Saturday, 27 July, 2024

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે

196 Views
Share :
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે

196 Views

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો ?
સર્વ સબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરીશું કવ મહત્પુરુષને પંથ જો ?

સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહ પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો.

દર્શન-મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જો, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો;
તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.

આત્મ-સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો;
ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.

સંયમના હેતુથી યોગ-પ્રવર્તના, સ્વરૂપલક્ષે જિન-આજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.

પંચ વિષયમાં રાગ-દ્વેષ-વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;
દ્રવ્ય, ક્ષેત્ર ને કામ ભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.

ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ-સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો;
માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.

બહુ ઉપસર્ગ-કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.

શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો.

મોહ સ્વયંભૂ-રમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ-મોહ-ગુણ-સ્થાન જો;
અંત સમય ત્યાં સ્વરૂપ વીત-રાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો.

વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, વળી સીંદરીવત્ આકૃતિમાત્ર જો;
તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો.

એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો;
શુદ્ધ નિરંતર ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ-પદરૂપ જો.

પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો;
સાદિ અનંત અનંત સમાધિ મુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.

જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહે તે જ્ઞાન જો.

એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરનો હાલ મનોરથ રૂપ જો;
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.

– શ્રીમદ રાજચંદ્ર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *