Saturday, 27 July, 2024

મૈત્રેય મુનિનો શાપ

266 Views
Share :
મૈત્રેય મુનિનો શાપ

મૈત્રેય મુનિનો શાપ

266 Views

{slide=Curse of Sage Maitreya}

When Pandavas were in exile, Sage Maitreya paid a visit to Hastinapur and met Dhritarastra. Dhritarastra asked about Pandavas condition in the exile as Sage Maitreya met Pandavas before coming to Hastinapur. Sage told King Dhritarastra that he learned about the game of dice and subsequent misbehavior of Kauravas. Sage also warned Duryodhan that Pandavas had inimitable strength and it was foolish to have animosity with them. While Sage was telling this to Duryodhan, he remained inattentive and indifferent to his advise. That made Sage Maitreya angry. He cursed Duryodhan that Duryodhan would become reason of confrontation and Bhim will break his thigh in the battlefield.
Dhritarastra pleaded Sage Maitreya to forgive Duryodhan but Duryodhan’s ego prevented Sage from forgiving him. Wasn’t it strange that Sage Maitreya actually came to Hastinapur to meet Dhritarastra but ended up giving curse to Duryodhan ! Who can change the destiny ?

પાંડવો વનમાં વસતા હતા તે દરમિયાન એકવાર ધૃતરાષ્ટ્ર પાસે મૈત્રેય મુનિ પધાર્યા.

ધૃતરાષ્ટ્રે એમનું વિધિપૂર્વક સન્માનની ભાવનાથી પ્રરાઇને સ્વાગત કર્યું.

મૈત્રેય મુનિ સુયોગ્ય આસન પર વિરાજ્યા એટલે ધૃતરાષ્ટ્રે એમને પૂછ્યું કે તમે કુરુજાંગલ દેશમાં સુખશાંતિપૂર્વક વિહરીને અહીં કુશળતાપૂર્વક પહોંચ્યા છો ને ? વનમાં પાંડવો સ્વસ્થતાપૂર્વક કોઇ પણ પ્રકારના વિષાદ વિના વસે છે ? એ એમની શરત પ્રમાણે વનમાં જ વસવા ઇચ્છે છે ને ?

ધૃતરાષ્ટ્રના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મહામુનિ મૈત્રેયે જણાવ્યું કે તીર્થયાત્રાના નિમિત્તથી કુરુજાંગાલ દેશમાં પ્રવેશેલો અને ધર્મરાજ યુધિષ્ઠિરને તથા પાંડવોને મળેલો. જટા તથા મૃગચર્મને ધારનારા તેમને જોવા કે મળવા માટે ત્યાં મુનિમંડળો આવેલાં. ત્યાં મેં તમારા પુત્રોને થયેલી બુદ્ધિની ભ્રાંતિ, તેમણે કરેલા દ્યુતના અન્યાય, અને એને લીધે પેદા થયેલા મહાન ભય અથવા અસાધારણ અમંગલ સંબંધી વાતોને સાંભળી, મને તમારે માટે ને કૌરવોને માટે વિશેષ લાગણી તેમ જ સ્નેહ હોવાથી હવે હું તમને મળવા માટે અહીં આવ્યો છું. તમારા, ભીષ્મના ને દ્રોણના જેવાના જીવતાં કૌરવ-પાંડવો આવી રીતે વિરોધ કરે તે યોગ્ય નથી. તમે એવા અસાધારણ અન્યાયના મૂક દૃષ્ટા બનીને બેસી રહ્યા છો તે બરાબર નથી. આ સભામાં પાંડવો પ્રત્યે છળયુક્ત લૂંટારા જેવું વર્તન કરવામાં આવ્યું છે.

મૈત્રેય મુનિએ દુર્યોધનને પણ જણાવ્યું કે હું તારા હિતને માટે જે કાંઇ કહું છું તેને શાંતિથી સાંભળી લે. તું પાંડવોનો દ્રોહ કરવાને બદલે તારું, પાંડવોનું ને સૌ કોઇનું પ્રિય કર. પાંડવો શૂરવીર છે, પરમ પરાક્રમી છે, દસ હજાર હાથીઓના જેવા બળવાળા અને વજ્રના જેવી લોખંડી કાયાવાળા છે. સત્ય વ્રતને ધારણ કરનારા, પુરુષાર્થના ગૌરવવાળા, ઇચ્છાનુસાર રૂપ લેનારા, અને રાક્ષસોને હણનારા છે. એ અહીંથી નીકળીને રાતે આગળ વધતા હતા ત્યારે ભયંકર સ્વરૂપવાળો રાક્ષસ કિર્માર એમનો રસ્તો રોકીને ઊભો રહેલો. ભીમે તેને વાઘ હરણને પૂરું કરે તેમ પૂરો કરી નાખેલો. હજાર હાથીઓના બળવાળા જરાસંઘનો નાશ ભીમે દિગ્વિજય વખતે કેવો સહેલાઇથી કરી નાંખેલો તેને પણ યાદ કર. પાંડવો સામે યુદ્ધમાં કોઇ પણ ઊભો રહી શકે તેમ નથી. માટે ક્રોધને તથા દ્વેષને તિલાંજલિ આપીને એમની સાથે સલાહ-સંપથી રહેવાનું પસંદ કર.

મૈત્રેય મુનિએ એ પ્રમાણે કહેતા હતા ત્યારે દુર્યોધન હસીને હાથીની સૂંઢના જેવા આકારવાળા પોતાના સાથળને હાથથી થાબડીને પગથી જમીનને ખોતરવા લાગ્યો. તે દુર્બુદ્ધિ કશું જ બોલ્યો નહિ અને નીચું મુખ રાખીને બેસી રહ્યો. દુર્યોધનને આંખ આડા કાન કરતો તથા જમીન ખોતર્યા કરતો જોઇને મૈત્રેય મુનિને ક્રોધ ચઢયો. કોપને વશ થયેલા મુનિવર્ય મૈત્રેયે વિધિથી પ્રેરાઇને એને શાપ આપવાનો મનમાં વિચાર કર્યો. ક્રોધથી લાલચોળ નેત્રવાળા મૈત્રેયે જલ સ્પર્શ કરીને દુષ્ટાત્મા દુર્યોધનને શાપ આપ્યો કે તું મારો અનાદર કરીને મારી આ વાતને માનવા ઇચ્છતો નથી, તેથી તારા એ અભિમાનનું ફળ તને તરત જ મળશે. તારા  દ્રોહને લીધે મહાયુદ્ધ ઊભું થશે. અને બલવાન ભીમ તેમાં ગદાપ્રહારથી તારાં સાથળોને ભાંગી નાખશે. મુનિએ એ પ્રમાણે કહ્યું એટલે ધૃતરાષ્ટ્ર ભયભીત બનીને તેમને પ્રસન્ન કરવા માંડયા.

મૈત્રેયે કહ્યું કે તારો પુત્ર જો શાંત થશે તો આ શાપ નહિ લાગે. પણ જો એથી ઊલટું થશે તો શાપ લાગશે જ.

મૈત્રેયમુનિ જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા; અને કિર્મીરના વધની વાતથી ઉદવેગ પામેલો દુર્યોધન બહાર ચાલ્યો ગયો.

મૈત્રેયમુનિ આવેલા ધૃતરાષ્ટ્રને મળવા માટે પરંતુ દુર્યોધનને શાપ આપીને વિદાય થયા એ શું દર્શાવે છે ? એ જ કે જે થવાનું હોય છે તે થઇને જ રહે છે. ધૃતરાષ્ટ્રે અને દુર્યોધને મહામુનિ મૈત્રેયની સાચી શિખામણ ના સાંભળી. દુર્યોધને તો શિષ્ટાચારયુક્ત ના કહેવાય એવો અમંગલ વ્યવહાર પણ કર્યો. એવી રીતે મુનિની અવજ્ઞા કરી. એ અવજ્ઞાના પરિણામરૂપે એમને અભિશાપના ભાગી બનવું પડયું. મહામુનિ મૈત્રેયે ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને બંનેને પાંડવો સાથે પ્રેમપૂર્વક રહેવાનો અવસર પૂરો પાડેલો પરંતુ એ એનો લાભ ના લઇ શક્યા. એટલે દુર્યોધનની દુર્બુદ્ધિ કાયમ રહી અને વિદ્વેષનો વહ્નિ વધારે ને વધારે બળવાન બનતો ગયો. ધૃતરાષ્ટ્રે તથા દુર્યોધને મહામુનિ મૈત્રેયની સલાહને માની હોત તો પરિસ્થિતિ જુદી જ હોત. મહાભારતના ઇતિહાસનું આલેખન અન્ય પ્રકારે કરાયું હોત. પરંતુ એમણે એમની સલાહને ના સ્વીકારી એ એમનું દુર્ભાગ્ય.

મહાપુરુષોનું અપમાન કદી પણ કલ્યાણકારક નથી બનતું. એમના આશીર્વાદ અને અભિશાપ અમોઘ ઠરે છે. મહાભારતનો આગળનો ઇતિહાસ એની પ્રતીતિ કરાવશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *