Sunday, 8 September, 2024

વસંત પંચમી નિબંધ

267 Views
Share :
વસંત પંચમી નિબંધ

વસંત પંચમી નિબંધ

267 Views

આમ તો પ્રત્યેક ઋતુને પોતાનું અદકેરું મહત્વ છે જ ! પણ શિશિર ઋતુની શુષ્કતા પછી હૃદયને નવપલ્લવિત કરવા આવતી ઋતુ વસંત માટે કવિ પૂજાલાલ એ લખ્યું છે કે,

“ગઈ અમંગળ વેશ શિશિર શિર કેશ વિનાની જર્જર કાયા,
મંગળ મુખડે મધુર મલપતી વસંત શી સુંદર સોહાય”

આપણા દેશમાં મુખ્ય ત્રણ (શિયાળો, ઉનાળો અને ચોમાસુ) ઋતુ અને પેટા છ (હેમંત, શિશિર, વસંત, ગ્રિષ્મ, વર્ષા અને શરદ) ઋતુઓ છે. પરંતુ આ બધામાં વસંતને ‘ઋતુરાજ’ ની પદવી કંઈ અમસ્તી જ નથી મળી ! ચોતરફ ખીલી ઊઠેલી વનરાજી, રંગીન કૂં૫ળો અને ફૂલોની તાજી મીઠી સુગંધ પોતે જ વસંતના આગમનની છડી પોકારે છે. આપણે જેમ વિવિધ તહેવારો અને ઉત્સવો ઉજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ પોતાની આગવી રીતે ઉત્સવ ઉજવે છે અને પ્રકૃતિનો ઉત્સવ એટલે ‘વસંત ઋતુ’.

વસંત પંચમી એટલે કે મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમ નો દિવસ. ‘વસંત પંચમી’ એટલે જ વસંતોત્સવ નો પ્રથમ દિવસ. આજના દિન થી શરૂ કરીને એક મહિના સુધી ચાલતો પ્રકૃતિ નો ઉત્સવ જોઈને આપણું હૈયું પણ બોલી ઊઠે છે.

“આવ્યો વસંત રે આવ્યો વસંત 
મારા વન વગડામાં મહોર્યો વસંત…”

વસંત પંચમી બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. વૃક્ષો પર નવા પર્ણો ખીલે છે, આંબા ડાળે આમ્રમંજરી મહોરી ઉઠે છે. ગુલમહોર, ચંપા, સૂરજમુખી અને ગુલાબના ફૂલો નું સૌંદર્ય પાન કરતાં ભમરાનો ગુંજારવ, ફૂલોના રસ પાન માટે મધમાખી કે પતંગિયા માં લાગેલી હોડ સમી એ ભાગદોડ અને કોયલનાં મીઠા ટહુકા આપણને નવયૌવન બનાવી દે છે. પશ્ચિમના દેશોમાં લોકો જેને ‘વેલેન્ટાઈન ડે’ તરીકે ઉજવે છે તેને જ આપણું કોઈ એક દિવસ પૂરતું જ નહીં પણ એક મહિના સુધી ‘વેલેન્ટાઇન ઋતુ’ તરીકે ઉજવી શકીએ એવી સમૃદ્ધિ બક્ષે છે આ ‘વસંત ઋતુ’

વસંત પંચમી એ હિન્દુ સંસ્કૃતિના ઉદયથી ઉજવાતી આવી છે એમ કહી શકાય; કારણ કે આપણાં વેદ અને પુરાણોમાં પણ વસંતના વિસ્તૃત વર્ણનો છે. ભોળાનાથ (શિવજી)નાં તપોભંગ ની વાત હોય કે તપસ્વી રાજા પાંડુના વ્રતભંગની વાત હોય તેના મૂળમાં તો વસંતના કામબાણ જ રહેલાં છે. કામદેવ અને રતિના સ્નેહ મિલનની આ વિલાસી ઋતુ વિશે આપણાં પ્રાચીન સાહિત્યમાં પણ રાસ, ફાગુ કે બારમાસી કાવ્યો છે. તો ‘વસંત વિલાસ’ તો ખાસ વસંતના વૈભવને ઉજાગર કરે છે. મધ્યકાલીન યુગમાં કવિ દલપતરામે લખ્યું છે કે,

“રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો
મુકામ તેણે વનમાં જમાવ્યો.”

તો વળી આધુનિક યુગના મનોજ ખંડેરિયા પોતાની ગઝલમાં વર્ણવે છે કે,

“આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફુલોએ બીજું કંઈ નથી પગલાં વસંતના.”

આમ વસંતઋતુ એટલે જ રોજિંદા જીવનની ઘટમાળમાં નવસંચાર, નવયૌવન અને નવસર્જન કરવાની પ્રેરણા આપતી ઋતુ.

‘વસંત પંચમી’નું પૌરાણિક, ધાર્મિક અને સામાજિક મહત્વ પણ અનેરું છે. એક પૌરાણિક માન્યતા મુજબ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી પણ હજુ વાણી આપી ન હતી. જીવ જગતને વાણી આપવાના આશયથી બ્રહ્માજીએ કમંડળમાંથી અંજલિનો છંટકાવ કર્યો અને એમાંથી માતા સરસ્વતીજી પ્રગટ થયા. સરસ્વતી માતાના હાથમાં વીણા હતી અને એ વીણાના તારના ઝણકાર સાથે જ આ જીવસૃષ્ટિને વાંચા મળી. આમ વસંત પંચમી મા સરસ્વતીનો પ્રાગટ્યદિન છે. અને આથી જ આ દિવસે ‘સરસ્વતી વંદના‘ નાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળા-કોલેજમાં આ દિવસે મા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

વેદકાલીન યુગમાં ‘વસંત પંચમી’ના દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોને ઉપનયન સંસ્કાર (જનોઈ કરાવી) ઋષિ આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે પ્રવેશ કરાવતા હતા. વિદ્યાની અભિલાષા ધરાવતા લોકો માટે તો ‘વસંત પંચમી’ વિશેષ મહત્વ ધરાવે છે. ગીતકાર, કલાકાર, સાહિત્યકાર તેમજ રસિકજનો માટે પોતાના હૃદયની ઊર્મિઓને વાચા આપવાનો સુવર્ણ અવસર એટલે ‘વસંત ઋતુ’

એક એવી પણ માન્યતા છે કે, પુરાતન યુગમાં ‘વસંત પંચમી’ના દિવસે જે-તે નગરના રાજા હાથી પર બેસીને નગર ભ્રમણ કરતા હતા. અને પછી સામંતોની સાથે મંદિરમાં જઈ કામદેવની વિશેષ પૂજા કરતા હતા. નવીન કૂં૫ળો ચડાવીને વિધિપૂર્વક કામદેવની આરાધના કરતા હતા. તો ક્યાંક અન્નના કણો, ખેતરમાં પાકેલા પાકનો પહેલો ભાગ પણ વધામણાં રૂપે ચઢાવવામાં આવતો હતો. આ દિવસે લોકો પીળા અને કેસરી વસ્ત્રો ધારણ કરતા હતા.  (પીળો રંગો સ્મૃઘ્ઘિ સૂચક છે માટે) પીળા વસ્ત્રો થી શોભતા લોકો હળદર વડે ચાંલ્લા કરી એકબીજાને શુભેચ્છાઓ આપતા તો વળી કેટલીક જગ્યાએ પીળા રંગની મિઠાઈ કે કેસરિયા ભાત ખાઇને વિશેષ ઉજવણી કરે છે.

આસામ જેવા પ્રદેશમાં તો ‘વસંત પંચમી’ જ પંચાગ મુજબનો વર્ષનો પ્રથમ દિવસ ગણાય છે. બોહાગ બિહુંએ આસામવાસીઓનો સૌથી મોટો તહેવાર છે. જેને તેઓ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. બોહાગ બિહું એ વર્ષનો, વસંત ઋતુનો અને કૃષિ જીવનનો એમ ત્રણેય સાથે સીધો સંકળાયેલો ઉત્સવ છે. આસામ ઉપરાંત બંગાળ, બિહાર અને યુપીમાં પણ વસંત પંચમીને એક ખાસ તહેવાર રૂપે ઉજવવામાં આવે છે. તો ગુજરાતમાં આ દિવસને સરસ્વતી પૂજા દ્વારા ઉજવાય છે. તો વળી પંજાબમાં આ દિવશે પતંગબાજીનું વિશેષ આયોજન કરવામાં આવે છે.

વસંતઋતુ આપણને પ્રેમ અને સૌંદર્યનું મહત્ત્વ સમજાવે છે. હોળી અને ધુળેટી જેવા રંગોના પર્વ પણ વસંત ઋતુમાં આવે છે. તો કેસૂડાના કેસરી ફુલોથી છવાયેલું વૃક્ષ વસંતઋતુનું સૂત્રધાર છે. તો આવો, આપણે સૌ મોબાઇલની, ટેકનોલોજીની કે ભૌતિક સુવિધાઓથી ભરેલી જિંદગીમાં થોડી ક્ષણો પ્રકૃતિના ખોળે ગુજારીએ અને વસંતના સૌંદર્યનું રસપાન કરતાં કરતાં ગાઈએ કે,

“અણુએ અણુએ વસંત છાયો,
વસંત પંચમી આવી અલબેલી,
વ્રજનારી ઘૂમે મતવાલી,
રે !  આજ વસંત જાગે..”

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *