Saturday, 27 July, 2024

ગણતંત્ર દિવસ આખરે 26 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે?

2391 Views
Share :
ganatantra-divas-26-januarye-j-kem-manavavama-ave-che

ગણતંત્ર દિવસ આખરે 26 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે?

2391 Views

દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશભરમાં પૂરા ઉત્સાહ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે દેશ પોતાનો 75મો ગણતંત્ર દિવસ મનાવશે. આ ખાસ પ્રસંગે ઇન્ડિયા ગેટથી લઇને રાષ્ટ્રપતિ ભવન સુધી કર્તવ્ય પથ પર દર વર્ષે ભવ્ય પરેડ થાય છે. આ પરેડમાં ભારતીય સેના, એરફોર્સ, નેવીની વિવિધ રેજિમેન્ટ ભાગ લે છે.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ આવશે કે પ્રજાસત્તાક દિવસ ફક્ત 26 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે, બીજા કોઈ દિવસે કેમ નહીં? તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે. આવો જાણીએ દેશના ગણતંત્ર દિવસનો સંપૂર્ણ ઈતિહાસ.

દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે સમગ્ર દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ થતાં જ ભારતને સંપૂર્ણ ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે.

1947માં ભારતની આઝાદી બાદ દેશના બંધારણને લોકતાંત્રિક બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં બનીને તૈયાર થયું હતું અને 26 નવેમ્બર 1949ના રોજ દેશની બંધારણ સભાએ તેનો સ્વીકાર કર્યો હતો. આ પછી 26 જાન્યુઆરી 1950 ના રોજ આ બંધારણને આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરીએ બંધારણનો અમલ કેમ કરવામાં આવ્યો?

26 જાન્યુઆરીએ બંધારણ લાગુ કરવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે 1930માં આજ જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરી હતી. 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે અંગ્રેજોની ગુલામી સામે ભારતને સંપૂર્ણપણે સ્વતંત્ર જાહેર કર્યું હતું. આવી સ્થિતિમાં પૂર્ણ સ્વરાજની દરખાસ્તના અમલીકરણની આ તારીખના મહત્વને ધ્યાનમાં રાખીને બંધારણના અમલીકરણ માટે 26 જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. જે બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન લાગુ થવાથી દેશને પૂર્ણ ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે.

આઝાદી મળ્યા પહેલા 26 જાન્યુઆરીને જ સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી બાદ જ્યારે આઝાદી મળી પછી 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણને લાગુ કરવામાં આવ્યું અને આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 કલાકે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. તેના 6 મિનિટ પછી 10.24 મિનિટે ડો.રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

308 સભ્યોએ ભારતનું બંધારણ બનાવ્યું હતું

આજે દેશ જે બંધારણ મુજબ કામ કરી રહ્યો છે તે બંધારણનો ડ્રાફ્ટ ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરે તૈયાર કર્યો હતો, જેઓ ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા છે. અનેક સુધારા અને ફેરફારો પછી સમિતિના 308 સભ્યોએ હસ્તલિખિત કાયદાની બે નકલો પર 24 જાન્યુઆરી 1950ના રોજ હસ્તાક્ષર કર્યા હતા, જેના બે દિવસ બાદ 26 જાન્યુઆરીએ દેશમાં તેનો અમલ કરવામાં આવ્યો હતો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *