Saturday, 27 July, 2024

લાખો વણજારો

598 Views
Share :
લાખો વણજારો

લાખો વણજારો

598 Views

જૂના જમાનાની વાત છે.
જ્યારે વણજારા ઊટ પર વેપારનો સામાન લઈ જતા-આવતા હતા. એક વણજારો હતો. તે ગામડાઓમાંથી પોતાના ઊંટ પર માલસામાન શહેરો સુધી લઈ જતો અને ત્યાંથી તે ગામડાઓમાં ખાંડ, ગોળ અને મસાલા વગેરે લાવતો. તેનો લાખોનો વેપાર હતો. તેથી જ લોકો તેમને લાખો વણજારો કહેતા હતા.

લાખાને એક સુંદર કૂતરો હતો. તેને લાખો ડાઘિયો કહીને બોલાવે. કૂતરો ખૂબ વફાદાર હતો. લાખો તેને ખુબ જ વહાલ કરતો હતો. ડાઘિયો રાત્રે વણજારાના પડાવની રક્ષા કરતો હતો, જ્યારે ચોર અને લૂંટારાઓ પડાવ તરફ આવતા જોઇ જતો, ત્યારે કૂતરો ભસતો હતો અને તેમનો પીછો કરતો હતો. લાખો તેના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો.

એકવાર લાખાને ધંધામાં ભારે નુકશાન થયુ અને પૈસાની જરૂર પડી. તે રાધનપુરના એક શેઠ પાસે પહોંચ્યો. તેણે તેની વાત કહી.

શેઠે કહ્યું, “હું પૈસા આપીશ, પણ તેના બદલામાં તમે શું ગીરવે મુકશો?

“લાખાએ કહ્યું,” શેઠજી, મારી પાસે એક પૈસો પણ નથી. ધંધામાં મેં બધું ગુમાવ્યું છે. મારી જબાન પર વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો હું તમારી બધી રકમ વ્યાજ સહિત એક વર્ષની અંદર ચૂકવી દઈશ.”

શેઠે કહ્યું, “કોઈ વાંધો નથી, પણ તમારી પાસે આ કૂતરો છે. તો તમે તેને મારી પાસે મુકતા જાવ. જ્યારે તમે બધી રકમ પાછી આપી દેશો, ત્યારે હું પણ તમને કૂતરો પાછો આપીશ.”

લાખો તેના ડાઘિયાને આપવા માટે ખૂબ જ દુઃખી થયો, પરંતુ કોઈ વિકલ્પ ન હતો. લાખાએ ડાઘિયાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથ ને આંખથી ઈશારો કર્યો. પછી એણે તરત ડાઘિયા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો.
ડાઘિયો લાખાની પીઠ દેખાઈ ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો.

થોડા દિવસો વીતી ગયા. એકવાર શેઠની દુકાનમાં ચોરી થઈ. ડાઘિયાએ ચોરોનો પીછો કર્યો. દૂર જંગલમાં જઈને ચોરોએ બધો સામાન જમીનમાં દાટી દીધો અને ત્યાંથી ભાગી ગયા. ડાઘિયો ઘરે આવીને જોરજોરથી ભસવા લાગ્યો. અને શેઠને કહેવા લાગ્યો કે ચોર તમારી દુકાનમાં ઘૂસી ગયા અને સામાન લઈ ગયા. શેઠે જાગીને જોયુ તો સ્તબ્ધ થઈ ગયા.

કૂતરાએ શેઠની ધોતી પકડીને આગળ ખેંચવાનું શરૂ કર્યું. શેઠ સમજી ગયા એટલે તે કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યા. એક વાડ આગળ આવીને ડાઘિયો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા મંડ્યો. ત્યાં ખોદ્યુ તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. શેઠના હરખનો પાર ન રહ્યો. એને થયું કે આ ડાઘિયાને હવે વહેલો છૂટો કરીને એના માલિક ભેગો કરી દેવો જોઈએ. લાખાને જે પૈસા ધીર્યા છે એથી અનેકગણું ડાઘિયાએ મને બચાવી આપ્યું.

શેઠની ખુશીની કોઈ સીમા નહોતી. તેણે કૂતરાને પ્રેમથી હાથ ફેરવ્યો. તે કૂતરાની વફાદારીથી મંત્રમુગ્ધ થઈ ગયો. ઘરે જઈને તેણે એક પત્ર લખ્યો અને તેને કૂતરાના ગળામાં બાંધ્યો અને કહ્યું, “કુતરા ભાઈ – તમારા માલિક લાખા વણજારા પાસે જાઓ, તમે મુક્ત છો.”

ડાઘિયો ખુશ થઈ ગયો અને તેના માલિકને મળવા ઝડપથી દોડવા લાગ્યો.

અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ. એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું ? મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો. પૈસા લઈને એ નીકળ્યો. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈ કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ છે તો એનો વહાલો ડાઘિયો !

ડાઘિયાને જોતાં જ લાખાની આંખ ફરી ગઈ. “અરે રામ ! આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું ! એ નાસી આવ્યો ! શેઠને હું શું મોં બતાવીશ ?”

તેણે કઇ પણ વિચાર કર્યા વગર ગુસ્સામાં ડાઘિયાના માથામાં લાકડી ફટકારી દીધી. ડાઘિયો ઢળી પડ્યો. લાખાએ ડાઘિયાના ગળામાં એક પત્ર બાંધેલો જોયો. તેણે તે ખોલ્યો અને વાંચ્યું, ‘લાખા, તમારા કૂતરાએ મને વ્યાજ સાથે પૈસા પાછા આપ્યા છે; તેથી હું કૂતરાને મુક્ત કરું છું. તેણે મારા ઘરે ચોરીનો માલ પાછો મેળવી આપ્યો છે. ખુશ થઇને મેં તેને જાતે જ મુક્ત કર્યો છે.’

લાખાને નવાઈ લાગી. તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું, “હાય, મેં શું કર્યું? હાય, મેં આ શું કર્યું?” તેણે કૂતરાના શબને ખોળામાં લીધુ અને ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગ્યો,
પણ હવે પસ્તાવાથી શુ થવાનુ હતુ ?

તેમણે એ વિશ્વાસુ ડાઘિયાની સમાધિ બાંધી, જે આજે પણ પાટણ જિલ્લાના રાધનપુરના તળાવના કિનારે ઊભી છે અને એ કૂતરાની વફાદારીની ગાથા દુનિયાને સંભળાવી રહી છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *