Saturday, 27 July, 2024

કીચકનો દુર્વ્યવહાર

231 Views
Share :
કીચકનો દુર્વ્યવહાર

કીચકનો દુર્વ્યવહાર

231 Views

{slide=Kichaka’s misbehavior}

Kichaka could not convince Draupadi (Sairandhri) to agree upon his proposal so he took help of his sister, Sudeshna. He asked Sudeshna to persuade Draupadi and send her in his service to his place. Sudeshna prepared a plan and accordingly commanded Draupadi to go to Kichaka’s place. Draupadi argued that Kichak would misbehave with her. She also reminded Sudeshna that she was not obliged to please anyone. Somehow, Sudeshna managed to convince her and assured her so Draupadi left for Kichaka’s place.
  
Kichaka was waiting for this opportune moment. As Draupadi entered his place, he grabbed her hand and desired her. Draupadi hit him and managed to escape. She reached King Virata’s court and asked for help. When king turned down her plea, she turned to Sudeshna, who consoled her and promised to take action.

That night, Draupadi met Bhim in his kitchen and told him all that had transpired. She insisted Bhim to take revenge and kill Kichaka without further delay. Together, they made a plan. Accordingly, Draupadi would approach Keechak the next day and apologize, and also invite him to the music hall, where she would submit to Kichaka. Keechak’s happiness knew no bounds. He never imagined that Sairandhri’s heart would transform so soon.
 

દ્રૌપદીએ કીચકને પોતાની રીતે સમજાવવાનો અને કુપંથ પરથી પાછા વાળવાનો પ્રયાસ કરી જોયો પરંતુ એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો.

કીચક સહેજ પણ ના સમજ્યો. એના પ્રાણમાં સદબુદ્ધિનો સૂર્યોદય ના પ્રગટયો.

એની વાસના એટલી બધી વિશાળ અને વિકરાળ બનેલી કે એનાથી ઉત્તેજિત અને અશાંત બનીને એ મહારાણી સુદેષ્ણા પાસે પહોંચીને એને ગમે તેમ કરીને પણ દ્રૌપદીને પોતાની પાસે મોકલવા માટે વિનવવા લાગ્યો.

એણે એને દ્રૌપદી પ્રત્યેના સંમોહની વાત કોઇ પણ પ્રકારના સંકોચ સિવાય કહી બતાવી.

સુદેષ્ણા કીચકની બહેન હતી. એણે કીચકનાં વિલાપવચનોને  સાંભળીને એના પ્રત્યેની કરુણાથી પ્રેરાઇને એની પાસે દ્રૌપદીને પોતાના સેવાકાર્ય માટે મોકલવાનો નિર્ણય કર્યો.

એ નિર્ણયને સફળ કરવાની વ્યવસ્થિત યોજના બનાવી.

એ યોજનાને અનુસરીને એણે દ્રૌપદીને એક દિવસ કીચકની પાસે જઇને વિરાટરાજને માટે તૈયાર કરવામાં આવેલી વિશિષ્ટ પ્રકારની મદિરાને લાવવાનો આદેશ આપ્યો.

દ્રૌપદીએ કીચક પાસે જવાની આનાકાની કરી અને જણાવ્યું કે કીચક ખૂબજ નિર્લજ્જ છે. મેં તમારા પ્રાસાદમાં પ્રવેશ કરતી વખતે નક્કી કર્યું છે કે હું તમારે ત્યાં વસીને વ્યભિચારિણી કે સ્વેચ્છાચારિણી નહિ થઉં. મારી એ પૂર્વશરતને તમે નહિ ભૂલ્યાં હો. કીચક કામમોહિત તથા મૂર્ખ છે. મને જોતાં જ તે મારું અપમાન કરીને મારી સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયત્ન કરશે. હું એની પાસે નહિ જઉં. તમારી બીજી અનેક દાસીઓ છે. એમાંથી ગમે તેને મોકલીને તમારું કામ કરાવી શકો છો.

પરંતુ સુદેષ્ણાએ માન્યું નહિ. એણે એને અનેક રીતે સમજાવીને એક ઢાંકણવાળું સુવર્ણપાત્ર આપીને કીચક પાસે મોકલી.

દ્રૌપદીએ કીચકને ત્યાં જતાં પહેલાં બે ઘડી સૂર્યોપાસના કરી. સૂર્યે એથી સંતુષ્ટ બનીને એના રક્ષણ માટે એક ગુપ્ત રાક્ષસને આજ્ઞા કરી. એ રાક્ષસ દ્રૌપદી સાથે રહેવા લાગ્યો.

દ્રૌપદીની ધારણા સાચી નીકળી. એને દેખીને કીચક ઉન્માદમાં આવી ગયો અને એણે મદિરાની માગણી કરી તો બોલ્યો કે મદિરાને પહોંચાડનારી બીજી દાસીઓ તો અનેક છે. તારે તે કામ નથી કરવાનું. તારે તો મારી બની મારા ભવનમાં રહીને મને આનંદ આપવાનો છે.

કીચકે દ્રૌપદીના જમણા હાથને પકડી લીધો.

દ્રૌપદી બોલી કે મેં મદોન્મત્ત થઇને મનમાં પણ મારા પતિને માટે કદી અભાવ અનુભવ્યો નથી. એને લીધે હું તને પાપીને વશ કરેલો અને પૃથ્વી પર ઘસડાતો જોઇશ.

કીચકે તેની સાડીનો પાલવ પકડ્યો.

તે રાજપુત્રીએ વારંવાર નિશ્વાસ નાંખીને એ આતતાયીને ધક્કો માર્યો. એથી તે કપાઇ ગયેલા મૂળવાળા વૃક્ષની જેમ નીચે પટકાઇ પડ્યો.

દ્રૌપદી કીચકને પૃથ્વી પર પાડીને ધ્રુજતી ધ્રુજતી યુધિષ્ઠિર બેઠા હતા તે સભાને શરણે ગઇ. પણ કીચકે દોડતી દ્રૌપદીનો ચોટલો ખેંચીને પકડયો અને રાજાના દેખતાં જ તેને પગ વડે લાત મારી. એ વખતે સૂર્યે જે રાક્ષસને દ્રૌપદીના રક્ષણ માટે યોજ્યો હતો તેણે પવનવેગે કીચકને દૂર ઉડાડી મૂક્યો.

રાક્ષસના બળનો ધક્કો લાગતાં જેમ મૂળ કપાઇ જવાથી વૃક્ષ ઢળી પડે તેમ કીચક જમીન પર ચક્કર ખાઇ બેભાન થઇને ઢળી પડ્યો.

સભામાં બેઠેલા ભીમસેન તથા યુધિષ્ઠિરે દ્રોપદીને નિહાળી. કીચકે તેનો જે પરાભવ કર્યો હતો તેને તેઓ સહન કરી શક્યા નહીં. ભીમ દુરાત્મા કીચકનો વધ કરવાને તૈયાર થયો. એણે રોષપૂર્વક દાંતને દાંતથી પીસવા માંડયા. એકદમ ક્રોધમાં આવીને તેણે એકાએક ઊભા થવાની ઇચ્છા કરી. યુધિષ્ઠિરે પોતાના અંગૂઠાથી ભીમના અંગૂઠાને દબાવ્યો અને તેને ઊઠતાં રોક્યો.

એટલામાં દ્રૌપદીએ સભાદ્વારે આવીને વિરાટરાજને પોતાની આપવીતી સંભળાવી.

વિરાટરાજાએ કહ્યું કે તમારી બેની વચ્ચે જે કજિયો થયો છે તે મારી પરોક્ષમાં થયો છે. આથી હું તે વિશે કાંઇ જાણતો નથી. વાતનું સાચુ સ્વરૂપ જાણ્યા વિના હું નિર્ણય આપવાની કુશળતા કેવી રીતે કરી બતાવી શકું ?

દ્રૌપદી રાણી સુદેષ્ણાના ભવન તરફ દોડી ગઇ. તે વખતે એના કેશ છૂટા થઇ ગયેલા. અને એની આંખ ક્રોધથી ઘેરાઇને લાલ બનેલી.

તેને જોઇ સુદેષ્ણાએ પૂછ્યું કે તને કોણે મારી ? તું શા માટે રડે છે ? કોણે આજે પોતાની ઉપર દુઃખ વહોરી લીધું ? તારું કોણે અપ્રિય કર્યું ?

દ્રૌપદીએ જણાવ્યું કે હું તમારે માટે સુરા લેવા ગઇ ત્યારે કીચકે મારું અપમાન કર્યું. રાજસભામાં રાજાના દેખતાં જ, નિર્જન વનમાં માર મારે તેમ, તેણે મને માર માર્યો.

સુદેષ્ણાએ જણાવ્યું કે તારી મરજી હશે તો હું કીચકનો નાશ કરાવીશ. કેમ કે કામમાં ઉન્મત્ત થઇને તેણે તારું અપમાન કર્યું છે.

દ્રૌપદી બોલી કે એ તો જેમનો એ અપરાધ કરી રહ્યો છે તેઓ જ એને મારી નાખશે. એ આજે જ યમલોકમાં પહોંચી જશે.
*
કીચકના દુર્વ્યવહારથી દ્રૌપદી અતિશય દુઃખી થઇ. એ અતિશય સ્વમાની અને શીલવંતી હતી. કોઇ એની છેડતી કરે, છેડતી કરવાનો પ્રયત્ન કરે, કે એની સાથે કોઇ પ્રકારનો દુર્વ્યવહાર કરે, એ એને લેશ પણ પસંદ નહોતું. પોતાના અપમાનનો બદલો લેવા એ સદાય તૈયાર રહેતી.

કીચકના સંબંધમાં પણ એવું જ બન્યું. એને કઠોરમાં કઠોર દંડ દેવાનો અને બને તો યમમંદિરમાં મોકલવાનો એણે સંકલ્પ કર્યો.

પોતાના નિવાસસ્થાનમાં જઇને સ્નાનદિથી નિવૃત્ત થયા પછી રાતે પથારીને પરિત્યાગીને એ ભીમસેન પાસે પહોંચી ગઇ.

એણે ભીમસેનને જગાડીને પોતાની સાથે કીચક દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારની સઘળી હકીકત કહી સંભળાવી.

એ હકીકતને સાંભળીને અને દ્રૌપદીની કરુણ અસહાય અવસ્થાને અવલોકીને ભીમસેનના ક્રોધ, અફસોસ અને પ્રતિશોધ ભાવનો પાર ના રહ્યો.

એણે કીચકને યોગ્ય દંડ દેવાનો નિર્ણય કર્યો. દ્રૌપદી સાથે વિશ્વસનીય વાતચીત કરીને એણે કીચકના નાશની યોજના બનાવી દીધી.

કીચક સવારે રાજભવનમાં જઇને દ્રૌપદીને મળ્યો ત્યારે કહેવા લાગ્યો કે મેં રાજસભામાં રાજાની આગળ જ તને પાડી નાખીને લાત મારેલી તોપણ તું કોઇની મદદ મેળવી ના શકી. વિરાટ તો મત્સ્યદેશનો નામનો જ રાજા છે. સાચો રાજા તો હું સેનાપતિ જ છું. તેથી તું મારો સ્વીકાર કર. હું તારો દાસ થઇશ. તને પ્રતિદિન સો સોનામહોરો આપીશ, સો સો દાસદાસીઓ અને રથ આપીશ.

દ્રૌપદીએ એને પોતાની સાથેના એકાંત મેળાપની વાતને ગુપ્ત રાખવાની ભલામણ કરી.

એણે ભલામણનો સ્વીકાર કર્યો.

દ્રૌપદીએ એ દિવસે રાતે રાજાએ તૈયાર કરાવેલી નવી નૃત્યશાળામાં અંધારામાં મળવા જણાવ્યું તેથી કીચકની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં.

દ્રૌપદીનું મન આટલું વહેલું બદલાશે એવી એને કલ્પના પણ ન હતી.

એ પોતાને સૌથી વધારે સૌભાગ્યશાળી સમજવા લાગ્યો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *