slide=Various names of Shri Krishna}

In response to Dhristrasthra’s question, Sanjay explains the meaning of various names of Krishna. It is a long list, included among them are, Vishnu, Vasudeo, Madhav Madhusudan, Krishna, Janardan, Narayan, Purshottam, Govind etc.

The king was very satisfied with Sanjay’s answer and Dhristra was convinced that Krishna was an extraordinary person. Dhritrasthra was also sad that he could not see Krishna with his own eyes because he was blind.

મહાભારતના ઉદ્યોગપર્વના સિત્તેરમા અઘ્યાયમાં શ્રીકૃષ્ણનાં જુદાંજુદાં નામોનું અને એ નામોના ભાવાર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ વર્ણન અતિશય રોચક અથવા રસપ્રદ છે.

એ વર્ણન ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસાના જવાબરૂપે સંજય દ્વારા કરવામાં આવ્યું છે.

એનો રસાસ્વાદ આનંદદાયક અને ઉપયોગી થઇ પડશે, અસ્થાને નહિ મનાય.

એના પરથી મહાભારતકાર શ્રીકૃષ્ણને કેવી વિશિષ્ટ દિવ્ય દૃષ્ટિથી દેખે છે એનો અનાયાસે ખ્યાલ આવશે અને કૃષ્ણની પેઠે એમને માટે પણ માન પેદા થશે.

ધૃતરાષ્ટ્રના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સંજયે જણાવ્યું કે મેં શ્રીકૃષ્ણના નામોનો વ્યુત્પત્તિથી થતો શુભ અર્થ સાંભળ્યો છે. તે વિશે મારી માહિતી તથા સમજશક્તિ પ્રમાણે તમને જણાવીશ; કારણ કે ભગવાન કેશવ વાણી અને મનથી અતીત અથવા અગોચર છે.

પ્રાણીમાત્રના વસનરૂપ એટલે માયાથી આવરણ કરનારા અથવા જગતને વાસ આફનારા હોવાથી, વસુત્વ એટલે તેજોમય હોવાથી, તેમજ દેવતાઓના કારણરૂપ હોવાથી, એ શ્રીકૃષ્ણ વાસુદેવ કહેવાય છે. વળી સર્વવ્યાપક હોવાથી વિષ્ણુ કહેવાય છે.

મા એટલે આત્માની ઉપાધિરૂપ બુદ્ધિવૃત્તિને તે મૌન, ધ્યાન અને યોગથી ધવન કે દૂર કરે છે. તેથી તમે તેને માધવ જાણો.

મધુ એટલે પૃથ્વી આદિ તત્વોના સંહારકર્તા હોવાથી, અથવા તે તત્વો એમનામાં લય પામે છે તેથી તે મધુહા કહેવાય છે.

મધુ નામના દૈત્યના નાશકર્તા હોવાથી કે સુદન હોવાથી શ્રી કૃષ્ણ મધુસુદન કહેવાય છે.

કૃષિ શબ્દ સત્તાવાચક અને ળ સુખવાચક હોવાથી એ બંને ધાતુના અર્થરૂપ સત્તા અને આનંદના સંબંઘથી યદુવંશી વિષ્ણુ કૃષ્ણ નામને પ્રાપ્ત થયા છે.

નિત્ય, અક્ષય અને અવિનાશી એવું પુંડરીક એટલે હૃદયકમળ પ્રભુનું નિવાસસ્થાન છે. છતાં તે હૃદયકમળના જરા, નાસ વગેરે દોષોથી તે ક્ષીણ થતા નથી માટે તે પુંડરીકાક્ષ કહેવાય છે.

દસ્યુ એટલે પ્રજાપીડક ચોર વગેરે જનોને પીડા કરે છે તેથી જનાર્દન કહેવાય છે.

સત્વથી ભ્રષ્ટ થતા નથી તેમ સત્વ તેમનાથી દૂર થતું નથી તેથી સત્વત અથવા સાત્વત મનાય છે.

વૃષભ એટલે ધર્મભાસક – વેદ એ જ એમનું ઇક્ષણી એટલે જ્ઞાનનું દ્વાર છે તેથી તે વૃષભેક્ષણી ગણાય છે.

યુદ્ધવિજયી શ્રીકૃષ્ણ કોઇ જનક દ્વારા ઉત્પન્ન થતા નથી તેથી એમને અજ કહેવામાં આવે છે.

તે વ્યાપક પ્રભુ દેવોમાં એટલે ઇન્દ્રિયોમાં પ્રકાશમાન છે તથા દમસંપન્ન અર્થાત્ દમનશાળી છે તેથી દામોદર કહેવાય છે.

જેનાથી હર્ષ થાય તે હૃષીક એટલે વૃત્તિસુખ, સ્વરૂપાનંદ અને ઐશ્વર્ય એ ત્રણે કૃષ્ણમાં છે. તેથી તે હૃષીકેશ કહેવાય છે.

ભગવાન પોતાના બે બાહુ દ્વારા સ્વર્ગ તથા પૃથ્વીને ધારણ કરી રહેલા છે તેથી મહાબાહુ કહેવાય છે.

તે કદી અધઃ એટલે સંસારમાં પડતા નથી. નક્ષીયતે તેથી અધોક્ષજ કહેવાય છે.

નરોના તે અયન એટલે આશ્રય છે તેથી નારાયણ કહેવાય છે.

એ ઇશ્વર પુરુ એટલે પૂર્ણ કરનારા અને સઃ એટલે લય કરનારા હોવાથી પુરુષ છે અને પુરુષ હોઇને ઉત્તમ છે માટે પુરુષોત્તમ કહેવાય છે.

ભગવાન સર્વ કાર્ય તથા કારણના, ઉત્પત્તિ અને પ્રલયના સ્થાનરૂપ છે. તથા સર્વદા સર્વના જ્ઞાનવાળા છે તેથી તેમને સર્વ કહે છે.

શ્રીકૃષ્ણ સત્યમાં રહેલા છે અને સત્ય એમનામાં રહેલું છે. વળી એ ગોવિંદ વ્યાવહારિક સત્ય કરતાં પણ પરમ સત્યરૂપ છે તેથી એમનું નામ સત્ય પણ કહેવાય છે.

એ દેવ સર્વત્ર વ્યાપક છે તેથી વિષ્ણુ કહેવાય છે. સર્વને જીતનારા છે તેથી જિષ્ણુ કહેવાય છે. પ્રભુ આશ્વત એટલે અંત વિનાના હોવાથી અનંત ગણાય છે. ગો એટલે ઇન્દ્રિયોના પ્રકાશક હોવાથી ગોવિંદ તરીકે ગણાય છે.

વાસ્તવિક રીતે આ જગત મિથ્યારૂપ છે. છતાં પ્રભુ પોતાની સત્તા તથા સ્ફુર્તિ આપીને તેને સત્ય જેવું કરે છે, અને તેનાથી લોકોને મોહિત કરે છે. એ નિત્ય, ધર્મરૂપ, મહાબાહુ, મધુસૂદન અચ્યુત ભગવાન કૃષ્ણ કુરુકુળનો સંહાર ના થાય એટલા માટે કૃપા કરીને અહીં પધારવાના છે.

સંજય દ્વારા કરાયેલા શ્રીકૃષ્ણના નામોના એ રહસ્યવર્ણનથી ધૃતરાષ્ટ્રને સંપૂર્ણ સંતોષ થયો અને એમની લોકોત્તરતા અથવા અસાધારણ યોગ્યતા વિશે સંદેહ ના રહ્યો.

ધૃતરાષ્ટ્રને એવા મહાન અતિમહાન પરબ્રહ્મસ્વરૂપ શ્રીકૃષ્ણના દેવદુર્લભ દર્શનનો લાભ પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાથી આ જન્મમાં નહિ પામી શકે એ વિચારથી ખેદ પણ થયો.

કૃષ્ણની લોકોત્તરતાની પ્રતીતિ થયા પછી એમણે કાઢેલા ઉદગારો ખાસ નોંધવા જેવા આ રહ્યા

चक्षुष्मतां वै स्पृहयामि संजय द्रक्ष्यन्ति ये वासुदेवं समीपे ।
विभ्राजमानं वपुषा परेण प्रकाशयन्तं प्रदिशो दिशश्च ॥०१॥  (ઉદ્યોગપર્વ, અધ્યાય ૭૧)

“હે સંજય, જે નેત્રવાન છે તેમના પરમ સદભાગ્યની હું પ્રશંસા કરું છું, કારણ કે તે સૌ ચૈતન્યસ્વરૂપથી દૈદીપ્યમાન, દિશાઓ તથા પ્રદિશાઓને પ્રકાશિત કરી રહેલા વાસુદેવના પ્રત્યક્ષ દર્શનનો લાભ મેળવશે.”

“સાત્વતરૂપે પ્રાગટય પામેલા, વિશ્વમાં એકલવીર એવા, યાદવોના અગ્રણી, યાદવોમાં સિંહ સમા, શત્રુઓને હણનારા, રિપુઓને ક્ષોભ પમાડનારા, અરિદલોના યશને હરનારા, શત્રુનાશન, વરેણ્ય અને મહાત્મા એવા એ વૃષ્ણિશ્રેષ્ઠ શ્રીકૃષ્ણ જ્યારે ભરતવંશીઓએ સત્કારવા જેવી, શ્રોતાજનોનું કલ્યાણ કરનારી, ઐશ્વર્યની ઇચ્છાવાળાઓને ગ્રહણ કરવા યોગ્ય અને મરવાને તૈયાર થયેલા લોકોથી નહીં ગ્રહણ કરાતી એવી પ્રીતિભરી વાણી બોલીને મારા પુત્રોને મોહિત કરશે, ત્યારે એકઠા મળેલા સર્વ કુરુઓ તેમનાં દર્શન કરશે.”

“હું અત્યંત આદરપાત્ર સનાતન ઋષિ, આત્મવેત્તા, વાણીના સમુદ્ર, સંન્યાસીઓથી સુખપૂર્વક ગ્રહણ કરાય એવા, મર્યાદાને ના તોડનારા, સુંદર પાંખવાળા ગરુડરૂપ, પ્રજાનો સંહાર કરનારા, ત્રિભુવનના આધાર, હજારો મસ્તકવાળા, પુરાણપુરુષ, આદિ, મધ્ય તથા અંતથી રહિત, અનંત કીર્તિવાળા કર્મબીજના ધારક, અજન્મા, નિત્ય તથા વિરાટ તેમજ શ્રેષ્ઠ શ્રીકૃષ્ણને શરણે જાઉં છું.”

“ત્રણે લોકના સર્જક, દેવો, અસુરો, નાગો તથા રાક્ષસો વગેરેને ઉત્પન્ન કરનારા, રાજાઓમાં તથા વિદ્વાનોમાં શ્રેષ્ઠ તે ઇન્દ્રના નાનાભાઇ ઉપેન્દ્ર રૂપધારી શ્રીકૃષ્ણને હું શરણે જઉં છું. એ મારી ઉપર એમના અનંત અનુગ્રહને વરસાવે.”

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *