Saturday, 27 July, 2024

પ્રતિક્રિયા

243 Views
Share :
પ્રતિક્રિયા

પ્રતિક્રિયા

243 Views

{slide=Reaction to the news}

It is interesting to know how Bhim and Yudhisthir reacted to Duryodhan’s death. Bhim rejoiced at Duryodhan’s collapse, to an extent that he hit Duryodhan’s head with his left foot. Yudhisthir, on the other hand, remained calm and composed. When Yudhisthir saw Bhim’s behavior, he reminded Bhimsen that Duryodhan was a king, his brother, and a relative. It was highly inappropriate for Bhimsen to behave in that manner. Duryodhan was dead, but that does not mean that Bhimsen could hit Duryodhan’s head with his foot.  Yudhisthir’s comments speak volumes of his character.

Balram, Krishna’s elder brother, was also present there. He saw that during the fight, Bhim attacked Duryodhan’s lower body parts, which was against the established rules of wrestle. Balram could not stand this happening in front of his eyes. He pulled his weapon (plough) and ran after Bhima. Krishna intervened and managed to calm him down. Balram left the place but not before labeling Bhim as the one who fought and won by unfair means.

દુર્યોધના મૃત્યુની પ્રતિક્રિયા ભીમસેન તથા યુધિષ્ઠિર પર કેવી જુદી જુદી પડી તે જાણવા જેવું છે. એ પ્રતિક્રિયા વિરોધાભાસી હતી. એનું કારણ એ ઉભયના વિભિન્ન વિચાર, ભાવ અને અભિગમમાં રહેલું.

ભીમસેને પૃથ્વી પર પડેલા દુર્યોધનની ગદાને ઉઠાવી લીધી અને દુર્યોધનના મસ્તકને ડાબા પગની લાત મારીને તિરસ્કાર તથા વિદ્વેષનાં વચનો કહ્યાં.

ભીમસેને હર્ષોન્માદથી ઉન્મત્ત બનીને દુર્યોધનના મસ્તક પર પગ મૂકીને નાચવા માંડયું ત્યારે સોમક રાજાઓએ એના એ કૃત્યને અભિનંદવાને બદલે વખોડી કાઢયું. યુધિષ્ઠિરે પણ એની એ પાશવી પ્રવૃત્તિને નાપસંદ કરીને એને જણાવ્યું કે :

તું તારા વેરના ઋણમાંથી હવે મુક્ત થયો છે. તથા શુભ તથા અશુભ કર્મ કરીને તેં તારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરી છે. માટે હવે શાંતિ રાખ. દુર્યોધનના મસ્તકને લાતો ના માર. ધર્મવિરુદ્ધનું વર્તન ના કર. દુર્યોધન પણ એક રાજા છે. આપણો સંબંધી છે. તેં તેને માર્યો છે તો હવે આવું વર્તન કરવું ન્યાયયુક્ત નથી. અગિયાર અક્ષૌહિણી સેનાનો પતિ, કુરુઓનો નાથ દુર્યોધન આપણો કુટુંબી છે. માટે તું એને પગથી સ્પર્શ ના કર. તેના બંધુઓ અને અમાત્યો માર્યા ગયા છે. તે સ્વયં સૈન્યથી ભ્રષ્ટ થયો છે, અને યુદ્ધમાં હણાયો છે. તેથી સર્વ પ્રકારે શોચનીય છે, ઉપહાસપાત્ર નથી. એને પિંડ આપનારો કોઇ બાકી રહ્યો નથી. એ તારો ભાઇ હોવાથી તારું આ કૃત્ય ન્યાયોચિત નથી. મનુષ્યો તને ધાર્મિક કહે છે, તો તું આ મૃત રાજાના મસ્તક પર પગ કેમ મૂકે છે ?

ભીમસેનને એમ કહીને આંસુથી ભરેલા કંઠવાળા યુધિષ્ઠિરે દુર્યોધનની પાસે પહોંચીને જણાવ્યું કે, પૂર્વે કરેલાં મહાઘોર કર્મોનો સર્વે પ્રાણીઓએ અવશ્ય ઉપભોગ કરવો પડે છે. તું તારા પોતાના અપરાધથી, લોભથી, મદથી અને અજ્ઞાનથી આવા મહાન સંકટને પામ્યો. પોતાના મિત્રોનો, ભાઇઓનો, પુત્રોનો, પૌત્રોનો તથા બીજા સંબંધીઓનો સંહાર કરાવીને આખરે તું પણ મરણ પામ્યો. દૈવની ગતિ દુસ્તર છે.

યુધિષ્ઠિર એ રીતે સુદીર્ઘ સમય સુધી વિલાપ કરતા રહ્યા.

એ પ્રસંગ સૂચવે છે કે યુધિષ્ઠિરનું મન સર્વાવસ્થામાં સદસદબુદ્ધિથી સંપન્ન રહેતું. એ સારાસારનો વિવેક કરીને તે પ્રમાણે વર્તી શકતા. માનવે એવી રીતે વિવેકી બનવાનું અને જીવનના જટિલ સંગ્રામમાં સ્થિર થતાં તથા રહેતાં શીખવાનું છે.

દુર્યોધનના દુઃખદ અંતની પ્રતિક્રિયા બળદેવ પર કેવી પડી તે પણ જાણવા જેવું છે.

ભીમસેને દુર્યોધનના મસ્તક પર લાત મારી તે જોઇને યોદ્ધાઓમાં શ્રેષ્ઠ બળવાન બળદેવ અત્યંત કોપી ઊઠ્યા. તેમણે ભીમસેનને ધિક્કારીને જણાવ્યું કે, આ ધર્મયુદ્ધમાં ભીમસેને દુર્યોધનની નાભિના નીચેના ભાગમાં જે પ્રહાર કર્યો છે તે ધિક્કારપાત્ર છે. ભીમસેને આ ગદાયુદ્ધમાં જેવું અયોગ્ય

કૃત્ય કર્યું છે તેવું બીજા કોઇ પણ ગદાયુદ્ધમાં અમે જોયું નથી. યુદ્ધશાસ્ત્રનો એવો નિયમ છે કે ગદાયુદ્ધમાં નાભિની નીચેના ભાગમાં પ્રહાર ના કરવો, છતાં પણ શાસ્ત્રના નિયમને નેવે મૂકીને મૂર્ખ ભીમસેન પોતાની ઇચ્છા પ્રમાણે વર્ત્યો છે.

તેમણે ક્રોધથી લાલચોળ થઇ ગયેલાં નેત્રે દુર્યોધન સામે જોઇને જણાવ્યું કે કૃષ્ણ ! મારી સમાનતા ધરાવનારો દુર્યોધન એકલો જ રણમાં પડ્યો છે એમ ના સમજવું, કારણ કે આશ્રિતની દુર્બળતાને લીધે આશ્રયનો પણ તિરસ્કાર કરવામાં આવે છે.

એવું કહીને બળવાન બળદેવ હળને ઉગામીને ભીમસેન સામે દોડવા લાગ્યા.

શ્રીકૃષ્ણે પોતાના બંને બાહુઓ વડે મહાપ્રયત્નથી તેમને પકડી રાખ્યા.

તેમણે બળદેવને શાંત પાડવા પોતાની રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, છતાં પણ એ માન્યા નહીં.

તેમણે કહ્યું કે ધર્માત્મા રાજા દુર્યોધનનો અધર્મથી વધ કરીને ભીમસેન અધર્મયુદ્ધ કરનારા તરીકે જગતમાં પ્રસિદ્ધ પામશે. ધૃતરાષ્ટ્રનો પુત્ર રાજા દુર્યોધન ધર્માત્મા હતો અને તેણે ધર્મયુદ્ધ કર્યું છે; માટે મરણ પામ્યા પછી તેને સનાતન ગતિ પ્રાપ્ત થશે.

એમ કહીને કૈલાસ સમાન શ્વેત વર્ણના પરમપ્રતાપી બળદેવ રથમાં બેસીને દ્વારિકા તરફ ચાલી નીકળ્યા. તેમના દ્વારિકાગમન પછી પાંચાલો, શ્રીકૃષ્ણ અને પાંડવો અત્યંત ઉદાસ થઇ ગયા.

*

એક વિશેષ વાતનો ઉલ્લેખ પણ કરવા જેવો છે.

ભીમસેને દુર્યોધનના મસ્તક પર વિજયોન્માદમાં આવીને લાત મારી એ અનુચિત વ્યવહારનો શ્રીકૃષ્ણે વિરોધ કરેલો અને વિદ્વેષવૃત્તિને ત્યાગીને એને સત્પુરુષને છાજે તેવી રીતે વર્તવા માટે જણાવેલું.

એ ઘટનાને શ્રીકૃષ્ણના ઉદાત્ત વિશદ વ્યક્તિત્વની પરિચાયક જેવી કહી શકાય.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *