Thursday, 19 September, 2024

વિક્રમ વેતાલની વાર્તા 3

207 Views
Share :
વિક્રમ વેતાલની વાર્તા ભાગ 3

વિક્રમ વેતાલની વાર્તા 3

207 Views

સ્મશાનના સિદ્ધવડ પરથી વેતાળને મહામુશ્કેલીથી વશમા કરી વેતાલને પીઠ પર લાદી વિક્રમ રાજા નીકળી રહ્યા હતા. વેતાલે માર્ગ કાપવા માટે રાજાને વાર્તા સંભળાવવાની શરૂઆત કરી.

ચન્દ્રશેખર નગરમાં રત્નદત નામનો એક શેઠ રહેતો હતો. તેની એક દીકરી હતી. તેનું નામ ઉન્માદિની. દીકરી રુપરુપનો અંબાર અને ગુણોનો ભંડાર હતી. જ્યારે એ મોટી થઈ તો રત્નદતે રાજા પાસે જઇને કહ્યુ : ‘મહારાજા આજે હું તમારી પાસે એક આશા લઈને આવ્યો છુ.’

રાજાને આશ્ચર્ય થયું કારણ કે શેઠ પાસે કોઈ વાતની કમી નહોતી તો પછી રાજા પાસે આશા લઈને શું આવ્યો હશે ? મહારાજાએ શેઠને કહ્યું, ‘બોલો શેઠ શું આશા છે?’  

‘તમે મારી પુત્રી ઉન્માદિની સાથે વિવાહ કરી લો.’

રાજાએ શેઠની પુત્રીને કોઈ દિવસ જોઈ નહોતી. તેણે તાળીઓ વગાડી દાસીઓને આવવાનો હુકમ કર્યો. દાસીઓ રાજા સામે આવી અને રાજાએ આદેશ કર્યો, ‘દાસીઓ જાઓ અને શેઠની પુત્રી કેવી છે તે જોઈ આવો. જો તમે કહેશો તેમ તે રૂપથી સુંદર અને સુલક્ષણી હશે તો હું તેની સાથે વિવાહ કરીશ.’

ત્રણે દાસીઓ ઉન્માદિની પાસે ગઈ અને જોયું તો ગુલાબનું ફૂલ જ હતું. ગાયના આંચળમાંથી નીકળતા તાજા દૂધની શેર જેવો સફેદ તેનો વાન હતો. કટારની ધાર જેવી અણિયાળી આંખો હતી. તેમાં લગાવેલું કાજલ તેની સુંદરતામાં વધારો કરતું હતું. ત્રણે દાસીઓ તેના સૌંદર્યને જોઈ સળગી ઉઠી. એક સ્ત્રીને બીજી સ્ત્રી પ્રત્યે ભારે ઈર્ષ્યા હોય છે. એ બીજી સ્ત્રીની સુંદરતાને પચાવી નથી શકતી.

એક દાસીએ કહ્યું, ‘રાજા તો આની પાછળ ગાંડો થઈ જશે.’

‘રાજાને અસત્ય જ કહેવું પડશે. નહીં તો આની સાથે પરણી જશે અને પછી મહેલમાં આપણે તેની ચાકરી કરવી પડશે.’ બીજી દાસીએ કહ્યું.

અને ત્રીજી દાસીએ ત્રણે સાથે હકારમાં માથુ ધુણાવી ત્યાંથી ચાલતી પકડી. રાજા સામે જઈ સુંદર હોવા છતાં ઉન્માદિનીના મુખની ટીકા કરવામાં આવી. તેને કુલક્ષણી કહેવામાં આવી. તેની કાયાને ગોળમટોળ સાબિત કરી દીધી.

રાજાએ દાસીઓના મુખમાંથી ઉન્માદિની માટે આવા શબ્દો સાંભળીને શેઠને કહ્યું, ‘શેઠ હું તમારી પુત્રી સાથે વિવાહ નહીં કરી શકું.’

શેઠ નિરાશ થયા. રાજાની ના પછી કંઈ પરાણે તો દીકરીને તેને પરણાવાય નહીં. રાજાનો હુકમ તે રાજાનો હુકમ. તો દીકરીને ઘરમાં પણ બેસાડી ન રખાય. તેણે તો રાજાના સેનાપતિ બલભદ્રની સાથે જ પુત્રીના વિવાહ નક્કી કરી નાખ્યા. બલભદ્ર રાજાનો ખુબ જ વફાદાર સેનાપતિ હતો.

બંનેના વિવાહ થયા અને પતિ પત્ની ખુશ રહેવા લાગ્યા.

એક દિવસની વાત છે. રાજા હાથીની અંબાડી પર બેસીને નગરચર્યા કરી રહ્યા હતા. તેમની સવારી બલભદ્રના ઘર પાસેથી નીકળી. એ સમયે ઉન્માદિની પોતાના ઘર પાસે ઊભી હતી.

રાજાની તેના પર નજર ગઈ તો તે તેને દિલ દઈ બેઠો. રાજા મહેલમાં ગયા અને તે યુવતીની ઓળખ મેળવી. રાજાને જ્યારે ખબર પડી કે તે શેઠની દીકરી છે તો તેમને દાસીઓના છલની ખબર પડી ગઈ.  

રાજાએ દાસીઓને બોલાવી અને કડક અવાજમાં પૂછ્યું તો દાસીઓ ફટાફટ સત્ય બોલી ગઈ.

એટલામાં સેનાપતિ બલભદ્ર ત્યાં આવી પહોંચ્યો. તેને રાજાની સ્થિતિ વિશે ખબર પડી ગઈ હતી. તેણે રાજાને કહ્યું, ‘સ્વામી ઉન્માદિનીને તમે લઈ લો.’

રાજાએ ગુસ્સામાં બલભદ્રને કહ્યું, ‘શું હું અધર્મી છું પાપી છુ કે બીજાની સ્ત્રીને લઈ લઉં.’

એ પછી રાજા બીમાર રહેવા લાગ્યો. તે હમેશા ઉન્માદિની નાં વિચારમાં રહેવા લાગ્યો. તે વ્યાકુળ રહેતો અને આ વ્યાકુળતાએ જ તેનો જીવ લઈ લીધો.

રાજાના મૃત્યુ બાદ સેનાપતિ બલભદ્ર પોતાના ગુરૂ પાસે ગયો અને તેને રાજા સાથે શું થયું તે બધું પુછ્યુ.

ગુરુએ બધુ સત્ય કહી સંભળાવ્યું. ગુરૂએ સેનાપતિને કહ્યું, ‘સેવકનો તો ધર્મ છે કે તે સ્વામી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે.’

રાજાની ચિતા તૈયાર થઈ. સેનાપતિ બલભદ્ર ત્યાં પહોંચ્યો અને રાજાનાં મૃત્યુનું કારણ તે પોતે છે એમ સમજી આગમાં કૂદી પડ્યો.

ઉન્માદિનીને આ વાતની ખબર પડી તો તે પતિની સાથે સતિ થવાને પોતાનો ધર્મ સમજી એ જ આગમાં કૂદી પડી. એ પણ મૃત્યુ પામી.

આટલું કહીને વેતાલે પૂછ્યું, ‘રાજન્ બતાવ. ઉન્માદિની સેનાપતિ અને રાજામાં કોણ વધારે સાહસીક ?’

રાજા વિક્રમે કહ્યું, ‘રાજા વધારે સાહસી હતો. કારણ કે તેણે રાજધર્મ પર દૃઢ રહેવા માટે ઉન્માદિનીને તેના પતિના કહેવા પર પણ સ્વીકાર ન કરી અને ચિંતામાં ને ચિંતામાં પોતાના પ્રાણ ત્યાગી દીધા.

સેનાપતિ કુલીન સેવક હતો. પોતાના સ્વામીની ભલાઈમાં પ્રાણ આપવા તે મોટી વાત નથી. સાચું કામ તો રાજાએ કર્યું છે. પ્રાણનો ત્યાગ કર્યો પણ રાજધર્મનો ત્યાગ બિલકુલ ન કર્યો.’

રાજા વિક્રમનો જવાબ સાંભળ્યા પછી વેતાલ વિક્રમ રાજાની બુદ્ધિ પર ખુશ થયો. પણ શરતનો ભંગ થવાથી તે ઉડી ગયો. ઊંચે આકાશમાં અને સિદ્ધવડ પર જઈ લટકી ગયો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *