વડોદરા હરણી તળાવમાં દુર્ઘટના : બોટ ઊંધી વળતાં 23 બાળકો અને 4 શિક્ષકો ડૂબ્યાં, શિક્ષક સહિત 12નાં મોત
By-Gujju19-01-2024
![vadodra harni talavma durghtna](https://gujjuplanet.com/app/uploads/2024/01/vadodra-harni-talavma-durghtna.jpg)
વડોદરા હરણી તળાવમાં દુર્ઘટના : બોટ ઊંધી વળતાં 23 બાળકો અને 4 શિક્ષકો ડૂબ્યાં, શિક્ષક સહિત 12નાં મોત
By Gujju19-01-2024
વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. જોકે, ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા બાળકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં 12 ના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 10 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બાળકો હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટનાને પગલે બેદરકારી પણ સામે આવી છે કે, વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.
હરણી લેક ઝોન ખાતેના તળાવમાં ફાયર બ્રિગેડની ટીમે લાપતા વિદ્યાર્થીઓની શોધખોળની કામગીરી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. બોટ પલટી મારતા લોકોના ટોળે ટોળા તળાવ પર ઉમટ્યા છે. કલેક્ટર તેમજ મેયર અને સ્ટેડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. વિગતો મુજબ બોટમાં 4 શિક્ષકો પણ સવાર હતા. 7 વિધાર્થીઓનું રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિધાર્થીઓ હોવાની પણ માહિતી સામે આવી છે. વડોદરાના કલેક્ટર એ.બી ગોરે જણાવ્યું હતું કે, મારી જાણકારી મુજબ 23 ભુલકાઓ અને 4 શિક્ષકો હતા. તેમાંથી 11ને બચાવી લેવામાં આવ્યા છે. સાત બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે.
ધારાસભ્ય કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ, ખુબ જ ગોજારી કહેવાય. નાના બાળકો જે દેશનું ભવિષ્ય છે, તેની સાથે આ ઘટના બની છે. આ ઘટનામાં જે પણ નાની મોટી ચૂક હશે તેની ગંભીરતાની નોંધ લેવામાં આવશે. હાલમાં આ બાળકોને બચાવવાની પ્રથમિકતા છે. જે કોઈની ભૂલ હશે તેની સામે પગલા લેવામાં આવશે. બાળકોની સેફ્ટીને લઈ ચૂક થઈ હશે તો તે મામલે પણ તપાસ કરવામાં આવશે.વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ ઘટનામાં બેદરકારી છે. નાના બાળકોને તેમના સ્કૂલના શિક્ષકો લાવ્યા હશે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન જવાબદાર છે. જ્યારે એક હોનારત આપણે ત્યાં થઈ હતી એના પરથી પણ ના સમજ્યા. બાળકો ઉપર સેફ્ટી માટેના લાઈફ જેકેટ પણ નથી તો જવાબદાર કોણ છે. ફક્ત ભ્રષ્ટાચાર અને રૂપિયા કમાવવાની લાલસા છે.