Adhyay 2, Pada 4, Verse 06-08
By-Gujju29-04-2023
![Adhyay 2, Pada 4, Verse 06-08](https://gujjuplanet.com/app/themes/twentytwentyone-child-new/images/not-found.png)
Adhyay 2, Pada 4, Verse 06-08
By Gujju29-04-2023
६. हस्तादयस्तु स्थितेङतौ नैवम् ।
અર્થ
તુ = પરંતુ.
હસ્તાદયઃ = હાથ વિગેરે બીજી ઈન્દ્રિયો પણ છે.
અતઃ = એટલા માટે.
સ્થતે = એ સ્થિતિમાં.
એવમ્ = એવું.
ન = નથી (કહી શકાતું કે ઈન્દ્રિયો સાત જ છે.)
ભાવાર્થ
બૃહદારણ્યક ઉપનિષદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પુરૂષને દસ ઈન્દ્રિયો – પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા પાંચ કર્મેન્દ્રિયો – અને મન મળીને અગિયાર ઈન્દ્રિયો છે. दशेमे पुरूषे प्राणा आत्मैकादशः ।
એવી રીતે વિચારતાં ઉપનિષદના આધાર પર ઈન્દ્રિયો સાત નથી પરંતુ અગિયાર છે એવું સાબિત થાય છે. હાથ, પગ, ગુદા તથા ઉપસ્થ જેવી ઈન્દ્રિયોનો અનુભવ ઉપર્યુક્ત સાત ઈન્દ્રિયોની સાથે માનવ જીવનમાં પ્રત્યક્ષ રીતે કરી શકાય છે. એટલે ઉપનિષદમાં જ્યાં કોઈ કારણે સાત ઈન્દ્રિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં બીજી ચારની સંખ્યાના ઉમેરીને ઈન્દ્રિયોને અગિયાર ગણવી જોઈએ એવો સૂત્રકારનો ચોક્કસ અભિપ્રાય અથવા નિર્ણય છે. જે ઈન્દ્રિયો સ્થૂળ રીતે કે પ્રત્યક્ષપણે કાર્ય કરે છે એમની અવગણના કરવાનું કદાપિ ઉચિત ના લેખાય.
—
७. अणवश्च ।
અર્થ
ચ = અને.
અણવઃ = સૂક્ષ્મભૂત અથવા તન્માત્રાઓ પણ એ પરમાત્મામાંથી જ પેદા થાય છે.
ભાવાર્થ
ઈન્દ્રિયોની ઉત્પત્તિ પરમાત્માથી થાય છે એવી રીતે સર્વકાંઈ પરમાત્મામાંથી જ પેદા થાય છે એટલે પંચ મહાભૂતોના સૂક્ષ્મરૂપની અથવા માત્રાઓની ઉત્પત્તિ પણ પરમાત્મામાંથી જ થાય છે. બીજા દર્શનકારો એને પરમાણુ તરીકે ઓળખાવે છે.
કેટલાક વિદ્વાનોના કહેવા પ્રમાણે આ સૂત્ર ઈન્દ્રિયોના અણુ-પરિમાણને પુરવાર કરવા માટે નથી રચાયું, કારણ કે ત્વચારૂપી ઈન્દ્રિય સમસ્ત શરીરમાં છવાયલી હોવાથી સૂક્ષ્મરૂપે સ્થિતિ કરનારી અથવા અણુ છે એવું ના કહી શકાય. આ સૂત્ર તો પંચ મહાભૂતોના સૂક્ષ્મરૂપની અથવા માત્રાઓની ઉત્પત્તિ વિશે ઓળખવામાં આવ્યું છે ને પરમાત્મા જ સૌના મૂળ કારણ છે એવા સિદ્ધાંતનું સમર્થન કરે છે. સંસારના આરંભમાં પરમાત્મા વિના બીજું કશું હતું જ નહિ તો પછી કશાનું ઉદ્દભવસ્થાન એમના વિના બીજું કોઈ પણ ક્યાંથી હોઈ શકે ?
—
८. श्रेष्ठश्च ।
અર્થ
શ્રેષ્ઠઃ = મુખ્ય પ્રાણ.
ચ = પણ.
ભાવાર્થ
બધાની ઉત્પત્તિ પરમાત્મામાંથી થાય છે તો પછી મુખ્ય પ્રાણ પણ એમાં અપવાદરૂપ કેવી રીતે હોઈ શકે ? એ પણ પરમાત્મા સિવાય બીજા શામાંથી પેદા થાય? એ મુખ્ય પ્રાણનાં પ્રાણ, અપાન, વ્યાન, સમાન તથા ઉદાન એવાં નામ આપવામાં આવ્યા છે અને એના પાંચ કે દસ વિભાગ પાડવામાં આવ્યા છે. એ મુખ્ય પ્રાણ પરમાત્મામાંથી જ પ્રાદુર્ભાવ પામે છે.