Saturday, 27 July, 2024

મેં જોયેલી એક દુર્ઘટના નિબંધ 

126 Views
Share :
મેં જોયેલી એક દુર્ઘટના

મેં જોયેલી એક દુર્ઘટના નિબંધ 

126 Views

આ જીવનમાં ઘણી નાનીમોટી ઘટનાઓ બનતી રહે છે. માનવનું મન એવું વિચિત્ર છે કે સુખદ પ્રસંગોને માણે છે કે તરત વીસરી જાય છે. જ્યારે દુઃખદ પ્રસંગોને તે વારંવાર વાગોળતો રહે છે. જો કે આમ કરવા પાછળ એવા પ્રસંગોની એના મન પર પડેલી ઊંડી અસર વધુ કારણભૂત હોય છે. મારા જીવનમાં આવી એક દુર્ઘટનાની છબી ઝિલાઈ છે, જે હજુ સુધી હું વીસરી શક્યો નથી.

ઉનાળાની રજાઓમાં મિત્રોને મળવા માટે મુંબઈ જવાનું હતું. અમદાવાદથી એક સવારે હું ગુજરાત ઍક્સપ્રેસમાં નીકળ્યો. વડોદરા સુધીની મુસાફરી આરામદાયક રહી. પરંતુ એ શહેર છોડ્યા પછીની યાત્રા ખૂબ કંટાળો આપનારી બની – બેત્રણ સ્ટેશન દરમિયાન આ ઍક્સપ્રેસ ટ્રેન સાવ ગોકળગાયની ગતિએ ચાલતી હતી. વળી દરેક નાના સ્ટેશને તે અટકે. એને લાઈન મળે નહીં ને ગાડી પડી રહે. ચારપાંચ સ્ટેશન વટાવ્યા પછી પ્રાઇવર અને ગાર્ડ જાહેર કર્યું કે હવે ટ્રેન આગળ નહીં વધે. 

વળી આ લાઇન ઉપર પાછળ આવતી ગાડીઓ અટવાઈ હોવાથી તે પાછળ પણ નહીં જાય. અમે તપાસ કરી ત્યારે જાણ્યું કે મિયાગામ-કરજણથી વડોદરા તરફ આવી રહેલી જમ્મુ-તાવી સુપરફાસ્ટ ટ્રેનને અકસ્માત નડ્યો છે એટલે ગુજરાત એક્ષપ્રેસ હવે છે ત્યાં જ અટકશે; આગળ કે પાછળ જઈ નહીં શકે.

અમારામાંથી કેટલાક સહયાત્રીઓ ગુસ્સો ઠાલવતાં સ્ટેશન માસ્તરને ફરિયાદ કરવા ઊપડ્યા પણ તે થોડી જ વારમાં વીલા મોઢે પાછા ફર્યા. તેમણે આવીને અમને જાણ કરી કે આગળના સ્ટેશનથી ઊપડેલી સુપર ફાસ્ટ ગાડીના એન્જિન સાથેના ત્રણ-ચાર ડબ્બા ઊથલી પડતાં લાઇન ખોટકાઈ છે. એની જાણ થતાં અમારામાંથી કેટલાક જિજ્ઞાસાથી તો કેટલાક સેવાભાવે અકસ્માતના સ્થળે જવા તૈયાર થયા. હું પણ તેમની સાથે જોડાયો. રેલવેલાઇન પર પગપાળા ચાલવાનો આ પ્રથમ અનુભવ હતો. 

અમે અડધો કિલોમીટર ચાલ્યા હોઈશું ત્યાં જ અમને માણસોની ચીસો અને રુદનભર્યો અવાજ સાંભળવા મળ્યો. પગમાં ગતિ આવી અને હાંફતાં-હાંફતાં અમે ત્યાં પહોંચ્યા. કોઈ રમકડાની ગાડીના ડબ્બા આડાઅવળા ફેંકાયા હોય એવું દશ્ય દૂરથી જોવા મળ્યું. નજીક ગયા ત્યાં તો કાળજું કંપે એવી દારુણ વેદનાના અવાજો સંભળાયા. ચારે તરફ “બચાવો”, “ઓ મા રે…”, “અરેરે….”, “મર ગયે…” એવા શબ્દો સાથે રડતા-કકળતા અવાજોથી અમે ઘેરાઈ ગયા. ઍન્જિનનો આગળનો ભાગ છુંદાઈને લોચો વળી જતાં ડ્રાઈવર મરી ગયો હતો, પરંતુ વજનદાર ઍન્જિન નીચે છૂંદાયેલા તેના દેહના ટુકડા થઈ ગયેલા જોઈને થથરી જવાયું. એ પછીના ત્રણચાર ડબ્બા આડાઅવળા ફેંકાઈ ગયા હતા, જેમાંથી ઘણા યાત્રીઓ ફૂટબૉલની જેમ આમતેમ દૂર જઈને પડ્યા હતા. 

કેટલાક ગાડીના ડબ્બા નીચે કચડાયા હતા. કોઈનો પગ કપાયો હતો. કોઈનો હાથ તો કોઈનું ધડમાથે છૂટાં પડી ગયાં હતાં. આવા મૃતદેહો કરતાં અર્ધજીવિત રહેલા અને ઈજાગ્રસ્ત મુસાફરોની વેદનામય ચીસો સાંભળીને અમારા સૌની આંખો ભીની થઈ.

થોડા બચી ગયેલા યાત્રીઓ બીજી મદદની રાહ ન જોતાં તાત્કાલિક અન્યને બચાવવા કામે લાગી ગયા હતા. એ જોઈને અમને સાંત્વન સાથે જ રાહતકાર્યમાં જોડાવાની પ્રેરણા મળી. અમે સૌ એમને મદદ કરવામાં સામેલ થયા. રેલવેથી થોડે નજીક પસાર થતા હાઈવે પર બે માણસોને મોકલીને અમે આગળપાછળના સ્ટેશને અકસ્માતની ગંભીરતાની રૂબરૂ જાણ કરી. થોડા સમયમાં રેલવેતંત્રની રાહતકાર્યની ટુકડી આવી પહોંચી. આવા સમયે ઉતારુઓના માલસામાનની સલામતી જાળવવા પોલીસોનો પહેરો ગોઠવાઈ ગયો. 

બેત્રણ કલાકમાં તો ક્લેક્ટર, રાજકીય આગેવાનો અને સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ આવી પહોંચતાં, પુરજોશમાં રાહતનું કામ હાથ ધરાયું. ભલે હું મુંબઈ મોડો પહોંચ્યા પણ ભગવાને મને રાહતકાર્યમાં પહોંચાડ્યો તેની ધન્યતા હું અનુભવી રહ્યો.

એક કવિએ આપણા જીવન વિશે સુંદર કહ્યું છે :

” છે માનવી જીવનની ઘટમાળ એવી,
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. “

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *