Friday, 26 July, 2024

તુલસીશ્યામ

301 Views
Share :
તુલસીશ્યામ

તુલસીશ્યામ

301 Views

હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં પ્રજાજીવનનાં ઉત્થાન-પતન અને આશ્વાસ-નિશ્વાસ કંડારાયેલા પડયા છે. ભારતના પ્રજા જીવનનાં ઘડતરના પાયા એ ધર્મસ્થાનકોનાં ઇતિહાસ અને પુરાણોમાં પડ્યા છે. તેવુંજ ગિરનું પ્રાચીન અને રમણીય ધર્મસ્થાનક એટલે તુલસીશ્યામ.

તુલસીશ્યામ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લાનાં ઉનાથી શહેરથી આશરે ૨૯ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે કે જયાં ઘોડા ખેલાય છે, હરણાં કુદે છે, ભમરા મીઠો ગુંજારવ કરે છે, અને સિંહ ભયાનક ત્રાડો પાડે છે તેવા લીલા જંગલની વનરાઇઓથી સજાયેલ છે.

Tulsishyam temple image
Image source: Gujrat tourism

ઇતિહાસ:

કહેવાય છે કે જાલંધર નામનો એક અજેય યોધ્ધો હતો જે ન્યાય માટે યુધ્ધે ચઢેલો. દેવોને તોબાહ પોકરાવી ઇન્દ્રનો ધમંડ એણે ઉતારી નાખ્યો. દેવો તો અમર રહ્યા, મરે નહિ પણ મીનો ભણી ગયા. ભાગ્યા, અને ગયા વિષ્ણુ પાસે. વિષ્ણુ દેવોની વહારે ચઢયા. જાલંધરનું યુધ્ધ કૌશલ જોઇને પ્રસન્ન થઇ ગયા.

જેથી જાલંધરને વરદાન માંગવા માટે કહ્યું. જેથી જાલંધરે ભગવાન વિષ્ણુ અને પોતાના બહેન લક્ષ્મીજી સાથે પોતાને ત્યાં વાસ કરવા માટે વરદાન માંગ્યું. જેથી વરદાન આપીને કહ્યુ કે જે દિવસે તું અધર્મનું આચરણ કરીશ ત્યારે મારો વાસ નહી હોય. આમ કહીને દેવોને છોડીને વિષ્ણુએ લક્ષ્મી સાથે જાલંધરને ત્યાં સાગરવાસ કર્યો. જાલંધરનો જેજેકાર વર્તાઇ રહ્યો.

જાલંધરને વૃંદા જેવી સતી સ્ત્રી, લક્ષ્મી જેવી બહેન અને વિષ્ણુ જેવા બનેવી. જેથી જાલંધરના રાજયમાં ધર્મચક્ર ચાલે. હજી દેવો સાથેના વેર પુરાં વળાયા નથી. દિલનો રોષ પુરો શમ્યો નથી. દાઝ ઓલાણી નથી. આ બધુ નારદજીને અજાણ્યુ ન હતું. એ તો નારાયણનું નામ લેતાને વીણા વગાડતા ગયા જાલંધરનાં દરબારમાં અને કહયું કે, વિષ્ણુને લક્ષ્મી છે, મહાદેવને પાર્વતી છે, ઇન્દ્રને ઇન્દ્રાણી છે. એમ તારે શું છે ?

જેથી જાલંધરે કહયુ કે મારે વ્રૂંદા જેવી સતી સ્ત્રી છે. જેથી નારદજીએ કહયુ કે તે સતી ખરી પણ સ્વરૂપવતી નથી. જેથી જાલંધરને ખટકો લાગ્યો. અને કહે હું બ્રમ્હાંડ ભમીને મેળવી આવું. કોણ છે એવી સૌથી સ્વરૂપવતી ? નારદે કહયુ કે પાર્વતી. જાલંધરે કહયુ કે, અરે પાર્વતીને પકડી લાવુ, કૈલાશને ઉંધો નાખુ. અને દેવો સાથેના વેર ખેડવા તો હજી બાકી છે. આમ જાલંધરની મતિ બગડી. ધર્મભ્રષ્ટ થયો. જાલંધરે કૈલાશ ઉપર ચઢાઇ કરી. ઘોર યુધ્ધ કર્યુ અને મહાદેવ ઘાયલ થઇને મૂર્ચ્છા પામ્યા. સતી પાર્વતી અલોપ થયાં.

આમ થવાથી દેવોએ વિષ્ણુને વિનંતી કરીકે હવે તો જાલંધર ધર્મભ્રષ્ટ થયો છે. જેથી ભગવાન વિષ્ણુ જાલંધરના સાગરવાસમાંથી વિષ્ણુલોકમાં પાછા પધાર્યા. જાલંધર હવે તો પાર્વતીનું સત લોપવા યુધ્ધે ચડ્યો હતો. જેથી તેનો નાશ કરવો જે રહ્યો તેમ વિષ્ણુએ નક્કી કર્યુ. આજે જે જગ્યાએ તુલસીશ્યામ છે તે જગ્યાએ ભગવાન વિષ્ણુએ મનોહર ઉધાનની રચના કરી. પોતે એ ઉધાનમાં ધુણી ધખાવીને અવધુત યોગીનું સ્વરૂપ લઇને આસન જમાવીને બેસી ગયાં.

આ બાજુ જાલંધર પાર્વતીજીને મેળવવા યુધ્ધે ચડ્યો છે ને દીવમાં સતના અસીધારા વ્રત લઇને જાલંધરના જાપ જપતી સતી વ્રૂંદાને સ્વપ્ન આવ્યુ અને અમંગળ એંધાણીઓ વરતાવા લાગી. તે ઝબકીને જાગી ગઇ તેને થયુકે મારું સત લોપાણુ નથી અને જાલંધર નું અમંગળ થાય કેવી રીતે ? શું ત્યારે આ સ્વપ્ન ખોટું ? તેનુ મન માનતુ નથી. તે રથ જોડાવીને ખાત્રી કરવા ચાલી. થોડા આગળ જતા જ મનને લોભાવનારુ ઉધાન જોયુ. ઉધાનમાં મહા તેજસ્વી યોગી જોયા. અને જોતાવેંત શ્રધ્ધા બેસી ગઇ અને તે સામી આવીને બેસી ગઇ.

જ્યારે યોગીની સમાધી ઉતરી ત્યારે પોતાના સ્વપ્નમાં દેખાયેલ અમંગળની વાતનું સમાધાન પુછ્યું. જેથી યોગીએ ધ્યાનમાં જોઇને કહ્યુકે તેરા જાલંધરનું મુત્યુ થયુ છે. જેથી વ્રૂંદાએ આર્તનાદથી પુછ્યુકે તેની ખાત્રી આપો. જેથી ત્યાં થોળીજ વારમાં જાલંધરના શરીરના અલગ અલગ ટુકડા પડવા લાગ્યાં. અને વ્રૂંદા ત્યાંજ વિલાપ કરતા કરતા પોતાના પતિનું મસ્તક ખોળામાં લઇને બળવા ચાલી. આ દ્રશ્ય જોઇને યોગીની સાથે રહેલા તેના ચેલાની વિનંતીથી જાલંધરને સજીવન કર્યો. પરંતુ જાલંધરે વ્રૂંદાને યોગી સાથે જોતા તેનો ત્યાગ કર્યો.

વ્રૂંદાએ મહાપ્રયત્ને જાલંધરના મનનું સમાધાન કર્યુ અને માંડીને વાત કરી. અને બન્યુ એવુકે આ યોગી દ્વારા ઉત્પન થયેલ બનાવટી જાલંધર સાથે વ્રૂંદાએ ભોગ કર્યો. જેથી જાલંધર ત્યાંજ યુધ્ધમાં મુત્યુ પામ્યો. અને જાલંધરનાં વાણી વર્તનમાં શંકા જતા બનાવટ છતી પડી. જેથી વ્રૂંદા સળગી ઊઠી અને કહ્યુ કે તે યોગી થઇને મને છેતરી ? તારી સ્ત્રીનું પણ તપસીરૂપે કોઇક હરણ કરશે ને તુ પાણો પઇને પડીશ. તે સમયે ભગવાને પોતાનું ચતુર્ભૂજરૂપ ધારણ કર્યુ.

આ જોઇને વ્રૂંદાએ ભગવાનને કહ્યુ કે આપ પ્રભુ થઇને આ અધર્મનું આચરણ કર્યુ ? જેથી ભગવાને કહ્યુ કે વૃંદા, જાલંધરની બુધ્ધિ ભ્રસ્ટ થઇ અને એના ધર્મનો લોપ થયો. પાર્વતી તો એની માતા કહેવાય એના ઉપર કુદ્રષ્ટિ કરી. જેથી તેને પાછો વાળવા મારે આ કર્મ બાંધવુ પડ્યુ છે. તારો શાપ યથાર્થ છે વૃંદા. હવે હું પથ્થરરૂપે અવતરીશ ને મારી સ્ત્રીનુ કોઇ તપસી હરણ કરે એવા તારા શ્રાપ માટે મારે રામાવતાર લેવો પડશે.

વિષ્ણુએ વૃંદાના મનનુ સાંત્વન કરવા ઘણા પ્રયાસો કર્યા પણ વૃંદાનુ મન કેમેય માનતુ નથી. અને તે કહેવા લાગીકે એક ભવમાં મેં ભવ કર્યા, ને આપે મારો અંગીકાર કર્યો તેનું શું ? જેથી ભગવાને કહ્યું કે બધા જીવો અંતે મારામાં જ સમાઇ જાય છે વૃંદા તુ અને જાલંધર પણ. આ દુનિયા જાણતી થશે કે મેં તારો અંગીકાર કર્યો છે. પણ તુ નિષ્કલંક રહીશ.

તુ વનમાં તુલસી નામની વનસ્પતિ રૂપે અવતરીશ. એ વનસ્પતિ પ્રાણીઓની પીડા હરનારી અમુલ્ય ઔષધિ બનશે. તારા પત્ર વિના જગત મને જે ભોગ ધરાવશે તેનો હું અંગીકાર નહિ કરૂં. તારા પાંદડે અર્પણ કરેલુ શિવ નિર્માલ્ય ગણાશે. મુત્યુ પામનારના મુખે મૂકાઇને તુ મુક્તિદાતા બનીશ. તારા માંજર શુરવીરોના મસ્તકે શોભાશે ને મારા ભકતો મારુ રટણ કરવા તારી માળા ધારણ કરશે. તું તુલસી અને હું શ્યામ શૈલરૂપે અવતરશુ. તુલસીશ્યામ રૂપે આપણે ખ્યાત બનશુ. આમ ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યુ ને પોતે શ્યામ પથ્થરરૂપે અવતર્યા. વૃંદા સતી થઇને તુલસીરુપે એ જ વનમાં અવતરી. વિષ્ણુ શ્યામ શૈલ બન્યા, અને એ જ મનોહર ઉધાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઇ.

અન્ય આકર્ષણો: 

આ જ્ગ્યામાં વિષ્ણુ મંદીર આવેલું છે તે ઉપરાંત રૂક્ષમણીજીનું મંદીર છે. જે ૪૦૦ પગથિયાં ચઢિને ડુંગરા ઉપર આવેલું છે. તેમજ આ જ્ગ્યાને ચેતનવંતી બનાવનાર પ્રતાપી સંતશ્રી દુધાધારી મહારાજ થયાં. જેનાં સમયથી જ આ જગ્યા વધારે પ્રકાશમાં આવી. કારણકે ત્યાં દુધાધારી મહારાજે ખુબજ તપશ્ચર્યા કરી હતી જે દરમિયાન ભગવાને સ્વપ્નમાં આવીને દર્શન દઇને મહારાજને કહ્યુ કે મારી આ જગ્યાએ ખંડીત મુર્તિને તુ પુન:પ્રતિષ્ઠ કરજે.

જેથી બીજામાણસોને બોલાવીને ત્યાં ખોદકામ ચાલુ કરાવ્યું હતુ. તેમાંથી નીકળેલ મુર્તિની જુગલ રાયચંદ નામનાં ભકત દ્વારા આ મંદીર બનાવી આપેલ. આમ મંદીર સાથે ગરમ પાણીના કુંડ પણ બાંધવામા આવ્યા. જે આજે પણ છે. તુલસીશ્યામના સેવક સમુદાયમાં બાબરીયાવાડના ૪૨ ગામો, અમરેલી જિલ્લાના વૈષ્ણવો, કપોળ ગ્રૂહસ્થો તથા ખેડુતો છે. તેમજ ગૌશાળા આવેલી છે.

આ જગ્યામાં ટ્રસ્ટ્ર દ્વારા બનાવવામા આવેલુ અતિથીગ્રૂહ છે અન્ય ધર્મશાળા પણ આવેલી છે. તેમજ યાત્રિકો માટે અન્નક્ષેત્ર અને ચા પાણીની દરરોજની વ્યવસ્થા છે.
આમ આ તુલસીશ્યામની ચારે બાજુ ગિરનું જંગલ હોવાથી આજુબાજુ કોઇ ગામ નથી. ઝાડીમાં માલધારીઓ પોતાના ઢોર સાથે નેહડા બાંધીને રહે છે.

અહીં ભાદરવા સુદ અગિયારસે જળઝિલણીના પર્વે મોટો મેળો ભરાય છે. દુરદુરથી લોકો બહોળી સંખ્યામાં આવીને શામજી મહારાજનાં દર્શને ઉમટે છે. આમ સાવઝ-દીપડાના નિવાસની વચ્ચે આવેલુ તુલસીશ્યામમાં છેલ્લા એક હજાર વર્ષથી દીવડો ઝાંખો થયો નથી. આમ ગુજરાત રાજયનું એક મહત્વનુ યાત્રાધામ છે. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *