વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘શિવ સન્માન પુરસ્કાર’: છત્રપતિ શિવાજી મહરાજના શાહી પરિવાર દ્વારા લેવાયો નિર્ણય
By-Gujju02-02-2024
![vadapradhan-narendra-modine-‘siva-sanmana-puraskar](https://gujjuplanet.com/app/uploads/2024/02/vadapradhan-narendra-modine-siva-sanmana-puraskar.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘શિવ સન્માન પુરસ્કાર’: છત્રપતિ શિવાજી મહરાજના શાહી પરિવાર દ્વારા લેવાયો નિર્ણય
By Gujju02-02-2024
અગામી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘શિવ સન્માન પુરસ્કાર’ આપવામાં આવશે. છત્રપતી શિવાજી મહારાજના શાહી પરિવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિવાજી મહારાજના 13માં વંશજ છત્રપતિ ઉદયરાજે ભોસલેએ ઘોષણા કરી હતી કે PM મોદીને આ બાહુમાન આપીને સન્માનિત કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીને આ સન્માન આપવાની ઘોષણા બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હર્ષ વ્યક્ત કર્યો હતો. આ ઘોષણા બાદ તેમણે X પર એક પોસ્ટ પણ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “હિંદવી સ્વરાજના મુખ્ય નિર્માતા, આદર્શ રાજા અને અમારા આરાધ્ય છત્રપતિ શિવાજી મહારાજના નામે રાજ ઘરના દ્વારા જે ‘શિવ સન્માન પુરસ્કાર’ આપવામાં આવે છે. તે પુરસ્કાર આ વખતે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપવાની ઘોષણા કરવામાં આવી છે. તમામ શિવ ભક્તો માટે આ આનંદ અને અભિમાનની ક્ષણ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સન્માન બદલ ખૂબ ખૂબ અભિનંદન.”
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બાબતે X પર પોસ્ટ કરીને વડાપ્રધાન મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી, તેમણે લખ્યું કે, “અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર બહાદુર, બુદ્ધિમાન અને બેબાક હિંદુ હ્રદય સમ્રાટ તથા મરાઠા સામ્રાજ્યના શૂરવીર યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજજીના નામે રાજ પરિવાર દ્વારા આપવામાં આવતા ‘શિવ સન્માન પુરસ્કાર’ આ વખતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવાની ઘોષણા શિવાજી મહારાજને સાચી શ્રદ્ધાંજલિ અને પ્રત્યેક દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે.”
મળતી માહિતી અનુસાર આ પુરસ્કાર છત્રપતિ શિવાજી મહારાજના વંશજો દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. મહારાજની જન્મજયંતી પર ખાસ લોકોને આ સન્માનથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે શિવાજી મહારાજના 13માં વંશજ છત્રપતિ ઉદયરાજે ભોસલેએ વડાપ્રધાન મોદીને આ સન્માન આપવાની ઘોષણા કરી છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર સતારા રોયલ ફેમિલી અને શિવભક્તો દ્વારા સૈનિક સ્કૂલ ગ્રાઉન્ડમાં ભવ્ય સમારોહ યોજવામાં આવશે અને આ સન્માન સમારોહમાં વડાપ્રધાનને સન્માનિત કરવામાં આવશે.